'સફાઈ સેના'- તમારો કચરો ઉઠાવવા ઉપરાંત પર્યાવરણનું રક્ષણ પણ કરે છે!

'સફાઈ સેના'- તમારો કચરો ઉઠાવવા ઉપરાંત પર્યાવરણનું રક્ષણ પણ કરે છે!

Saturday January 30, 2016,

4 min Read

સ્વસ્છ વાતાવરણમાં રહેવાનું કોને પસંદ નથી? જોકે શહેરોમાં જેમ જેમ કૂડા-કચરાનું પ્રમાણ વધવા લાગ્યું છે તેમ તેમ આસપાસના વિસ્તારોને સાફ રાખવાનું કામ વધારે મુશ્કેલ બની રહ્યું છે. આવામાં દિલ્હી એનસીઆર વિસ્તારમાં કચરાને ઠેકાણે પાડવાની વ્યવસ્થા કરી રહી છે, ‘સફાઈ સેના’. આ સફાઈ સેનાના જવાનો માત્ર કચરો નથી ઉઠાવતા પણ પર્યાવરણનું રક્ષણ પણ કરે છે. સફાઈ સેના સાથે જોડાયેલા લોકો કચરાને રિસાઈકલ કરીને તેને ફરીથી ઉપયોગમાં લેવા માટે કાબેલ બનાવવામાં આવે છે. સફાઈ સેનામાં લગભગ 12 હજાર લોકો છે જે છેલ્લાં સાત વર્ષથી મકાનો, દુકાનો, ઓફિસ અને કારખાનામાંથી કચરો લઈને યોગ્ય જગ્યાએ પહોંચાડે છે. સફાઈ સેનાના આ કામમાં મદદ કરે છે એક સ્વયંસેવી સંસ્થા ‘ચિંતન’. આ સંસ્થા સફાઈ સેનાના સભ્યોને તાલિમ આપવાની સાથે સાથે તેમની જરૂરિયાતોને પણ પૂરી કરે છે.

image


દિલ્હીમાં એનસીઆરમાં સાર્વજનિક સફાઈ માટે અલગ નગર નિગમ છે પણ સફાઈ સેના ન હોય તો આ કામ કેટલું મુશ્કેલ બની જાય છે તે નગર નિગમ સિવાય કોઈ સારી રીતે જાણી નથી શકતું. તેમના કારણે નગર નિગમનું કામ સરળ થઈ ગયું છે. દિલ્હી એનસીઆરમાં કચરો ઉઠાવનારા, ઘરે જઈને કચોર લેનારા, ફેરીવાળા, બીજા નાના મોટા પસ્તીવાળા, નાના કબાડીવાળા અને વિવિધ રીતે રિસાઈકલ કરનારા લોકોનું એક જૂથ છે સફાઈ સેના છે. સફાઈ સેનાના સભ્યો સૌથી પહેલાં કચરો ઉઠાવે છે, ત્યારબાદ કચરાને અલગ અલગ સેન્ટરમાં લઈ જઈને અલગ પાડવામાં આવે છે. ત્યારબાદ જે ભીનો કચરો હોય છે તેનાથી ખાતર બનાવવામાં આવે છે જ્યારે સૂકા કચરાને રિસાઈકલ કરનારા સુધી પહોંચાડવામાં આવે છે.

image


સફાઈ સેના જે કચરો ભેગો કરે છે તેમાંથી લગભગ 20 ટકા કચરો એવો હોય છે જેને રિસાઈકલ કરી શકાતો નથી. આ કચરાને તેઓ નગર નિગમને સોંપી દે છે. દિલ્હી એનસીઆરમાં સફાઈ સેનાના લગભગ 12 હજાર લોકો છે જે અલગ અલગ જગ્યાએ માથે મેલુ ઉપાડવાનું કામ કરે છે. દિલ્હી એનસીઆરમાં તેના 20 કલેક્શન સેન્ટર છે જ્યારે છ જગ્યાએ ખાતર બનાવવાનું કામ થાય છે. સફાઈ સેના કચરાને ખાતરમાં બદલવાનું કામ ઓર્ગેનિક રીતે કરે છે. તેના માટે ત્રણ બાય છનું એક પીટ હોય છે જેમાં કચરો નાખવામાં આવે છે. તેને સૂકા પાંદડા અને ઘાસ સાથે ભેગો કરી દેવામાં આવે છે. કચરાને ઘાસ અને પાંદડા સાથે ભેગો કર્યા બાદ પાણી નાખીને 30 દિવસ માટે મૂકી રાખવામાં આવે છે. દર બીજા દિવસે તેને હલાવવામાં આવે છે. ત્યારબાદ 15 દિવસ સુધી તેને સુકાવવામાં આવે છે. ત્યારબાદ તેને બારીક રીતે ખાંડીને ખાતર બનાવવામાં આવે છે. હાલમાં તો આ ખાતરનું વેચાણ ખૂબ જ ઓછું થઈ રહ્યું છે કારણ કે તેઓ આ ખાતર એ લોકોને જ આપી દે છે જેમની પાસેથી કચરો લીધો હોય જેથી તે લોકો પોતાના ઘરમાં રાખેલા કુંડામાં તેનો ઉપયોગ કરી શકે.

image


સફાઈ સેનાના કર્મચારી દર અઠવાડિયે એક બેઠક કરે છે જેમાં તે પોતાના કામની સાથે સાથે સમાજમાં પોતાની ઓળખ બનવવા ઉપરાંત શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવા વિષયો પર ચર્ચા પણ થાય છે. સફાઈ સેનાના મોટાભાગના સભ્યો 18 વર્ષથી 45 વર્ષ વચ્ચેના છે. જરૂર પડ્યે તે પોતાના સાથીઓની આર્થિક મદદ પણ કરે છે. આ ઉપરાંત સફાઈ સેનાના સભ્યો નિયમિત રીતે સફાઈ અભિયાન ચલાવે છે. તે વિવિધ રેલવે સ્ટેશન, આરડબલ્યુએ અને સ્કૂલની સાથે જોડાઈને પોતાનું અભિયાન ચલાવે છે. તેઓ સ્કૂલમાં જઈને બાળકોને સમજાવે છે કે કચરાનો કેવી રીતે નિકાલ કરવો જોઈએ જેથી સ્વસ્થ રહી શકાય, તો રેલવે સ્ટેશને અને અન્ય બીજી સાર્વજનિક જગ્યાઓએ જઈને તે સફાઈની વાત કરવાની સાથે સાથે લોકો પાસેથી પ્રતિજ્ઞાપત્ર ભરાવે છે કે તેઓ કચરાને માત્ર કચરાપેટીમાં જ નાખશે જેથી સ્ટેશન અને શહેર સ્વચ્છ રહે.

image


સફાઈ સેનાના સચિવ જયપ્રકાશ ચૌધરી બિહારના મુંગેર જિલ્લાના રહેવાસી છે. વર્ષ 1994માં જ્યારે તે કામની શોધમાં દિલ્હી આવ્યા તો તેમણે અહીંયા કચરો ઉપાડવાનું કામ શરૂ કર્યું. ત્યારબાદ તે સ્વયંસેવી સંગઠન ચિંતન સાથે જોડાયા. વર્ષ 2008માં ચિંતનની મદદથી જ સફાઈ સેનાની રચના કરવામાં તેમની મોટી ભૂમિકા હતી. જયપ્રકાશના જણાવ્યા પ્રમાણે,

"અમારી સંસ્થા છેલ્લાં સાત વર્ષોથી ડોર ટૂ ડોર કચરાપેટીમાંથી કચરો ઉઠાવવાનું કામ કરે છે. અમને માત્ર એ જ વાતની ફરિયાદ છે કે સફાઈ સેનાને જે અધિકાર મળવા જોઈએ તે હજી સુધી નથી મળ્યા અને તેની ચર્ચા અમે દર અઠવાડિયે થતી બેઠકમાં કરીએ છીએ."

જયપ્રકાશ ચૌધરીને એ વાતનું દુઃખ છે કે જે ઘરમાંથી તેઓ કચરો ઉપાડે છે તે લોકો પણ તેમને નથી ઓળખતા તો સરકાર પાસેથી શું અપેક્ષા રાખી શકાય. તેમ છતાં તેઓ પોતાના કામમાં બેદરકારી રાખતા નથી.

image


લેખક- હરિશ બિશ્ત

અનુવાદક- એકતા રવિ ભટ્ટ