સમાજના તમામ રસ્તાઓ બંધ થતાં વૃદ્ધાશ્રમમાં રહેવા મજબૂર બનેલા લીંબડીના વિનોદરાયે સ્વકલાના જોરે શરૂ કરી નવી ઇનિંગ!

સમાજના તમામ રસ્તાઓ બંધ થતાં વૃદ્ધાશ્રમમાં રહેવા મજબૂર બનેલા લીંબડીના વિનોદરાયે સ્વકલાના જોરે શરૂ કરી નવી ઇનિંગ!

Wednesday April 06, 2016,

5 min Read

દરેકના જીવનમાં ઉતાર ચઢાવ તો આવતા જ હોય છે, પણ જો વ્યક્તિ સંકટ સમયની સમસ્યાને સમાધાનમાં ફેરવી નાંખે તો વિઘ્નને પણ વિનાયક બનાવી શકાય છે. જીવનમાં જો પડકાર આવે તો જ વ્યક્તિને પોતાનામાં રહેલા વ્યક્તિત્વ, સમાધાનકારી સમજ અને કૌશલ્યની ઓળખ થઇ શકે છે. તમને જીવનના દરેક પથમાં સફળતા મળતી રહે તો તે પણ એક સમયે કંટાળાજનક જિંદગી લાગશે, પણ જો જીવનમાં થોડા પડકાર-વિઘ્નો અને પરીક્ષા આવે તો જીવન જીવવાનું જોમ બદલાઇ જાય છે અને જાણે તમે રોજ નવી સવાર જોતા હોય તેવો અહેસાસ થાય છે. દરેક પળ પળને તમે માણતા અને તેની કિંમત સમજતા થઇ જાવ છો. આ પ્રકારના વાતાવરણને કારણે જિંદગી જીવવાનું નવું જોમ પેદા થાય છે. એટલે જ કહેવાય છે ને કે ‘કોઇ સૌભાગ્ય તમારા હાથમાંથી લઇ જશે પણ કોઇ તમારા નસીબમાંથી નહીં લઇ જાય,’ જો તમારામાં કૌશલ્ય અને આવડત હશે તો બધુ જ છીનવાઇ ગયું હશે તો પણ તમે કુશળતાના આધારે જીવનને સાનુકુળ બનાવી શકશો. આજની વાત પણ એક એવા કૌશલ્યવાનની છે જેને જીવનની તમામ સફળતા મેળવ્યા બાદ પોતાનું સર્વસ્વ ખોઇ દીધું હોવા છતાં જીવનના આખરી પળોમાં પણ પોતાની કુશ‌ળતાના આધારે આર્ટને વધુ નિખારી રહ્યા છે.

image


આપણા સમાજમાં સફળ વ્યક્તિને સૌ કોઇ માન આપે છે પણ તેજ વ્યક્તિ નિષ્ફળ બને તો સગા પણ હાથ પકડતા નથી. 63 વર્ષના વિનોદરાય રાવલ કે જે એક સમયના ખૂબ સારા આર્ટી‍સ્ટ, જે હાલ પીપળજ પાસેની એક કચ્છી કડવા પાટીદારની સ્કૂલમાં આર્ટ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યાં છે, જેમણે જીવનમાં સફળતાના પણ તમામ શીખરો જોયા અને નિષ્ફળતાની તમામ ખાઇઓ પણ માણી. તેમ છતાં જિંદગી જીવવાની ખેવના છોડ્યા વિના આર્ટને જીવન બનાવી વૃદ્વાવસ્થાને માણી રહ્યાં છે.

લીંબડીના વતની વિનોદ રાવલને બાળપણમાં પરિવારની આર્થિ‌ક સ્થિતિ નબળી હોવાના કારણે ફાનસના અજવાળામાં ભણવું પડ્યું, તેમના પિતા ખૂબ સારા પોટ્રેટ અને કેન્વાસ પેઇન્ટીંગ બનાવતા હતા, પરંતુ આ પ્રોફેશનમાં જે તે સમયમાં એટલી આવક નહોતી.

image


જોકે પોતાની કલા, પ્રોફેશનથી પરિવારના 5 દીકરા અને એક દીકરીનું ભણતર અને સારું જીવન આપવું શક્ય ન હતું જેના કારણે તેમના પરિવારને ઘણી મુશ્કેલી સહન કરવી પડતી હતી. જોકે, બાળપણથી જ ભણવામાં હોંશિયાર વિનોદરાયે 14 વર્ષની ઉંમરમાં સામાન્ય વિદ્યાર્થી કરતા પહેલા અભ્યાસ પૂર્ણ કરી લીધો હતો. 3 ઇડિયટના રેંચોની જેમ બીજા ધોરણમાં હતા અને તે ચોથા ધોરણમાં ભણતા પકડાતા અધિકારીએ તેમની ચોથા ધોરણની પરીક્ષા લીધી જેમાં પાસ થતા તેમને ત્રીજું ધોરણ ભણવાની જરૂર પડી નહતી. પિતાના નિધન બાદ પરિવારના મોટા દિકરા હોવાના કારણે ત્રણ ભાઇ અને બહેનની જવાબદારી તેમના ઉપર આવી જતા દિવસની ચાર નોકરી કરવાની જરૂર પડી હતી. જોકે ભણવાની સાથે ડ્રોઇંગ માસ્ટર અને આર્ટ માસ્ટરમાં પ્રથમ ક્રમાંકે પાસ થયા હતા. આર્ટ કરિઅરની શરૂઆતમાં અનેક કંપનીઓ અને સંસ્થા માટે સારા પેઇન્ટિંગ્સ બનાવ્યા હતા. શરૂઆતના સમયમાં કરેલી મહેનત અને સારા કામને પગલે અમદાવાદની ઘણી બઘી નામચીન શોપ્સ અને કંપનીઓના લોગો અને સિમ્બોલ્સ બનાવવા માટે આમંત્રિત કરાયા હતા. અને તેમણે બનાવેલા કંપનીના લોગો આજે પણ ઘણા વખણાય છે. જોકે સફળતાની આ મંજિલ તરફ જતા તેમને બેંગકોક જવાનો મોકો મળ્યો હતો, જ્યાં તેમને મ્યુઝીયમમાં પેઇન્ટિંગ અને આર્ટ બનાવવાની ઓફર મળી અને જ દરમિયાન તેમને કરેલા આર્ટને ઘણી નામના અપાવી હતી. જોકે આ તો સફળતાની સીડીનું પહેલુ પગથિયું હતુ. જ્યારબાદ વિનોદરાયને બેંગકોક બાદ હોંગકોક, બીંજીંગ, સિંગાપોર અને બીજા ઘણાં બધા દેશોની મુલાકાત લીધી અને ઘણી કંપની માટે આર્ટના કામ પણ કર્યા, જેના કારણે તેમણે ન ઇચ્છેલી સફળતા પણ પ્રાપ્ત કરી. તેમણે લગ્ન કરી પોતાનું પારિવારીક જીવન પણ સુખમય રીતે વીતાવ્યું. તેમના લગ્નમાં તે સમયના ગર્વનર પણ હાજર રહ્યા હતા. તેમની પત્નીએ પણ સફળતાના સમયમાં ખૂબ સહકાર પણ આપ્યો હતો. તે પ્રથમ આર્ટી‍સ્ટ હતા જેમણે રંગોળી સ્ટીકરની ગુજરાતમાં શરૂઆત કરી અને જયારબાદ મોટા પ્રમાણમાં મુંબઇ પણ વેચવા માટે મોકલતા હતા. મુંબઇના આર્ટના કામકાજ દરમિયાન ઘણા બોલિવૂડના મિત્રો બનાવ્યા હતા જેમાં ગુલઝાર તેમના ખાસ મિત્ર હતા.

જોકે આતો વાત થઇ જીવન દરમિયાન મેળવેલી સફળતાની. કહેવાય છે ને કે બે દાયકા સુખના તો એક દાયકો દુ:ખનો આવતો હોય છે તેમ વિનોદરાયના જીવનમાં કપરા ચઢાણ શરૂ થયા. જોકે પરિવારમાં એક બાળક પણ આવ્યું જેણે તેમનું જીવન હર્યુંભર્યું બનાવી દીધું. તેમની યુવાનીમાં સફળતાની સાથે તેમનું કૌટુંબિક જીવન પણ સારી રીતે ચાલતું હતું. પરંતુ થોડા વર્ષો બાદ શું ખબર સફળતા અને સુખને પણ તેમની ઈર્ષ્યા આવી હોય તેમ સુખી સંસાર એકાએક પડી ભાંગ્યું.

જોકે પરિવાર છૂટો પડતા તેમની સંપત્તિ પણ જાણે છૂટી પડવા માડી. જોતજોતામાં પરિવાર વિખૂટો થઇ ગયો અને વિનોદરાય, તેમના પત્ની અને ખાસ કરીને દીકરાથી છૂટા પડીને ભાંગી ગયા હતા. છેલ્લાં ૧૭ વર્ષોથી તેઓ પોતાના દીકરાને મળવા માટે તલસે છે. તેનું નામ આવતા જ તેમની આંખમાં આંસુ આવી જાય છે.

image


તેમની પાસે સફળતા અને સુખ ન રહેતા કોઇ તેમને રાખવા પણ તૈયાર ન હતું, જેને પગલે જિંદગીના છેલ્લા પડાવમાં તેમણે વૃદ્વાશ્રમનો સહારો લેવો પડ્યો. જોકે આર્ટ પ્રત્યેની તેમની કામગીરી અને પ્રેમે તેમને આ દુઃખના સમયમાં પણ સાથ આપ્યો અને આર્ટને જ જિંદગીનો સહારો બનાવી દીધો. તે જે વૃદ્વાશ્રમમાં રહેતા હતા તે સંસ્થાને પોતાની શાળા હતી, જ્યાં વિનોદરાય વિદ્યાર્થીઓને આર્ટ અને પેઇન્ટિંગ શીખવતા હતા. જોકે તેમને દીલમાં એક દર્દ હતું કે પોતાનામાં આવડત છે તો પછી શા માટે તેને વૃદ્વાશ્રમમાં રહીને વેડફવી? અને એટલે જ તેમણે લીંબડી (તેમનું વતન)ની એક સંસ્થાનો સંપર્ક કર્યો, જ્યાં વિનોદરાયને આર્ટ ટીચર તરીકે કામ કરવા આમંત્રિત કર્યા અને રહેવા કરવાની તમામ સગવડ કરી આપી. જિંદગીની જ્યાંથી શરૂઆત કરી હતી તેવા પોતાના વતન લીંબડીએ જ જરૂરિયાતના સમયે સહારો આપ્યો હતો. જોકે તેમના રહેલી ક્ષમતાને ફરી નિખાર મળ્યો અને પીપળજ પાસેના કચ્છી કડવા પાટીદારની સ્કૂલમાં તેમને આર્ટ ડિરેક્ટર તરીકે પસંદ કરવામાં આવ્યા. વિનોદરાય હાલના દિવસોમાં કચ્છી કડવા પાટીદારની સ્કૂલમાં વિદ્યાર્થીઓને ક્રિએટીવ આર્ટ અને પેઇન્ટિંગ શીખવી પોતાની આખરી અવસ્થાને જીવી નહીં પણ માણી રહ્યા છે.

વધુ માહિતગાર થવા ફેસબુક પર અમારી સાથે સંપર્કમાં રહો.