અમદાવાદમાં રહેતો ૧૪ વર્ષનો હર્ષવર્ધન છે એક ટેક કંપનીનો CEO!

મળો અમદાવાદમાં રહેતા ૧૪ વર્ષના ટેકપ્રેન્યોર હર્ષવર્ધનસિંહને! મિત્રો સાથે મળી સ્થાપી એક કંપની!

અમદાવાદમાં રહેતો ૧૪ વર્ષનો હર્ષવર્ધન છે એક ટેક કંપનીનો CEO!

Friday March 18, 2016,

3 min Read

સામાન્ય રીતે વિચારીએ તો ૧૪ વર્ષનો એક ટીનેજર શું કરે? સ્કૂલ જાય, ટ્યુશન જાય, પોતાને ગમતી કોઈ પ્રવુત્તિ કરે, ફ્રેન્ડસ જોડે મસ્તી કરે. પણ અમદાવાદનો આ ટીનેજર કંઇક અલગ જ છે. 

image


૧૨ વર્ષની ઉંમરે જ તે બની ગયો એક ટેક કંપનીનો ફાઉન્ડર અને CEO. તેનું નામ છે હર્ષવર્ધનસિંહ ઝાલા અને તે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહે છે. હાલ તે સર્વોદય વિદ્યામંદિરમાં ધોરણ ૯માં અભ્યાસ કરે છે. અને તેની કંપનીનું નામ છે રોબોસોફ્ટ તેમજ તે અંતર્ગત તેને એરોબોટીક્સ 7ની પણ સ્થાપના કરી છે. હર્ષ અને તેના મિત્રો ભેગા થઇ આ ગ્રુપમાં કામ કરે છે. 

જોકે હર્ષના જણાવ્યા પ્રમાણે આ કંઈ છેલ્લા ૨ વર્ષની જ વાત નથી પરંતુ તે ધોરણ ૩માં હતો ત્યારથી જ રોબોટ્સ બનાવી રહ્યો છે. અત્યાર સુધી હર્ષ ૪૨ પ્રોજેક્ટ્સ પર કામ કરી ચૂક્યો છે. જ્યારે કે ૮ રોબોટ્સ અને ૫ ડ્રોન્સ પણ બનાવી ચૂક્યો છે. 

image


હર્ષવર્ધન આ અંગે જણાવે છે,

"અમે રોબોટ્સ અને ડ્રોન્સ એટલે બનાવીએ છીએ જેથી લોકોને મદદ કરી શકીએ. ત્રીજા ધોરણથી આ બધું કરતો હતો પણ જ્યારે સાતમા ધોરણમાં આવ્યો ત્યારે બિઝનેસનો વિચાર આવ્યો. તે સમયે બિઝનેસ અંગે રીસર્ચ પણ કર્યું અને મારા મિત્રોને આમાં જોડ્યા અને આ સ્ટાર્ટઅપ શરૂ કર્યું."

હર્ષે બનાવેલા રોબોટ્સ અને ડ્રોન્સનો ઉપયોગ દેશની સુરક્ષામાં પણ થઇ શકે તેમ તેનું કહેવું છે સાથે જ પાયલોટ બનવા માગતા લોકોને પણ તે ઉપયોગી સાબિત થઇ શકે તેમ છે, તેના જણાવ્યા પ્રમાણે તેણે બનાવેલા ડ્રોન્સનો વિવિધ ૧૭ રીતે ઉપયોગ થઇ શકે છે.

"સ્કૂલ મને પ્રોત્સાહિત કરે તો વધુ મજા આવે"

હર્ષનું કહેવું છે કે તેના માતા-પિતા તરફથી માનસિક અને આર્થિક રીતે બધી રીતે સહકાર મળે છે અને એટલે તે આટલો આગળ વધી શક્યો છે. પરંતુ તેની સ્કૂલમાંથી તેને કોઈ પ્રકારનો સહયોગ નથી મળી રહ્યો. આ અંગે હર્ષ જણાવે છે,

"મને મારી સ્કૂલ તરફથી કોઈ સહયોગ નથી મળી રહ્યો. જો મારી સ્કૂલ પણ મને પ્રોત્સાહિત કરે તો વધુ સારી રીતે કામ કરી શકું."

હર્ષવર્ધનના પિતા એક ખાનગી કંપનીમાં અકાઉન્ટન્ટ છે તો તેના મમ્મી હાઉસમેકર છે. અને તે બંનેના પ્રોત્સાહનના કારણે હર્ષને હજુ વધુ આગળ વધવાની અને કંઇક નવું, સમાજને ઉપયોગી થાય તેવું કરવાની પ્રેરણા મળે છે.

વડાપ્રધાનને મળવાની ઈચ્છા!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિયાન 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા'થી તેને ચોક્કસ લાભ થશે તેમ હર્ષનું માનવું છે. પરંતુ સાથે જ તેનું કહેવું છે,

"આ અભિયાનમાં હજી નેટવર્કિંગ પર ભાર મૂકાય તો તેનો વધુ લાભ થઇ શકે તેમ છે. મને હજી નેટવર્કિંગની જરૂર છે. હું પણ 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા' સાથે જોડાઈને વધુ સારું કામ કરવા માગું છું. પણ હું મારી આ વાત તેમણે રૂબરૂમાં મળીને કહેવા માગું છું. અત્યાર સુધી ભારત સરકારનો સૌ સ્ટાર્ટઅપ્સને સારો સહકાર મળી રહ્યો છે."

આગામી સમયમાં હર્ષ આંતરરાષ્ટ્રીય ધોરણે પણ પોતાના સ્ટાર્ટઅપને શોકેઝ કરશે. અત્યાર સુધી તે વાઈબ્રન્ટ સાયન્સ સમિટમાં પોતાના ઇનોવેશન્સ માટે અવોર્ડ પણ જીતી ચૂક્યો છે. તો તે મેકર્સ ફેસ્ટ 2016માં પણ ભાગ લઇ ચૂક્યો છે.

ભવિષ્યમાં શું કરવાની ઈચ્છા છે તે અંગે હર્ષવર્ધન જણાવે છે,

"મારે રોબોટિક્સમાં PhD કરવું છે અને એપ્પલ કંપનીને પણ ટક્કર મારે તેવી એક કંપની બનાવવી છે."