અંધકારમાં જ્યોત પ્રગટાવવા શું જોઇએ? – ‘દ્રષ્ટિ કે દ્રષ્ટિકોણ?’

અંધકારમાં જ્યોત પ્રગટાવવા શું જોઇએ? – ‘દ્રષ્ટિ કે દ્રષ્ટિકોણ?’

Wednesday October 14, 2015,

4 min Read

જે દેશમાં ક્રિકેટ એક પૂજા અને સચિન તેંડુલકરને તેના ભગવાન હોય તો એ વાત સમજવી સહેલી છે કે ભારતના લોકોના દિલ અને દિમાગ પર ક્રિકેટ કઈ હદે છવાયેલું છે. જૉર્જ અબ્રાહમ પણ ક્રિકેટના આ જાદુથી બાકાત નહોતા રહી શક્યા, પરંતુ તેમના પર છવાયેલો આ જાદુ પોતાના માટે નહીં પરંતુ દ્રષ્ટિહીન લોકો માટે હતો. એવા દ્રષ્ટિહીન લોકો જેઓ ક્રિકેટને એટલું જ પસંદ કરતા હતા જેટલું અન્ય લોકો. જૉર્જ જ્યારે દહેરાદૂનમાં દ્રષ્ટિહીન સ્કૂલના ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા ત્યારે તેમને આ વાતનો એહસાસ થયો હતો. ત્યાં તેમણે જોયું કે, બાળકો સવારે ઊઠતાંની સાથે જ ક્રિકેટ રમવાનું શરૂ કરી દેતા અને સ્કૂલથી પાછા આવીને, જમ્યા પછી ફરીથી ક્રિકેટ રમવામાં લાગી જતા.

ખોટા દ્રષ્ટિકોણને કારણે જીવનની દોડમાં પાછળ રહી જવાય છે!

image


દસ મહિનાની ઉંમરમાં એક બીમારીને કારણે જૉર્જની ઓપ્ટિક તંત્રિકા અને રેટિના ખરાબ થઇ ગઇ હતી. જેના કારણે તેઓ દ્રષ્ટિહીન થઇ ગયા. હિંમત હાર્યા વગર માતા પિતાએ નિર્ણય કર્યો કે તેઓ પોતાના બાળકના ભવિષ્યને સારી રીતે સજાવશે અને તેમણે જૉર્જનું એડમિશન સામાન્ય બાળકોની સ્કૂલમાં જ કરાવ્યું. માતાપિતાના આ નિર્ણયને કારણે જૉર્જે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. જૉર્જ કહે છે, “મારા જેવા બાળકો વિકલાંગ હોવાના કારણે નહીં પરંતું લોકોના ખોટા દ્રષ્ટિકોણને કારણે જીવનની દોડમાં પાછળ રહી જાય છે.” પોતાને અન્યની સરખામણીમાં સક્ષમ પુરવાર કરવા માટે જોર્જે એક એડ એજન્સી ખોલવા ઉપરાંત ‘વર્લ્ડ બ્લાઇન્ડ ક્રિકેટ કાઉન્સિલ’ની પણ સ્થાપના કરી. આ તો ફક્ત શરૂઆત હતી. તેના પછી તો જૉર્જે એવા ઘણાં કામો કર્યા જે અન્યો માટે દાખલારૂપ સાબિત થયા.

પોતાના બાળપણના દિવસો યાદ કરતા જૉર્જ કહે છે કે, તેમને ક્રિકેટ, સંગીત અને ફિલ્મો જોવાનો ખૂબ શોખ હતો અને તેઓ મોટા થયા ત્યારે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ડેનિસ લિલી તેમના હિરો હતા.

મિત્રોના સહકાર અને માતાપિતાના વિશ્વાસને કારણે આત્મવિશ્વાસ વઘ્યો

જૉર્જ કહે છે કે બાળકોમાં ભેદભાવ કરવાની ક્ષમતા નથી હોતી. આજ કારણે શરૂઆતમાં જે સાથી બાળકો તેમનો મજાક ઉડાવતા હતા એજ બાળકો સમય જતા જૉર્જના ખાસ મિત્રો બની ગયા. જૉર્જના મિત્રો રમતના મેદાનમાં પણ તેમનું ધ્યાન રાખતા એટલું જ નહીં તેઓ જૉર્જને સાથે રમવા માટે પણ પ્રોત્સાહિત કરતા. મિત્રો તરફથી મળી રહેલા સહકાર અને માતા પિતાના વિશ્વાસને કારણે જૉર્જનો આત્મવિશ્વાસ વઘ્યો. આજ કારણે 16 વર્ષની ઉંમરે તેમણે એકલાએ ટ્રેનમાં મુસાફરી કરી.

image


1982માં જૉર્જે જાહેરાતની દુનિયામાં પગ મૂક્યો. કંપનીએ તેમની ટ્રાન્સફર મુંબઇ કરી દીધી જ્યાં જૉર્જને નવા મિત્રો મળ્યા. ત્રણ વર્ષ મુંબઇમાં કામ કર્યા પછી જૉર્જના લગ્ન થયા અને તેઓ પાછા દિલ્હી આવી ગયા. દિલ્હીમાં થોડા વર્ષો સુધી નોકરી કર્યા પછી જૉર્જ દ્રષ્ટિહીનોના કલ્યાણના કાર્યોમાં લાગી ગયા. જૉર્જનું માનવું છે કે સ્પોર્ટ્સ વ્યક્તિમાં રહેલા જુનૂનને પ્રદર્શિત કરે છે.

સુનિલ ગાવસ્કર અને કપિલદેવે જૉર્જની ખૂબ મદદ કરી

ક્રિકેટની વાત નીકળતા જૉર્જ કહે છે તેમણે જ્યારે દ્રષ્ટિહીનો માટે ક્રિકેટની યોજના બનાવી ત્યારે સૌપ્રથમ તેમણે સુનિલ ગાવસ્કર અને કપિલદેવ પાસે મદદ માંગી. બન્નેએ કહ્યું કે તેમની પાસે સમય નથી પણ જૉર્જ તેમના નામનો ઉપયોગ આ ઉમદા કાર્યમાં કરી શકે છે. આ વાત જૉર્જ માટે ખૂબ જ મદદરૂપ પુરવાર થઇ કારણ કે, આ બન્નેના નામ પર લોકોને મજબૂત વિશ્વાસ હતો. ત્યારબાદ જૉર્જે દ્રષ્ટિહીનો માટે ક્રિકેટ મેચ અને ટૂર્નામેન્ટ આયોજિત કરવાની શરૂઆત કરી.

સરકાર તરફથી એવોર્ડ મળ મુસ્કેલીઓ થઇ આસાન

1993માં મળેલા સંસ્કૃતિ એવોર્ડે તો તેમના માટે આ ક્ષેત્રમાં અનેક નવા દરવાજા ખોલી આપ્યા. ધીરે ધીરે મીડિયા પણ તેમની વાતોને ગંભીરતાથી લેવા લાગ્યું. જેના કારણે અન્ય લોકો પણ તેમની મદદ માટે સામે આવવા લાગ્યા. મોટા પ્રમાણમાં સમર્થન મળવાને કારણે હવે તેઓ દ્રષ્ટિહીનો માટે વર્લ્ડકપની યોજના બનાવવા લાગ્યા. દ્રષ્ટિહીનો માટે સંશોધનોની વ્યવસ્થા કરવી એ સૌથી મોટો પડકાર હતો. હાર માન્યા વગર 1996માં ‘વર્લ્ડ બ્લાઇન્ડ ક્રિકેટ કાઉન્સિલ’ની સ્થાપના થઇ અને તેમાં દુનિયાના સાત દેશો જોડાઇ ગયા.

image


... અને દ્રષ્ટિહીનો માટેના પ્રથમ ક્રિકેટ વર્લ્ડકપની બ્લૂ પ્રિન્ટ તૈયાર થઇ!

આ સાત દેશોએ સાથે મળીને કાઉન્સિલની રચના કરી, દ્રષ્ટિહીનો માટે રમતના નિયમો અને રમત સાથે જોડાયેલા ઉપકરણો અંગે ચર્ચા કરી. અને 1998માં દ્રષ્ટિહીનો માટેના પ્રથમ ક્રિકેટ વર્લ્ડકપની બ્લૂ પ્રિન્ટ તૈયાર થઇ ગઇ. દિલ્હીમાં આયોજીત પ્રથમ ક્રિકેટ વર્લ્ડકપની ફાઇનલ મેચ સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે રમાઇ જેમાં સાઉથ આફ્રિકાની જીત થઇ. ઉલ્લેખનીય છે કે, આ ટૂર્નામેન્ટ માટે ભારત સરકારે 50 લાખ રૂપિયા આપવાનું વચન આપ્યુ હતું પણ ટૂર્નામેન્ટ આયોજીત થઇ ત્યારે અણીના સમયે ભારત સરકારે પ્રાયોજકોમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું. અન્ય નાના નાના સમર્થકો પાસેથી ફંડની વ્યવસ્થા કરવામાં આવી. જૉર્જ જણાવે છે કે, આવી કટોકટીના સમયે ગ્વાલિયરના મહારાજા માધવ રાવ સિંધિયાની સરકારે દ્રષ્ટિહીનો માટેના પ્રથમ ક્રિકેટ વર્લ્ડ કપ માટે 20 લાખ રૂપિયાની મદદ કરી.

હવે ટીવીમાં નસીરૂદ્દીન શાહ સાથે જોવા મળશે જૉર્જનો જુસ્સો

વર્ષ 1999માં જૉર્જે દ્રષ્ટિહીનો માટે વ્યક્તિત્વ વિકાસની વર્કશોપ્સનું આયોજન કરવાની શરૂઆત કરી. જેથી કરીને દ્રષ્ટિહીન યુવક-યુવતીઓ પોતાના પગ પર ઉભા રહી શકે અને પોતાનામાં રહેલી ક્ષમતાઓનો ઉપયોગ કરી જીવનમાં પ્રગતિ કરે. તાજેતરમાં જ જૉર્જે એક ટેલિવિઝન સીરિયલનું નિર્માણ કર્યું છે. ‘નજર યા નજરિયાં’ નામક આ સીરિયલના દરેક એપિસોડના અંતમાં ફિલ્મ એક્ટર નસીરૂદ્દીન શાહ જૉર્જને સાઇન ઓફ કરતા દેખાય છે.