‘ભૂકંપમાં મૃત:પ્રાય થઇ ગયેલા નેપાળમાં ગુજરાતી જયરાજની એડવેન્ચર લાઇફ’

‘ભૂકંપમાં મૃત:પ્રાય થઇ ગયેલા નેપાળમાં ગુજરાતી જયરાજની એડવેન્ચર લાઇફ’

Wednesday December 09, 2015,

5 min Read

ગુજરાતીમાં એક કહેવત છે કે ‘એકતા સંકટ સમયની સાંકળ છે’, જ્યારે પણ કોઇ પણ વ્યક્તિ કે ગ્રુપ કોઇ સંકટ કે કુદરતી આફતમાં ફસાયા હોય તે સમયે ધીરજ દાખવીને જો એકતાથી તેનો સામનો કરવામાં આવે તો તેની સામે ઝઝૂમવા હિંમત પણ મળે છે અને તેનો આસાનીથી ઉકેલ લાવી શકાય છે. આવો જ એક કિસ્સો અમદાવાદના રહેવાસી અને ફિલ્મ ડિરેક્શન સાથે ડોક્યુમેન્ટરીનું કામ કરનારા જયરાજસિંહ ચાવડા સાથે નેપાળમાં ઘટ્યો હતો. નેપાળના એપ્રિલ 2015ના વિનાશકારી ભૂકંપ સમયે જયરાજ સિવાય વિશ્વના અનેક દેશના આર્ટીસ્ટસ અને ડોક્યુમેન્ટર્સ ત્યાં કામ કરી રહ્યા છે. આખી દુર્ઘટના સમયે તમામે એકબીજાને સાથ આપી આ ઘટનાને સમજવા અને તેમાંથી બહાર આવવા યુનિટી દાખવી અને પોતે જે કામના આશયથી નેપાળમાં ભેગા થયા તે કામને પણ પૂર્ણ કરી પોતપોતાના દેશ પાછા ફર્યા હતા. હવે વાત શરૂ થાય છે.. જયરાજના નેપાળ જવાની અને ત્યાંની તેની આપવીતીની.

image


નેપાળના કાઠમંડુમાં એપ્રિલ 2015માં ‘યુનિવર્સલ રીલીજીયન - સાયટ્રન્સ મ્યુઝીક ફેસ્ટીવલ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલમાં દેશ-વિદેશના નામાંકીત મ્યુઝિશિયન અને કોમ્પોઝર્સ પોતાનું પ્રેઝન્ટેશન અને શો રજૂ કરવાના હતા. આ આખા ફેસ્ટિવલના કવરેજ અને ડોક્યુમેન્ટેશન માટે અમદાવાદના જયરાજસિંહ ચાવડાને કામ સોંપવામાં આવ્યું હતું. જેના પ્રોજેક્ટ અર્થે જયરાજ કાઠમંડુ પહોંચી ગયો હતો. અને આ ઇવેન્ટના 36 કલાક પહેલા જ ઇવેન્ટ મેનેજર્સ દ્વારા કેન્સલ કરવાની વાત તેમના ઓફિસિયલ સાઇટ્સ પર મૂકવામાં આવી હતી, પરંતુ વાત એ હતી કે જાહેરાત કરવામાં આવી તે પહેલા મોટાભાગના આર્ટીસ્ટ અને ડોક્યુમેન્ટર્સ દેશ-વિદેશથી પહોંચી ગયા હતા. અને મોટાભાગના લોકોએ ઇવેન્ટના પાસ ખરીદી લીધા હતા. જેના કારણે ઇવેન્ટ કેન્સલ થતાં લોકોમાં અને આર્ટીસ્ટમાં રોષ હતો. આ ઇવેન્ટ કેન્સલ કરવાનું કારણ માત્ર ઇવેન્ટ પ્લેસની પરવાનગીનું હતું. જેથી તમામ ચાહકો અને આર્ટીસ્ટ્સની લાગણીને ધ્યાને રાખીને ઇવેન્ટ મેનેજર્સ દ્વારા આ ઇવેન્ટ શહેરથી થોડા દૂર એક માઉન્ટેઈન પર નાના પાયે ગોઠવવામાં આવ્યું હતું. તમામને તે સ્થળે લઇ જવા માટે બસ રાખવામાં આવી હતી. જ્યારે જયરાજ અને બીજા વિદેશી કલાકારો આ બસમાં બેસી માઉન્ટેઈન પર જવા નીકળ્યા ત્યારે એકાએક બસ હલવા લાગી હતી, શરૂઆતમાં બધાને સામાન્ય લાગ્યું પણ થોડીવાર સુધી ધ્રુજારી ચાલુ રહેતા બસ ઉભી રાખી અને બધાએ પાછળ વળીને જોયું તો બિલ્ડીંગ્સ પત્તાના મહેલની જેમ પડી રહી હતી અને લોકો ભાગમભાગ કરી રહ્યા હતા. આટલી ઘટનાથી બધા સમજી ગયા હતા કે આ કોઇ સામાન્ય ભૂકંપ નથી પણ મહાઆફત આવી છે.તમામે પરત જવાની વાત કરી પણ એકાઅક આવી પડેલી આફતને પગલે સરકાર દ્વારા તુરંત એરપોર્ટ બંધ કરી દેવાયા હતા અને ફોન ટાવર્સ પણ પડી ગયા હતા.આવી પરિસ્થીતિમાં બધાએ ભેગા મળી પાછા જવાની જગ્યાએ માઉન્ટેઈન પર જવાનું નક્કી કર્યુ હતું.

image


આ સાથે જ જયરાજ અને તેની સાથે રહેલા વિદેશી સંગીતકારોએ માઉન્ટેઈન પર પહોંચી જેમ તેમ પોતાના માટે શેલ્ટરની વ્યવસ્થા કરી. કારણકે 500થી પણ વધુ લોકો આ ઇવેન્ટ માટે અહીં આવ્યા હોવાથી રહેવા જગ્યા પણ ઓછી પડી ગઇ હતી. આવી પરિસ્થીતિમાં આ જગ્યા સૌથી સુરક્ષિત હોવાથી ત્યાં જ થોડા દિવસો ગાળવાનું નક્કી કર્યું અને ચાર દિવસની ‘યુનિવર્સલ રીલીજીયન’ મનાવવાની શરૂઆત કરી. આવી દુર્ઘટના ઘટી હોવાથી તેમણે મોટેથી મ્યુઝીક ન વગાડ્યું કે ના તો કોઈ પ્રકારની ઉજવણી કરી, પણ આખી દુર્ઘટનાને ભૂલાવી સામાન્ય જીવનની જેમ માણવાની કોશીશ કરી.

image


ભાષા અને ઓળખથી અજાણ, છતાં રચાયું વૈશ્વિક પરિવાર

ઇવેન્ટનું જે નામ હતું યુનિવર્સલ રિલીજીયન્સ તે ખરા અર્થમાં આ બધા જીવ્યા હતા. વિસમ પરિસ્થિતિમાં તે પર્વત પર રોકાયેલા ન તો એકબીજાની ભાષા જાણતા હતા, ન તો એકબીજાને ઓળખતા હતા. તેમ છતાં એકબીજાને સાથ આપીને આ દિવસો ગાળી રહ્યા હતા. તમામ પ્રકારના નાત જાતના અને રંગભેદ, ભાષાના વાડા ભૂલીને પરિવારથી પણ વધારે એકબીજાની નજીક આવી ગયા હતા અને એક વૈશ્વિક પરિવાર નેપાળના માઉન્ટેઈન પર રચાયો હતો.

image


ભોજન માટે જંગલમાંથી વસ્તુઓ લઇ આવતા

ઇવેન્ટમાં આવેલા માટે ફૂડની વ્યવસ્થા તો હતી પરંતું દુર્ઘટનાના થોડા દિવસ બાદ તો ચાલ્યું પણ બાદમાં વસ્તુઓ ખૂટી પડતા તે પર્વત નજીકના જંગલમાં જઇને ફળફળાદી-શાકભાજી અને બીજી વસ્તુઓ શોધી લાવી બધાની જઠરાગ્નિ ઠારતા હતા. આખું વાતાવરણ જોતા ‘વસુધૈવ કુટુમ્બકમ’ જેવી રચના ઉભી થઇ ગઇ હતી.

image


આફત સમયમાં પણ સૌએ પોતાનું આર્ટવર્ક ચાલુ રાખ્યું

આ આફત સમયમાં કલાકારો, સંગીતકારો અને ડોક્યુમેન્ટર્સે પોતાના કામ ચાલુ રાખ્યા હતા, મ્યુઝીશીયન્સ અને કમ્પોઝર્સ પોતાની આર્ટથી બધાને મનોરંજન પૂરું પાડતા હતાં સાથે ડોક્યુમેન્ટર્સ આખી ઘટનાને પોતાના કેમેરામાં કંડારી રહ્યા હતા અને આ દુર્લભ પરિસ્થિતિને કેવી રીતે જીવાય તેનું ડોક્યુમેન્ટેશન લોકોને બતાવવા કામ કરી રહ્યા છે. જેમાં અમદાવાદના જયરાજે આખી આફત સમયની તાદર્શ સીનને પોતાના કેમેરામાં કેદ કર્યા હતા.

image


જયરાજસિંહ ચાવડા જણાવે છે, 

“હું તો માત્ર ઇવેન્ટને કવર કરવા અને ડોક્યુમેન્ટેશન માટે ત્યાં ગયો હતો પણ આ વિષમ પરિસ્થિતિ અને અજાણ્યા લોકોએ પોતાની સાથે જીવેલી જિંદગીને કેમેરામાં કેદ કરી હતી. સાથે જ આ ઇવેન્ટની સાથે લોકોની લાગણીઓ અને યુનિટીની તાકાતને માણીને આવ્યો હતો. સાથે અનેક સબંધોને બનાવી આવ્યો હતો અને ઘણા સબંધો જીવીને આવ્યો હતો.ઇવેન્ટના નામને સૌ કોઇએ મ્હાલ્યું હતું અને માણીને સૌ કોઇ એકબીજા સાથે જીવ્યા હતા. જોત જોતામાં ચાર દિવસ માઉન્ટેઈન પર વીતાવી સૌ કોઇ પોતપોતાના દેશ જવા માટે રવાના થઇ ગયા હતા. જ્યારે એકલો પડ્યો ત્યારે આ યુનિટીની તાકાત સમજાઈ, અને આવા સમયે હિંમત કેટલી ઘટે છે તેની ખબર પડી."

અજાણ્યાને પોતાના બનાવવાની પળો પરની ફિલ્મ

image


જયરાજે પોતે અજાણ્યા વિદેશી કલાકારો સાથે વિતાવેલા દિવસો અને ત્યાંની મ્યુઝીક લાઇફને પોતાના કેમેરા ઝીલીને એક ફિલ્મ બનાવી છે. જેના માટે અમેરિકાના જાણીતા ઓથર પીટર મુને પોતાનો વોઇઝ આપ્યો છે, જ્યારે જર્મન આર્ટીસ્ટે થોડું મ્યુઝીક આપ્યું છે અને તેની 3D ઇફેક્ટ ધ્રુજારી અને લાઇફને સ્થ‌ળ પર જાગૃત કરે તેવી બનાવાઇ છે અન તમામ આર્ટીસ્ટે વિના મૂલ્યે ફિલ્મની થીમ જોઇને પોતાનું યોગદાન આપ્યું છે. સાથે જ આ ફિલ્મને ‘ટોરન્ટો નેપાલી ફિલ્મ ફેસ્ટીવલ’ માટે પણ મોકલવામાં આવી છે.

image