"હાથમાં ઝાડું લીધા વગર પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ શકો છો!" અભિષેક મારવાહે તૈયાર કરી વિશેષ 'કાર સ્વચ્છબિન'
Saturday April 30, 2016,
4 min Read
સ્વચ્છ ભારત અભિયાન હેઠળ લોકો પોતપોતાની રીતે પ્રયાસો કરી રહ્યાં છે, પણ એક વ્યક્તિ છે લોકોને સમજાવે છે કે ચાલતી કારમાંથી ન થૂંકશો, કેળાના છોતરાં અને ચાના ખાલી કપ બહાર ન ફેંકશો. આ વ્યક્તિનું નામ છે અભિષેક મારવાહ. એટલું જ નહીં કાર ચલાવતા લોકોને મહત્વની શીખ આપવા અભિષેકે વિશેષ પ્રકારના કચરાના ડબ્બા ડિઝાઈન કરાવ્યા છે જેને કોઈપણ વ્યક્તિ પોતાની કારમાં રાખી શકે છે અને કચરો બહાર ફેંકવા કરતા તેના ડબ્બાનો ઉપયોગ કરે છે. વારંવાર ઉપયોગમાં લઈ શકાય તેવા ડબ્બાઓને દેશના ખૂણે ખૂણે પહોંચાડવા માગે છે.
એન્જિનિયર અભિષેક મારવાહે બે વર્ષ પહેલાં સુધી વિવિધ કંપનીઓમાં કામ કર્યું હતું. લગભગ ચાર વર્ષ પહેલાં તેણે એક પુસ્તકમાં વાંચ્યું હતું કે જે વ્યક્તિ જ્યાં ત્યાં કચરો ફેંકે છે તે ખરેખર તો માનવતા પર કચરો ફેંકે છે. આ વાત અભિષેકના મનમાં ઘર કરી ગઈ. તે જ્યારે પણ બહાર હોય ત્યારે ટોફીના રેપર, ચાના કપ, ટિશ્યૂ પેપર જેવી બીજી વસ્તુઓ રસ્ચતા પર ફેંકવાના બદલે ગામડીમાં જ પોતાની પાસે રાખી લેતા અને યોગ્ય જગ્યાએ તેનો નિકાલ કરતા. આ ઉપરાંત તેણે અનુભવ્યું કે, તેઓ જ્યારે બીજા દેશમાં જતા ત્યારે તમામ વસ્તુઓનો યોગ્ય રીતે ઉપયોગ કરતા અને નકામી વસ્તુઓની ગમેત્યાં નહોતા ફેંકતા. સ્વદેશ પરત ફરતા જ આ વિચારો ક્યાંક ગાયબ થઈ જતા. અભિષેકને લાગ્યું કે, તેણે એકલાએ જ આસપાસના વાતાવરણમાં સાફસફાઈ કરવી પડશે.
અભિષેકે જોયું કે, મોટાભાગે કામ કરનારા લોકો સફર કરવા દરમિયાન કંઈક ખાતા પીતા હોય છે અને તે દરમિયાન રસ્તા પર કચરો નાખે છે. આ માટે કંઈક એવું કરવાનું નક્કી કર્યું જેના દ્વારા લોકો માટે સુવિધાજનક હોવાની સાથે તેઓ તેમાં પોતાનો કચરો પણ નાખી શકે. તે માટે તેણે લંચબોક્સના ડબ્બામાં થોડો ફેરફાર કરીને કચરાનો ડબ્બો તૈયાર કર્યો જેને ગીયર સાથે લટકાવી શકાય. લોકોમાં સફાઈ પ્રત્યે જાગરૂકતા લાવવા અભિષેકે જાતે જ વેબસાઈટ બનાવી અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો. અભિષેક જણાવે છે કે, તેણે ડિઝાઈન કરેલો કચરાનો ડબ્બો સારી રીતે ઉપયોગમાં લઈ શકાય છે. આ દરમિયાન લોકો દ્વારા મળેલી પ્રતિક્રિયા આશ્ચર્યજનક હતી. આ દરમિયાન તેને જાણવા મળ્યું કે લોકોને એ પણ નથી ખબર કે કારમાં કચરાપેટી રાખવી કેટલી જરૂરી છે. ત્યારબાદ અભિષેકે પોતાની નોકરી છોડી દીધી આ લોકોને સમજાવ્યું કે પોતાની આસપાસ સફાઈ કેટલી જરૂરી છે. અભિષેક જણાવે છે,
"જો આપણે આપણી કારની બહાર કચરો ફેંકવાનું બંધ કરી દઈએ તો રસ્તા પર 40 ટકા કચરો ઓછો થઈ જશે."
લોકોમાં સફાઈ અંગે જાગરૂકતા આવે તે માટે અભિષેકે સ્કૂલ, કોલેજ અને કોર્પોરેટ ઓફિસમાં અનેક સેમિનાર કર્યા છે. તે ઉપરાંત દિલ્હીમાં થનારા રાહગીરી જેવા કાર્યક્રમ અને વિવિધ શહેરોના નગર નિગમને પોતાની સાથે જોડવાનું કામ કરે છે. અભિષેકના મતે,
"જ્યારે આપણે ટોઈલેટમાં કચરાના ડબ્બા રાખવાનું જરૂરી માનીએ છીએ તો કારમાં કેમ ન રાખી શકીએ."
ત્યારબાદ તેમનો પ્રયાસ કાર ઉપરાંત રિક્ષામાં કચરાના ડબ્બા રાખવાનો છે. હાલમાં તે તેની ડિઝાઈન પર કામ કરી રહ્યાં છે.
અભિષેકે કાર માટે કચરાના ડબ્બાની ડિઝાઈન જે કરી તેમાં કેળાના છાલની ગંધ કારમાં નથી ફેલાતી, તેમાં ચાના કપ રાખી શકાય છે. તે ખાસ પ્રકારના પ્લાસ્ટિકથી બનેલો છે જેને સાફ કરીને ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે. આજે તેના ડિઝાઈન કરેલા ડબ્બાની માગ દેશના વિવિધ ભાગમાંથી આવી રહી છે. અભિષેક જણાવે છે,
"સ્વચ્છ ભારત અભિયાનનો ભાગ બનવા માટે લોકોનું માનવું છે કે હાથમાં ઝાડું લેવું પડે છે અને ખાસ જગ્યા જઈને ત્યાં કામ કરવું પડે છે. આપણે એમ નક્કી કરીએ કે કારમાંથી કચરો બહાર નહીં ફેંકીએ અને પ્રવાસ દરમિયાન કચરો ભેગો કરીશું અને યોગ્ય સ્થળે જ તેનો નિકાલ કરીશું. ત્યારે જ આપણે વાસ્તવિક રીતે સ્વચ્છ ભારત અભિયાનનો ભાગ બની શકીશું. લોકો જો આ રીતે પોતાની આદતમાં થોડો ફેરફાર કરી લે તો આપણા દેશમાં બધું સાફ અને સુંદર થઇ જશે."
અભિષેકના મતે દેશમાં જ નહીં વિદેશમાં પણ ઘણા લોકો છે જે નથી સમજતા કે કારમાં કચરાપેટી હોવી કેટલી જરૂરી છે. તે જણાવે છે કે, દુબઈ જેવા શહેરમાં કારની બહાર કચરો ફેંકનારને સખત દંડ થાય છે, તેમ છતાં અહીંયાના લોકો એ નથી જાણતા કે કારમાં કચરાનો ડબ્બો હોવો જોઈએ. તેના મતે લોકોમાં જાગરૂકતાનો અભાવ છે. અભિષેકના મતે તેના દ્વારા તૈયાર કરાયેલા કચરાના ડબ્બા વેબસાઈટ અને વોટ્સએપ દ્વારા માત્ર 235 રૂપિયામાં મળે છે. આ કિંમતમાં ડિલિવરી ચાર્જ પણ ઉમેરાયેલો હોય છે.
અભિષેક વધુમાં જણાવે છે,
"આ કામ શરૂ કરવા માટે મેં મારી બચત જોડી દીધી અને મારી કાર પણ વેચી દીધી. હું એક તરફ જ્યાં લોકોમાં ગંદકી અંગે જાગરૂકતા લાવવાનો પ્રયાસ કરું છું ત્યાં વેબસાઈટ દ્વારા લોકો પાસે આ અંગે વિચારો માગી રહ્યો છું. જો કોઈ આઈડિયા મને પસંદ આવે તો તેનો ઉપયોગ પ્રોડક્ટ બનાવવા માટે અને ડિઝાઈનના બદલે રોયલ્ટી આપવા પણ તૈયાર છું."
લેખક- ગીતા બિશ્ત
અનુવાદક- એકતા રવિ ભટ્ટ
'સ્વચ્છતા અભિયાન'ને લગતી સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો
આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:
૧૦૪ વર્ષના કુંવરબાઈએ પોતાની બકરીઓ વેચીને ઘરમાં શૌચાલય તૈયાર કરાવ્યું!