જીવનમાં ક્યારેય કમજોર પડો તો કેન્સર સામે જીતનાર 'આનંદા'ની સ્ટોરી જરૂર વાંચો

જીવનમાં ક્યારેય કમજોર પડો તો કેન્સર સામે જીતનાર 'આનંદા'ની સ્ટોરી જરૂર વાંચો

Thursday December 24, 2015,

6 min Read

આનંદાએ કેન્સરને હાર આપી જિંદગીને જીતી લીધી

કેન્સરની પીડામાંથી બહાર આવીને આનંદા આજે પણ તેમના નૃત્ય લય દ્વારા તેમના જીવનની પ્રફૂલ્લિત કહાનીઓ સંભળાવે છે. કેન્સરથી હાર માનીને નહીં પરંતુ કેન્સર સામે જીત મેળવીને નૃત્યાંગના આનંદા લોકો માટે એક એવું જીવતું જાગતું ઉદાહરણ છે જેને લોકો વિજેતાના નામે ઓળખે છે. આવા વિજેતાની કહાની વિજેતાના મુખે જ...

કહેવાય છે જીવનનો દરેક વળાંક કંઇક નવું શીખવાડે છે, પોતાનામાં વિશ્વાસ રાખનાર જ જીવનની તમામ સમસ્યાઓને સફળતા સાથે દૂર કરી શકે છે. આવા વ્યક્તિઓ પોતાની ઇચ્છાશક્તિથી જીવનમાં સૌથી સફળ બની એક ઉદાહરણ પૂરું પાડતા હોય છે.

image


એ એક એવી ઉર્જાવાન જ્યોતિ જે કોઇ પણ તોફાની રાતમાં એક ક્ષણ માટે પણ ભયભીત થતી નથી. જીવનમાં હારી ચુકેલ લોકોની ભીડ વચ્ચે તે એકલી સૈનિક છે જેની પાસે અત્યારે પણ ચમકતો કવચ છે. સપનાઓ અને સંભારણાઓના અંતિમ સંસ્કાર વખતે પણ તે દિલ ખોલીને હસે છે. જીવનમાં બધું જ ગુમાવી દીધા પછી ખૂબ ઓછા લોકોમાં એટલી હિંમત હોય છે જેટલી આનંદા શંકર જયંત પાસે છે.

નૃત્યથી તેમના દિલને આનંદ મળે છે, તેમના જીવનસાથી જયંત તેમની જિંદગીમાં શક્તિ પ્રદાન કરે છે. એક સમય એવો આવ્યો કે તેમની દુનિયામાંથી આ બધું છીનવાઇ રહ્યું હતું, પરંતુ તેઓએ હાર માન્યા વગર તેનો સામનો કર્યો અને પોતાની જિંદગીને ફરીથી ચમકતી બનાવી દીધી.

image


આનંદાની કલાયાત્રા

આનંદાએ તેમની જિંદગીના ત્રણ દશક નૃત્યને સમર્પિત કર્યા છે. તેઓએ ચાર વર્ષની ઉંમરથી નૃત્ય શીખવાની શરૂઆત કરી દીધી હતી. ચેન્નાઇની પ્રખ્યાત ઇન્સ્ટિટ્યૂટ કલાક્ષેત્રમાંથી નૃત્યની ટ્રેઈનિંગ લીધી હતી. તેમણે નૃત્યનો છ વર્ષનો કોર્સ પૂરો કર્યો છે. જેને મોટા ભાગના લોકો બે કે ત્રણ વર્ષમાં જ છોડી દેતા હોય છે.

કલાક્ષેત્રમાં ટ્રેઈનિંગ દરમિયાન અને ત્યારબાદ તેઓ ભરતનાટ્મ સાથે પરિચિત થયા સાથે સાથે વીણા, કોરિયોગ્રાફી, નટ્ટુવંગમ અને દર્શન શાસ્ત્ર સાથે પણ સંબંધ જોડ્યા. તેઓએ પાસુમાર્થી રામલિંગા શાસ્ત્રી પાસેથી કુચ્ચિપુડી નૃત્ય શીખવાનું સમ્માન મેળવ્યું. આનંદા જણાવે છે,

"હું 18 વર્ષની નવી નૃત્યાંગના હતી અને ભરતનાટ્યમ શીખવા માટે મને ભારત સરકાર તરફથી સ્કોલરશિપ મળી." 

કલાક્ષેત્ર કાર્યક્રમ પૂરો કર્યા બાદ તેમણે છ છોકરીઓને નૃત્ય શીખવાડવાની શરૂઆત કરી. તેમને વિશ્વાસ હતો કે પ્રોફેશનલ શિક્ષણ તેમના કરિયરને વધારે મજબૂત કરશે. આનંદા કહે છે, 

"લોકો કહેતા હોય છે કે જુનૂનની પાછળ ભાગવું જોઇએ, પેશન પાછળ નહીં. પરંતુ મારું માનવું છે કે વ્યક્તિએ પોતાનું પેશન પહેલા નક્કી કરવું જોઇએ અને પછી જુનૂનનો આનંદ લેવો જોઇએ."
image


આનંદાએ કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું અને આર્ટ્સ, ઇતિહાસ અને સંસ્કૃતિમાં માસ્ટર્સનો અભ્યાસ કર્યો. આ દરમિયાન તેમના સાથી મિત્રો પ્રતિયોગિતા પરિક્ષાની તૈયારી માટે ભાગદોડ કરી રહ્યાં હતાં. ત્યારે આનંદાએ પણ યુપીએસસીની પરીક્ષા અંગે જાણ્યુ. આનંદા પોતાના વિશ્વવિદ્યાલયમાં અવ્વલ રહ્યાં અને સાથે સાથે યુપીએસસીની પરીક્ષા પણ પાસ કરી. તેઓને પ્રથમ મહિલા અધિકારી તરીકે દક્ષિણ મધ્ય રેલ્વેમાં ટ્રાફિક સર્વિસમાં નોકરી મળી. તેઓ જણાવે છે,

"દરેક વ્યક્તિ મારી આ પ્રગતિથી ખુશ હતી પરંતુ મારી માતા થોડી ગભરાયેલી રહેતી હતી. તે મને કહેતી હતી કે તું તારી સાથે આવું કેમ કરી રહી છું? તું તારા નૃત્ય પર ભાર આપ, મેં મારી જિંદગીમાં અનેક બલિદાન આપ્યા છે, આ માટે હું નથી ઇચ્છતી કે તું તારું નૃત્યુ છોડે."

આનંદાએ પોતાની માતાને વિશ્વાસ અપ્યો કે નૃત્ય તેમની જિંદગીમાં ક્યારે પણ પાછળ નહીં રહે. દિવસ દરમિયાન તે પુરુષોની બોસ બનીને કામ કરતી હતી. જ્યાં તેઓને અનેક પ્રકારના કામ પુરુષોની સાથે રહીને અને પુરુષો દ્વારા જ કરાવવા પડતા હતાં. આનંદા કહે છે કે, "પુરુષોની દુનિયામાં હું એકમાત્ર સ્ત્રી છું તેવા દ્રષ્ટિકોણથી હું ક્યારે પણ ચાલતી ના હતી. હું જેન્ડરને ઘરે જ મૂકીને આવતી હતી." નોકરીની સાથે સાથે તેઓ એક નૃત્યાંગના પણ હતાં. રાગની સાથે મળીને તેમની આત્મા જીવિત થઇ જતી હતી.

image


જિંદગીમાં આવ્યો અચાનક મોટો દુઃખનો પહાડ

આનંદાને નિયમિત રીતે એવોર્ડ અને ન્યૂઝપેપરમાં ઇન્ટરવ્યૂ આવતા રહેતા હતાં. તેમના કલાની વાત અનેક જગ્યાએથી સાંભળવા મળતી હતી. નૃત્ય ક્ષેત્રમાં તેમના બહુમુખી યોગદાનને જોઇને તેમને પદ્મશ્રી પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. તેઓ આ અંગે જણાવે છે,

"મારી ખુશીઓમાં અચાનક જાણે દુઃખના વાદળ આવી ગયા હોય તેવું મને લાગવા લાગ્યું. અમેરિકા જતા પહેલા મારા સ્તન પર એક નાનકડી ગાંઠ જેવું મને લાગ્યું. ત્યારબાદ હું મેમોગ્રામ માટે ગઇ. પાછલા થોડાં સમયથી મારું વજન પણ વધી રહ્યું હતું. હું મારા પતિને રિપોર્ટ લઈને તેમાં શું આવ્યું છે તે જોવાનું કહીને હું બે અઠવાડિયાની યાત્રા પર નીકળી ગઇ." 

આનંદા જ્યારે ટૂર પરથી પાછા ફર્યા ત્યારે તેમના પતિ મુંબઇ એરપોર્ટ પર તેમની રાહ જોઇ રહ્યાં હતાં. પોતાના પિતાને અચાનક એરપોર્ટ પર જોઇને તેમને પણ લાગ્યું કે જરૂર કોઇ કારણ છે. તેમના રિપોર્ટમાં લખ્યુ હતું કે તેમના મેમોગ્રામમાં થોડું વધારે ધ્યાન આપવા જેવું છે. જેનો સીધે સીધો મતલબ હતો કે તે કેન્સર હોઇ શકે છે.

આનંદાએ પોતાની જાતને ઊંચા અવાજમાં ત્રણ બાબતો કહી

- પ્રથમ – કેન્સર મારી જિંદગીનું માત્ર એક પાનું છે. જેને હું એક પુસ્તક નહીં બનવા દઉં.

- બીજી – હું કેન્સરને મારી જિંદગીથી બહાર કરી દઇશ, હું તેને મારી જિંદગીનો ભાગ નહીં બનવા દઉં.

- ત્રીજી – હું ક્યારે પણ એવો પ્રશ્ન નહીં કરું કે “હું જ કેમ?”

કેન્સર સાથે લડવાની શરૂઆત થઇ ગઈ

કેન્સર સાથે લડવા માટે આનંદા પૂરેપૂરી રીતે તૈયાર હતી. પરંતુ ડૉક્ટરે તેમને ઇલાજ દરમિયાન નૃત્ય નહીં કરવાની સલાહ આપી હતી, જેમની આ સલાહ સાથે આનંદા બિલકુલ સહમત ન હતા. કારણ કે રેડિયોલોજી ખરાબ સેલની સાથે સાથે સારા સેલને પણ ખરાબ કરી દે છે. જેના કારણે સીડી ચડવાથી પણ શ્વાસ ચડી જાય છે. આનંદા ખૂબ જ મક્કમ હતાં. તેઓ તે સમયને યાદ કરતા કહે છે, 

"જો તમે કલામાંથી બ્રેક લો તો તમે ખતમ જ થઇ જાઓ છો અને હું તે કરવા માગતી ન હતી. હું કલાને છોડવા માંગતી ન હતી. હું મારા ઓન્કોલોજીસ્ટ સાથે વાત કરતી કે મારો કાર્યક્રમ છે તો કિમોથેરાપી બીજા દિવસે રાખી શકાશે? ડૉક્ટરને લાગ્યું કે હું મારો વિવેક ગુમાવી ચૂકી છું કારણ કે હું નૃત્યને ઇલાજ કરતા વધારે મહત્વ આપતી હતી."

ઓપરેશન થિયેટરમાં મારા માટે બીજું થિયેટર હતું

7 જુલાઇ, 2009એ તેમનું ઓપરેશન થયું. આનંદા જણાવે છે, 

"ઓપરેશન થિયેટરમાં પણ હું એવી રીતે ગઇ હતી જાણે હું કોઇ નૃત્ય કાર્યક્રમમાં જઇ રહી હોવુ. મેં પાર્લરમાં જઇને દરેક પ્રકારની બ્યુટી ટ્રીટમેન્ટ લીધી, કારણ કે ઓપરેશન થિયેટર મારા માટે બીજું થિયેટર હતું જ્યાં હું નૃત્ય કરવા જ જઇ રહી હતી. ઓપરેશન થયા બાદ તેમણે પોતાના ચહેરા પર બિંદી અને લિપસ્ટીક લગાવી અને ડૉક્ટરને પૂછ્યું કે મેં કેવું પરફોર્મ કર્યું.” 

ઓપરેશનના બે દિવસ પછી આનંદા તેમના રોજબરોજના કામ કરવા લાગ્યા હતાં. નૃત્યએ તેમના જીવનમાં આવતી મુશ્કેલીઓને રોકી રાખી હતી. આનંદા આજે તેમના જીવનના આ ખરાબ દિવસોને ભૂલી ચૂક્યા છે. પરંતુ કેટલીક સારી પળો આજે પણ તેમને યાદ છે. તેઓ જણાવે છે, "હું ત્રણ દિવસ આરામ કરતી અને ચોથા દિવસે મારા પતિ મને ડ્રાઇવ પર લઇ જતા અને મને મારા પગ પર ઊભા રહેવાનું કહેતા. મારા પતિ મને કિમોને અમૃતની જેમ જોવાનું કહેતા હતાં. હું કિમો માટે જતી હતી ત્યારે મારા મગજમાં માત્ર દુર્ગાની જ તસ્વીર હતી. હું હંમેશાં દુર્ગાની પ્રશંસામાં નૃત્ય કરું છું. મેં દુર્ગાને એક ભગવાનના રૂપમાં નથી જોયા પરંતુ એક એવા પ્રતિકના રૂપમાં જોયા છે જે કોઇ પણ હોઇ શકે છે. સૌથી મહત્વની વાત એ હતી કે આનંદાએ તેમના મિજાજને જાળવી રાખ્યો છે."

સામાન્ય રીતે તેઓએ પોતાની સમસ્યા અંગે વાત કરવાનો એક મુદ્દો બનાવી લીધો. કેન્સર પર તેમના દ્વારા આપેલ TED લેક્ચર, અત્યાર સુધીનું સૌથી સારું TED લેક્ચર માનવામાં આવે છે. લોકો પણ એ વાત જલદી જાણતા થઇ ગયા કે તેઓ કોઇ પિડીત કે સર્વાઇવર નથી પરંતુ એક વિજેતા છે. આજે તેઓ કેન્સર મુક્ત છે. તેઓ નૃત્ય પણ કરે છે અને તેમની નોકરી પણ ખૂબ જ સારી રીતે કરે છે. તેમના નૃત્યના લય તેમની પ્રફૂલ્લિત કહાની હંમેશાં સંભળાવે છે.

લેખિકા- બિજલ શાહ

અનુવાદક - YS ટીમ ગુજરાતી