એસિડ અટૅકનો ભોગ બનેલી 5 બહાદુર મહિલાઓએ શરૂ કર્યું 'cafe', અનેક મહિલાઓને પ્રેરણા આપે છે આ 'SHEroes'

એસિડ અટૅકનો ભોગ બનેલી 5 બહાદુર મહિલાઓએ શરૂ કર્યું 'cafe', અનેક મહિલાઓને પ્રેરણા આપે છે આ  'SHEroes'

Saturday December 19, 2015,

5 min Read

એસિડ અટૅકનો ભોગ બનેલી 5 મહિલાઓ ચલાવે છે 'શીરોઝ હેંગઆઉટ'

તાજમહેલથી ચાર ડગલા જ દૂર છે 'શીરોઝ હેંગઆઉટ'

તમારી મરજીનું ખાવો અને બિલ ચૂકવો, ન ચૂકવો તે પણ તમારી ઇચ્છા!

એક એવું કેફે જેને એસિડ અટૅકનો ભોગ બનેલી ઋતુ, રૂપાલી, ડોલી, નીતૂ અને ગીતા ચલાવે છે. 'શીરોઝ હેંગઆઉટ'માં ન ફક્ત ખાણી-પીણીનો લુત્ફ ઉઠાવી શકાય છે પણ જો કોઇ ઇચ્છે તો તે એસિડ અટૅકનો ભોગ બનેલી રૂપાલી દ્વારા ડિઝાઇન કરવામાં આવેલાં કપડાં પણ ખરીદી શકે છે!

આગ્રામાં 'તાજમહેલ'ની સુંદરતા સામે બધું જ ફિક્કું પડે. પણ ત્યાંથી ચાર ડગલા દૂર 'શીરોઝ હેંગઆઉટ' કરીને એક કેફે છે જે તાજમહેલની સુંદરતાને પણ પાછળ પાડી દે છે. તાજમહેલ જો પ્રેમની નિશાની છે તો 'શીરોઝ હેંગઆઉટ' એક એવી જગ્યા છે જે માનવતાની પ્રેરણા છે. જે એક આશાનું કિરણ છે. એક અનુભૂતિ છે કે જે તમને ગમે તેવી પરિસ્થિતિમાંથી પણ બહાર લાવી શકે છે. હિંમત છે પરિસ્થિતિઓ સામે સતત લડવાની. પોતાની જાતમાં વિશ્વાસ રેડવાની હિંમત છે. આ એ જગ્યા છે જેને પાંચ એસિડ એટેક પીડિત મહિલાઓએ બનાવી છે. તે એક એવું કાફે છે જેને એસિડ અટૅકની શિકાર, ઋતુ, રૂપાલી, ડોલી, નીતૂ અને ગીતા ચલાવે છે. 'શીરોઝ હેંગઆઉટ'માં ન ફક્ત ખાણી-પીણીનો લુત્ફ ઉઠાવી શકાય છે પણ જો કોઇ ઇચ્છે તો તે એસિડ અટૅકનો ભોગ બનેલી રૂપાલી દ્વારા ડિઝાઇન કરવામાં આવેલાં કપડાં પણ ખરીદી શકે છે.

image


'શીરોઝ હેંગઆઉટ'ની શરૂઆત ગત વર્ષ 10, ડિસેમ્બરનાં રોજ થઇ હતી. તેને શરૂ કરવાનો આઇડિયા હતો એસિડ અટૅકનો ભોગ બનેલી લક્ષ્મીનો. જેણે એસિડ અટૅકની ભોગ બનેલી મહિલાઓનાં હકમાં ઘણી લડાઇઓ લડી છે. હવે તે પોતાની સંસ્થા છાવ ફાઉન્ડેશન દ્વારા તેમનાં પુર્નવાસ માટે કામ કરે છે. 'શીરોઝ હેંગઆઉટ'નું કામકાજ સંભાળનારી ઋતુનું કહેવું છે કે આ કેફે શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ એસિડ અટૅક પીડિત મહિલાઓને પુર્નવાસ આપવાનો હતો. કારણ કે આવા લોકોને ન તો સરકારી નોકરી મળે છે ન પ્રાઇવેટ. કારણ કે મોટાભાગનાં કિસ્સાઓમાં એસિડ અટૅકનો ભોગ નાની ઉંમરની યુવતીઓ જ બને છે. તેમનું ભણતર પણ પૂર્ણ થયું હોતું નથી. છતાં 'શીરોઝ હેંગઆઉટ'માં ભણતર એટલું મહત્ત્વ રાખતું નથી. અહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે કે કોઇ એસિડ અટૅકનો ભોગ બનેલી યુવતીને વધુમાં વધુ મદદ મળી શકે.

image


'શીરોઝ હેંગઆઉટ'ની ખાસ વાત એ છે કે, તેમનાં મેન્યૂમાં કોઇ પણ વસ્તુનો ભાવ લખવામાં આવ્યો નથી. અહીં આવનારા ગ્રાહક પોતાની મરજી મુજબ બિલ ચુકવીને જાય છે. ઋતુ કહે છે, "આ પાછળ પણ એક ખાસ કારણ છે અને તે છે કે, અહીં કોઇ પણ અમીર કે ગરીબ વ્યક્તિ આવી શકે છે. દરેક વ્યક્તિ મોટી જગ્યા કે કેફેમાં જઇ કોફી પી શકતી નથી તેથી જ અમે આમ રાખ્યું છે." આ ઉપરાંત અહીં આવનારા લોકો તે પણ જાણે છે કે 'શીરોઝ હેંગઆઉટ'ને એક ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવ્યું છે. અહીં ન ફક્ત કોફી મળે છે પણ મેઇન કોર્સ પણ જમાડવામાં આવે છે. 'શીરોઝ હેંગઆઉટ'ને આગ્રામાં મળેલી પ્રતિક્રિયા બાદ હવે તેઓ આવનારા સમયમાં લખનઉમાં શરૂ કરવામાં આવશે. 'શીરોઝ હેંગઆઉટ'માં 5 એસિડ પીડિત ઉપરાંત 7 અન્ય લોકો પણ કામ કરે છે.

image


'શીરોઝ હેંગઆઉટ' અઠવાડિયાનાં સાતેય દિવસ સવારે 10થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લુ હોય છે. શરૂઆતમાં જ્યારે 'શીરોઝ હેંગઆઉટ' શરૂ કરવામાં આવ્યું હતું તો તેને આર્થિક રીતે ઘણી જ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે હવે પરિસ્થિતિ તદ્દન ઉંધી છે. હવે તે નફો કરવા લાગ્યું છે. ઋતુ જણાવે છે, 

"'શીરોઝ હેંગઆઉટ'નાં નફાને પીડિતોનાં ઇલાજમાં અને તેમનાં વિકાસ માટે વાપરવામાં આવે છે. અહીં આવનારા મોટાભાગનાં ગ્રાહકો વિદેશી હોય છે. જે આગ્રા ફરવા આવે છે. 'ટ્રિપ એડવાઇઝર' જેવી વેબસાઇટ અમને, 'શીરોઝ હેંગઆઉટ'ને સારું રેટિંગ આપે છે. તેથી અહીં આવનારા લોકો ફેસબુક કે અન્ય જગ્યાએ ઓનલાઇન અમારા વિશે વાંચીને આવતા હોય છે."
image


'શીરોઝ હેંગઆઉટ'ને વિભિન્ન પ્રકારની પેઇન્ટિંગ્સ દ્વારા સજાવવામાં આવ્યું છે તેથી જ અહીંથી પસાર થતાં ટ્રાવેલર્સનાં પગ અહીં અટકી જ જાય છે અને તેઓ એક વખત તો અહીં જરૂર આવે છે. અહીં આવનારા ઘણાં ગ્રાહકો એસિડ અટૅકનો ભોગ બનેલી મહિલાઓ સાથે વાત કરે છે. તેમની કહાની સાંભળે છે. 

"ઘણી વખત તો આ લોકો અહીં ચા, કૉફી કે નાસ્તો કરવા નહીં પણ ફક્ત અમારી સાથે વાતો કરવા માટે આવે છે. તેઓ જાણવા આવે છે કે અમે 'શીરોઝ હેંગઆઉટ' કેવી રીતે ચલાવીએ છીએ."

'શીરોઝ હેંગઆઉટ'માં એકસાથે 30 લોકો બેસી શકે છે. 'શીરોઝ હેંગઆઉટ'નાં મેન્યૂમાં ચા અને કૉફી ઉપરાંત વિવિધ પ્રકારનાં શેક મળે છે. અહીં મેન્યૂમાં ટોસ્ટ, નૂડલ્સ, ફ્રેન્ચ ફ્રાઇઝ, બર્ગર, અલગ અલગ પ્રકારનાં સૂપ, ડેઝર્ટ અને અન્ય ઘણાં પ્રકારની ખાણી પીણીની વસ્તુઓ મળે છે.

image


આ જગ્યા ફક્ત હેંગઆઉટ માટે નથી પણ કોઇ ઇચ્છે તો અહીં પાર્ટી પણ કરી શકે છે. આગ્રાનાં ફતેહાબાદ રોડ પર સ્થિત 'શીરોઝ હેંગઆઉટ' તાજમહેલનાં પશ્ચિમી ગેટથી ફક્ત 5 મિનિટનાં અંતર પર છે. એસિડ અટૅકનો ભોગ બનેલી અને અહીંનું કામકાજ સંભાળનારી ઋતુ હરિયાણાનાં રોહતક, રૂપાલી મઝફ્ફરનગરની રહેનારી છે જ્યારે ડોલી, નીતૂ અને ગીતા આગ્રાનાં રહેનારા છે. નીતૂ અને તેમની મા ગીતા પર તેનાં જ પિતાએ તેજાબ ફેક્યો હતો. જ્યારે રૂપાલી પર તેની સાવકી માએ એસિડ અટૅક કર્યો હતો. તો ઋતુ જ્યારે દસમા ધોરણમાં ભણતી હતી ત્યારે તે વોલીબોલની સ્ટેટ લેવલની પ્લેયર હતી.

image


ઋતુ પર તેનાં જ એક સંબંધી ભાઇએ 26 મે, 2012નાં રોજ એસિડ અટૅક કરાવ્યો હતો. તે બાદ તે 2 મહિના સુધી હોસ્પિટલમાં દાખલ રહી હતી. તે સમયમાં તેનાં બે ઓપરેશન થયા હતાં. એક વર્ષ બાદ દિલ્હીનાં એપોલો હોસ્પિટલમાં તેનાં 6 ઓપરેશન થયા હતાં. ઋતુનાં કહેવાં પ્રમાણે, આટલાં બધા ઓપરેશન છતા તે સ્વસ્થ થઇ નહીં. હજૂ પણ તેનાં અન્ય ઓપરેશન બાકી છે. ઋતુ છેલ્લા દોઢ વર્ષથી આ કેમ્પેઇનમાં જોડાયેલી છે. આજે તે અહીં એટલી ખુશ છે કે તે કહે છે કે, 'બધાની પાસે એક પરિવાર હોય છે પણ મારી પાસે બે પરિવાર છે. મને અહીં ખૂબ પ્રેમ મળે છે.' હવે ઋતુની ઈચ્છા છે કે તે ફરી એક વખત વોલીબોલની ગેમ રમે અને પોતાનું નસીબ અજમાવે.

image


ઋતુ કહે છે કે, 'શીરોઝ હેંગઆઉટ'ની શરૂઆત એમ વિચારીને કરવામાં આવી હતી કે એસિડ અટૅકનો ભોગ બનનારા કોઇની પાસે માંગીને ન ખાય અને પોતાનાં પગ પર ઉભા થઇ શકે. તેથી જ આજે પણ ઘણાં લોકો અહીં આવીને કહે છે કે તેઓ કંઇ ખાવા નથી ઇચ્છતા પણ પૈસાની મદદ કરવા ઇચ્છે છે તો તેનાં જવાબમાં અમે ના પાડી દઇએ છીએ. કારણ કે અમે માનીએ છીએ, 

"આ અમારી નોકરી છે. અમે કોઇનો ઉપકાર લેવા નથી ઇચ્છતા. જેમ અન્ય લોકો કોઇ કેફે કે પછી ઓફીસમાં જઇને કામ કરે છે અમે લોકો પણ એવી રીતે અહીં કામ કરીએ છીએ."
image


વેબસાઇટ

FB Page