એક એવા આન્ત્રપ્રેન્યોર જેણે બનાવી ખાઈ શકાય તેવી કટલરી!

પ્લાસ્ટિકની ચમચી અને પ્લેટથી છૂટકારો, અનાજથી બનેલી કટલરીનો કરો ઉપયોગ

એક એવા આન્ત્રપ્રેન્યોર જેણે બનાવી ખાઈ શકાય તેવી કટલરી!

Saturday August 05, 2017,

4 min Read

હૈદરાબાદના એક આન્ત્રપ્રેન્યોરે પ્લાસ્ટિકની ચમચી, પ્લેટના બદલે તેના વપરાશ બાદ પણ ઉપયોગમાં લઇ શકાય તેવી કટલરી બનાવી છે જે પર્યાવરણને અનુકૂળ હોવાની સાથે સાથે સ્વાસ્થ્યને નુકસાનકર્તા નથી. તેમની કટલરીની ખાસિયત એ છે કે તે અનાજથી બનેલી હોવાના કારણે તેના વપરાશ બાદ તેને ખાઈ પણ શકાય છે!

image


ઇન્ટરનેશનલ ક્રોપ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ, હૈદરાબાદના પૂર્વ વૈજ્ઞાનિક નારાયણ પીસાપતિએ ખાઈ શકાય તેવી કટલરી બનાવી છે!

દેશભરમાં દર વર્ષે પ્લાસ્ટિકથી બનેલી લગભગ 120 અરબ ચમચી અને પ્લેટનો ઉપયોગ કર્યા બાદ ફેંકી દેવામાં આવે છે. દુનિયાભરમાં વપરાતી પ્લાસ્ટિકની ચમચીઓ અને પ્લેટ્સની સંખ્યા વિષે તો માત્ર અનુમાન જ લગાવી શકાય તેમ છે!

આન્ત્રપ્રેન્યોર્સ વિશે કહેવાય છે કે તેઓ જૂની સમસ્યાઓનું નવું સમાધાન રજૂ કરે છે. નારાયણ પીસાપતિ માટે આ વાત એકદમ યોગ્ય ઠરે છે. ઇન્ટરનેશનલ ક્રોપ ઇન્સ્ટીટયુટ, હૈદરાબાદના પૂર્વ વૈજ્ઞાનિક પીસાપતિનું કહેવું છે,

"સામાન્ય રીતે માર્કેટમાં મળતી પ્લાસ્ટિકની કટલરીથી પર્યાવરણને ભારે નુકસાન થતું હોય છે કારણ કે પ્લાસ્ટિકનો નિકાલ નથી કરી શકાતો. સાથે જ આ કટલરીમાં પીરસાતું ભોજન પણ શરીર માટે નુકસાનકર્તા સાબિત થઇ શકે."

તેવામાં પીસાપતિએ આ પ્લાસ્ટિક કટલરીનો સારો વિકલ્પ રજૂ કર્યો છે. 

image


આ ચમચી અને પ્લેટની ખાસિયત એ છે કે તે ખાદ્ય પદાર્થોથી બનેલી હોવાથી, તેનો ઉપયોગ કર્યા બાદ તેને ખાઈ પણ શકાય છે. છેલ્લા 10 વર્ષોથી નારાયણ આ પ્રકારની ડિસ્પોઝેબલ કટલરી બનાવે છે અને જ્યારે વિદેશથી તેમની પાસે ઇન્ક્વાયરી આવી ત્યારે તેમના આ પ્રયાસોને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી. એપ્રિલ, 2016માં નારાયણ પીસાપતિને એક ઇન્ક્વાયરી આવી જેમાં તેમને ફ્રાંસ અને જર્મનીમાં આ કટલરી મોકલવાનો ઓર્ડર મળ્યો. 

નારાયણનું કહેવું છે કે જ્યારે તેઓ ફિલ્ડ વિઝીટ પર હતાં ત્યારે તેમને બાજરાના ઠંડા રોટલાથી કામ ચલાવવું પડતું. ત્યારે તેમને લાગ્યું કે લોકોને ખાવા માટે પણ આ બરાબર રહેશે. એ સિવાય, ફ્લાઈટ અથવા તો અન્ય જગ્યાઓ પર અપાતી પ્લાસ્ટિકની ચમચી સાફ સુથરી અને સારી પરિસ્થિતિમાં નથી બનતી, તેનાથી ખોરાક લેવાથી લાંબા સમયે સ્વાસ્થ્યને નુકસાન થતું હોય છે. નારાયણે વર્ષ 2006માં એડીબલ કટલરી વિશે વિચાર્યું. તેમણે સૌથી પહેલાં વિચાર્યું કે બાજરી પૌષ્ટિક છે. એક એવું તત્વ છે જે ખૂબ જ ફાયદાકારક છે. ત્યારબાદ તેમણે આ કટલરી બનાવવાનો નિર્ણય કર્યો.

નારાયણની કંપનીને દેશ-વિદેશમાંથી પહેલેથી જ 2.5 કરોડ ચમચી અને અન્ય કટલરીનો ઓર્ડર મળી ચૂક્યો છે. હાલ તેમની કંપનીનું દૈનિક ઉત્પાદન સ્તર વધીને 50 હજાર યુનિટ થઇ ગયું છે. 

નારાયણના દાવા પ્રમાણે ખાવાલાયક કટલરીનું વ્યાવસાયિક સ્તર પર ઉત્પાદન કરનાર તેઓ પહેલાં ઉદ્યમી છે. નારાયણનું કહેવું છે કે તેમની આ ખાસ કટલરી બાયો-ડિગ્રેડેબલ પ્લાસ્ટિક તેમજ લાકડામાંથી બનેલી ડિસ્પોઝેબલ કટલરીની તુલનામાં સસ્તી પડે છે.

image


હવે જરા એ પણ જાણી લઈએ કે આ કટલરી બને છે કેવી રીતે...

આ કટલરી માટે જુવાર, ચોખા તેમજ ઘઉંના મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે. તેમની આ ખોજનો ઉદ્દેશ્ય મોટો છે અને જે બજારની જરૂરિયાતોની સાથે અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ પૂરેપૂરી રીતે તાલમેલ બેસાડીને હાંસલ કરી શકાય છે. નારાયણે બેકિંગમાં વપરાતા હીટર બ્રાઝીલ અને ચીનથી મગાવ્યા છે. તેઓ આ કટલરીનું ઉત્પાદન સ્તર વધારીને ઉત્પાદનની કિંમત હજી ઓછી કરવા માગે છે જેથી પ્લાસ્ટિક કટલરીનો મુકાબલો કરી શકાય.

હૈદરાબાદ સ્થિત ઇન્ટરનેશનલ ક્રોપ રીસર્ચ ઇન્સ્ટીટ્યુટના વિદ્યાર્થી રહી ચૂકેલા નારાયણે વર્ષ 2007માં પ્લાસ્ટિક કટલરીના વધતા ઉપયોગની સામે આ ઉપાય રજૂ કર્યો હતો. પરંતુ આ કટલરીના ઉપયોગ દરમિયાન તેને તૂટતી બચાવવા માટે ઘણાં પ્રયાસો કરવામાં ખાસ્સો સમય લાગી ગયો. તેમણે ખાઈ શકાય તેવી કટલરી બનાવવામાં સંતોષજનક સ્તર હાંસલ કર્યા બાદ વર્ષ 2010માં બેકી'સ ફૂડસ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની સ્થાપી. નારાયણે બનાવેલી આ અનોખી કટલરી મસાલેદારથી લઈને મીઠા સ્વાદમાં પણ ઉપલબ્ધ છે અને તે પૌષ્ટિક પણ છે. તેમણે ખાંડ, આદું તેમજ કાળા મરીનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ કટલરીને તૈયાર કર્યા બાદ તેને ઊંચા તાપમાન પર શેકવામાં આવે છે. સંપૂર્ણ રીતે સૂકાઈ ગયા બાદ આ ટેક્નિકથી બનેલા ચમચી અને છરી-કાંટા એટલા સખત થઇ જાય છે કે ગરમાગરમ સૂપ પીવામાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે. નારાયણના કાંટા-ચમચી ઓછામાં ઓછી 20 મિનીટ સુધી તો તમારો સાથ આપી જ દેશે. 

image


નારાયણ કહે છે કે દર વર્ષે દેશભરમાં પ્લાસ્ટિકથી બનેલી લગભગ 120 અરબ ચમચી અને પ્લેટ વાપર્યા બાદ ફેંકી દેવાય છે. તેવામાં દુનિયાભરમાં વપરાતી પ્લાસ્ટિકની ચમચીઓ અને પ્લેટની સંખ્યા વિશે તો માત્ર અનુમાન જ લગાવી શકાય! મોટા પાયે ઉત્પાદન કરી શકાય તે માટે હૈદરાબાદના ચેરલાપલ્લી ખાતે ઓટોમેટિક મેન્યુફેક્ચરીંગ યુનિટની ડીઝાઈન પણ તૈયાર કરી છે. તેમના કર્મચારીઓએ માત્ર મિશ્રણ મશીનમાં નાખવાનું હોય છે અને કેટલાંયે મશીનથી પસાર થઈને કટલરી તૈયાર થાય છે. હવે તેઓ પેકેજીંગના કામને પણ સંપૂર્ણ રીતે ઓટોમેટિક બનાવવાની તૈયારી કરી રહ્યાં છે.

 નારાયણે પોતાના ઉત્પાદનને વેચવા માટે વધુ મહેનત કરવાની જરૂર નથી કારણ કે તેમણે આ કટલરીને એવા ગ્રાહકોની સામે રાખી છે પહેલથી જ જાગરૂક છે. તેમનું લક્ષ્ય તો કેએફસી અને મેકડૉનલ્ડની જેમ ફૂડ ચેન સ્થાપવાનું છે. 

આ કટલરીનો ઉપયોગ વધે તે માટે તેઓ કેટલાંક કોર્પોરેટ હાઉસીઝ સાથે પણ વાત કરી રહ્યાં છે. હાલ તેઓ આ કટલરી તેમની વેબસાઈટ દ્વારા વેચી રહ્યાં છે. એ સિવાય તેઓ સમય-સમય પર એક્ઝીબિશન પણ કરતા રહે છે. નારાયણના પત્ની પ્રગ્ન્યા પીસાપતિ બેકી'સ કંપનીના ડાયરેક્ટર છે. નારાયણને એક દીકરી પણ છે જે કેનેડામાં અભ્યાસ કરી રહી છે. 

નારાયણ જેવા લોકોના પર્યાવરણ બચાવવાના આવા અભિયાનો ખરેખર સરાહનીય છે. 


જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો [email protected] પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook અને Twitter પર જોડાઓ...