"સ્ટાર્ટઅપ્સથી દેશના લોકોની માનસિકતા બદલાશે. આશાવાદ ઊભો થશે."

"સ્ટાર્ટઅપ્સથી દેશના લોકોની માનસિકતા બદલાશે. આશાવાદ ઊભો થશે."

Saturday January 16, 2016,

6 min Read

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટ, 2015ના રોજ ઐતિહાસિક લાલ કિલ્લા પરથી દેશને ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા’ અભિયાન છેડવાની અપીલ કરી હતી. અત્યારે દેશમાં સ્ટાર્ટઅપ અને ઉદ્યોગસાહસિકતાની બોલબાલા છે. યુવાનોએ અવનવા વિચારો સાથે ટેકનોલોજીનો સુભગ સમન્વય કરીને ઉદ્યોગસાહસિકતાનો એક નવો જ માર્ગ પ્રશસ્ત કર્યો છે. વડાપ્રધાને જાહેરાત કર્યા પછી પાંચ મહિને પછી સરકારે પણ દેશમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા અને સમગ્ર દેશમાં ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપવા અનુકૂળ નીતિ બનાવી છે. આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજનાના એક્શન પ્લાનની સત્તાવાર જાહેરાત થઈ ગઈ હતી. ભારતના સ્ટાર્ટઅપ ઇન્ડિયા અભિયાનમાં YourStory સત્તાવાર ભાગીદાર છે.

દેશના નાણાંપ્રધાન અરુણ જેટલીએ કહ્યું, "છેલ્લાં થોડા વર્ષથી અમારો પ્રયાસ સરકારની ભૂમિકાને વેપારવાણિજ્યના ફેસિલિટેટર બનાવવાનો છે. સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવાનો વિચાર વડાપ્રધાનનો પોતાનો છે. બેંકિંગ સિસ્ટમ અને સરકાર સ્ટાર્ટઅપ માટે સ્ત્રોતો ઉપલબ્ધ કરાવશે. જેટલું આ ક્ષેત્રને ઉદાર બનાવવામાં આવશે, તેટલી જ તેની પ્રગતિ થશે. અમે સ્ટાર્ટઅપ્સ માટે લાઇસન્સ રાજનો અંત લાવીશું. આપણે બધા જાણીએ છીએ કે, દુનિયાના સૌથી મોટા રિટેઈલર પાસે પોતાની માલિકીનો કોઈ સ્ટોર જ નથી. દુનિયાની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ કંપની પાસે પોતાની માલિકીનું કોઈ વાહન જ નથી. 1991 અગાઉ જે કંપનીઓને હતી તેનું સ્થાન સ્ટાર્ટઅપ્સ કંપનીઓએ લીધું છે અને તેના સ્થાપકો કોઈ બિઝનેસ ફેમિલી સાથે સંબંધ ધરાવતા નથી. સ્ટાર્ટઅપ્સથી દેશના લોકોની માનસિકતા બદલાશે. આશાવાદ ઊભો થશે."

image


રાજ્ય કક્ષાના કેન્દ્રીય નાણાં પ્રધાન જયંત સિંહાએ કહ્યું, "અત્યારે ભારતમાં સ્ટાર્ટઅપ્સને 90 ટકા ફંડ વિદેશી મૂડી સ્વરૂપે મળે છે. હકીકતમાં ભારતીય સ્ટાર્ટઅપ સ્થાનિક મૂડીને આકર્ષે તે મહત્ત્વપૂર્ણ છે. આપણે ત્રણ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ. એક, તમારે કંપનીમાં તમારી માલિકી અને વિદેશી રોકાણકારોની મૂડી વચ્ચે યોગ્ય સંતુલન સ્થાપિત કરવું જોઈએ. બે, આપણે પરપોટો ઊભો કરવાનો નથી, પણ સ્થાયી વિકાસ માટે પાયો નાંખવાનો છે. ત્રણ, ભારતના બજારોમાં તમારી કંપનીનું લિસ્ટિંગ કરાવવું જોઈએ."

દેશના રાજ્ય કક્ષાના કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન નિર્મલા સિતારામને કહ્યું, "સ્ટાર્ટઅપ્સની બોલબાલા છે. અત્યારે યુવાનોમાં કશું નવું કરવાની હિમ્મત વધી છે. અમે યુવાનોની માનસિકતાથી પરિચિત છીએ. જો સરકાર સ્ટાર્ટઅપ્સને અનુકૂળ નીતિનિયમો બનાવે અને તેમને પ્રોત્સાહન આપે તો ભારતના ઉદ્યોગસાહસિકો દેશને પ્રગતિના પંથે ઝડપથી અગ્રેસર કરશે તેવો અમને વિશ્વાસ છે."

21મી સદી ભારતીયોની છેઃ માસાયોશી સન

જાપાનની સોફ્ટ બેંકના સીઇઓ અને અગ્રણી રોકાણકાર માસાયોશી સને કહ્યું, "જ્યારે હું રોકાણ કરું છું, ત્યારે હું ઉદ્યોગસાહસિકનો આત્મવિશ્વાસ ચકાસું છું. તેઓ જે ક્ષેત્રમાં ઝંપલાવે છે તેમાં રહેલી સંભવિતતા ચકાસું છું. ઉદ્યોગસાહસિકોનું ઝનૂન, તેમની ટીમ અને બજારમાં વિસ્તરણની શક્યતા પર નજર દોડાવી જોઈએ. સ્નેપડીલ, ઇનમોબી, હાઉસિંગ અને ઓયો જેવી કંપનીઓના રોકાણકારોએ આ જ પરિબળો પર નજર દોડાવી છે. તમે જુઓ સ્નેપડીલના સહ-સંસ્થાપક કૃણાલ બહલ અને ઓયોના રિતેશ અગ્રવાલની આંખોમાં ભરપૂર આત્મવિશ્વાસ છે. આગામી 25 વર્ષમાં ભારત અમેરિકાને પાછળ પાડી દેશે."

માસાયોશી સને આગામી દાયકામાં ભારતમાં 10 અબજ અમેરિકન ડોલરનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. ગયા વર્ષે સૉફ્ટ બેંકે ભારતીય કંપનીઓમાં 2 અબજ અમેરિકન ડોલરનું રોકાણ કર્યું હતું.

તેમણે ભારતના યુવાનો અને તેમની કુશળતાની પ્રશંસા કરતાં કહ્યું, "ભારતીયો સ્માર્ટ છે. અહીં 80 કરોડ યુવાનો છે. યુવાનો અંગ્રેજી ભાષાથી સારી રીતે પરિચિત છે. ઉપરાંત ભારત દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે, એટલે જ મારું માનવું છે કે 21મી સદી ભારતીયોની છે."

નીચે કેટલાંક ઉદ્યોગસાહસિકોએ સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોગ્રામના વિવિધ કાર્યક્રમોમાં રજૂ કરેલા વિચારોના મુખ્ય અંશો પ્રસ્તુત કરવામાં આવ્યાં છેઃ

રિતેશ અગ્રવાલઃ જન ધન યોજના અને સ્વચ્છ ભારત પછી આજે અમારો ઉદ્યોગસાહસિકોનો દિવસ છે. મારા મૂળિયા ઓરિસ્સાના દક્ષિણ છેડે સ્થિત ગ્રામીણ વિસ્તારમાં રહેલાં છે. મેં 22 વર્ષની ઉંમરે હોટેલ બ્રાન્ડ્સ બનાવવાનું સ્વપ્ન સેવ્યું હતું. અત્યારે હું દેશની સૌથી મોટે હોટેલ બ્રાન્ડ્સ પૈકીની એક બ્રાન્ડનો માલિક છે અને ભારતમાં જ આટલી ઝડપથી આવી સફળતા મેળવવી શકાય. અત્યારે હું પરોક્ષ રીતે 40000 લોકોને રોજગારી પૂરું પાડું છું અને તે જ મારી સૌથી મોટી સફળતા છે.

એડમ ન્યૂમેનઃ ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. નવી પેઢી હાથમાં હાથ પરોવીને આગળ વધવામાં માને છે અને ભવિષ્ય ટીમવર્કનું છે. આપણે સફળતાનું મૂલ્યાંકન આંકડાઓથી ન કરવું જોઈએ, પણ જીવનમાં સુખ, સંતોષ અને સ્વસ્થતા સાથે કરવું જોઈએ. જો આ રીતે સફળતાને આંકીશું તો જ દુનિયામાં સ્થાયી પ્રગતિનો પાયો નાંખીશું.

અનુરાધા આચાર્યઃ સ્ટાર્ટઅપ સ્ટેન્ડઅપ, તમારા અધિકાર પ્રત્યે જાગ્રત થાવ. તમારા અધિકારો મેળવવા સંઘર્ષ કરો. સ્ટાર્ટઅપ સ્ટેન્ડઅપ, સફળતા મળે નહીં ત્યાં સુધી જંપશો નહીં.

નવીન તિવારીઃ જ્યારે 10 વર્ષ અગાઉ અમેરિકામાં હું અભ્યાસ કરતો હતો ત્યારે હું અમેરિકાની જેમ ભારતમાં પણ આમ આદમી પોતાની કંપનીઓ સ્થાપિત કરશે તેવી કલ્પના કરતો હતો. આજે એક દાયકામાં આપણે જબરદસ્ત પ્રગતિ કરી છે. જ્યારે અમે ઇનમોબીની સ્થાપના કરી ત્યારે અમે આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરણ કરવાનું વિચાર્યું નહોતું. અત્યારે અમે ગૂગલ અને ફેસબુક પછી દુનિયામાં ત્રીજું સૌથી મોટું એડવર્ટાઇઝિંગ પ્લેટફોર્મ છીએ. અત્યારે અમારી ટેકનોલોજી દરરોજ 1.5 અબજ ડિવાઇસને સ્પર્શ કરે છે. આ તો પાશેરામાં પહેલી પૂણી છે. પણ દેશમાં નવીનતા અને રચનાત્મકતા ખીલવી જોઈએ. જો લોકો એક જ ક્ષેત્રમાં કમાણી કરવાની દોટ મૂકે તો એ નરી મૂર્ખતા છે. કોઈ પણ સ્ટાર્ટઅપ માટે ફંડિંગ જરૂરી છે. કંપનીના સીઇઓ અને સ્થાપક તરીકે તમે જ ભંડોળ ઊભું કરી શકો તેવી વ્યક્તિ છો. તો તમારે તમારી અંદર આત્મવિશ્વાસ જગાવવો જોઈએ અને તમારે પોતે જ ભંડોળ ઊભું કરવું જોઈએ.

સચિન બંસલઃ અમારે ભારતના બજારોમાં આઇપીઓ લાવવો છે, કારણ કે અહીં લોકો અમારા બિઝનેસને વધારે સારી રીતે સમજશે. બજારમાં સ્પર્ધા વધશે તેમ તમારે તમારી કુશળતા વધારવી પડશે.

શશાંક એનડીઃ ભારતીય ગ્રામીણ હેલ્થકેર બે મોટી સમસ્યાનો સામનો કરે છે – સુલભતા અને વાજબીપણું. આ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ માટે પુષ્કળ તક છે. ઉદ્યોગસાહસિકો આ સમસ્યાઓને તક તરીકે લઈને સ્ટાર્ટઅપ શરૂ કરી શકે છે.

નિકેશ અરોરાઃ વર્ષ 2015માં જંગી પ્રમાણમાં ફંડિંગ મળ્યું છે. હવે 2016 ભારતીય સ્ટાર્ટઅપ્સ માટે અમલીકરણનું છે. ઉદ્યોગસાહસિકોએ અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે અને ગ્રાહકોને ગુણવત્તાયુક્ત સેવા પ્રદાન કરવી પડશે. આપણે ઉત્પાદનો અને ભારતીય બજાર પર ધ્યાન કેન્દ્રિત કરતાં વધારે ઉદ્યોગાસાહસિકો જોઈશું. રોકાણકાર માટે બે બાબત મહત્ત્વપૂર્ણ છે – બિઝનેસનું સારું મોડેલ અને ગ્રાહકોને સંતોષ. શૈક્ષણિક ક્ષેત્રના સ્ટાર્ટઅપમાં રસ છે. તેમાં મોટા પાયે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાશે.

શાંતિ મોહનઃ તમે મહિલા છો એટલે તમને મૂડી નહીં મળે. પણ તમારો બિઝનેસ સારો હોય અને રોકાણકારોને તેમાં વાયાબિલિટી લાગશે તો જ તમને ફંડ મળશે. જ્યારે તમે એક મહિલા ઉદ્યોગસાહસિક તરીકે ફંડ મેળવવા પ્રયાસ કરો ત્યારે તમારે તમારી જાતને મહિલા તરીકે જરાં પણ ઓછી આંકવી ન જોઈએ. તમારે આત્મવિશ્વાસ સાથે તમારા બિઝનેસની સંભવિતતાઓ સ્પષ્ટપણે રજૂ કરવી જોઈએ.

અનિશા સિંહઃ હું સફળ ઉદ્યોગસાહસિક તરીકે મારી ઓળખ સ્થાપિત કરવા માંગું છું, નહીં કે સફળ મહિલા ઉદ્યોગસાહિસક તરીકે.

વિનોદ ધામઃ તમારી કંપનીની આંકડાકીય બાબતોથી સારી ટીમનું નિર્માણ નહીં થાય. તમારે કંપનીમાં ટીમવર્ક ઊભું કરવું હોય, તો વર્ક કલ્ચર ઊભું કરવું પડશે અને તમામ કર્મચારીઓ એક જ લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને આગળ વધે તે સુનિશ્ચિત કરવું જોઈએ.

ગ્રાન્ડ પ્રાઇઝ વિનર (ગૂગલ ક્રેડિસ્ અને ગૂલ લોંચપેડ વીકમાં ડાયરેક્ટ એન્ટ્રીમાં $100k) કાર્ડિઆક ડિઝાઇન લેબને મળ્યું.

પીપલ્સ ચોઇસ એવોર્ડ (ગૂગલ લોંચપેડ વીકમાં ડાયરેક્ટ એન્ટ્રી) ગુરુ-જીને મળ્યો.