ભણતરને સરળ અને રોમાંચક બનાવે છે 'પરવરિશ- ધ મ્યુઝિયમ સ્કૂલ'
Wednesday January 27, 2016,
5 min Read
10 વર્ષથી કાર્યરત છે પરવરિશ ધ મ્યુઝિયમ સ્કૂલ!
મ્યુઝિયમના માધ્યમ દ્વારા આપવામાં આવે છે શિક્ષણ!
મ્યુઝિયમ દ્વારા બાળકોને આપવામાં આવે છે શિક્ષણ, ભોપાલની શિબાની ઘોષ મ્યુઝિયમને સાથે સાંકળીને સ્લમ એરિયાના બાળકોને આપી રહી છે શિક્ષણ. 10 વર્ષમાં તેમના હાથ નીચે 1200 બાળકો આ રીતે ભણી ચૂક્યા છે. જ્યારે હાલમાં તેમના હાથ નીચે 150 બાળકો શિક્ષણ લઇ રહ્યાં છે.
મ્યુઝિયમ એવી જગ્યા હોય છે જ્યાં દેશની કલા અને સંસ્કૃતિનો ખજાનો રાખવામાં આવે છે અને આ ખજાનાને મ્યુઝિમમાં ખૂબ જ ઉંડાણપૂર્વક જાણી અને સમજી શકાય છે, પરંતુ આપણે ક્યારેય પણ એવું વિચાર્યું કે મ્યુઝિયમનો ઉપયોગ ભણતર માટે પણ કરી શકાય! ભોપાલમાં રહેનાર શિબાની ઘોષ પોતાના શહેરના મ્યુઝિયમને ભણતર સાથે જોડીને હજારો બાળકોના ભવિષ્ય સુધારી ચૂકી છે. આજે શિબાની ઘોષ 'પરવરિશ- ધ મ્યુઝિયમ' દ્વારા ગરીબ અને સ્લમ વિસ્તારમાં રહેતા બાળકોને સારું શિક્ષણ આપવાનું કાર્ય કરે છે. આ સ્કૂલમાં ભણી ચૂકેલા વિદ્યાર્થીઓ આજે એન્જિનિયરિંગ અને અન્ય ક્ષેત્રોમાં કામ કરી રહ્યાં છે.
બીએડના ભણતર દરમિયાન આઇડિયા આવ્યો મ્યુઝિયમ સ્કૂલનો
શિબાની ઘોષ જ્યારે બીએડનું શિક્ષણ લઇ રહી હતી ત્યારે તેણે જોયું કે જે શિક્ષણ પ્રણાલી પોતે શીખી રહી છે તે ઘણી સારી છે, પરંતુ તેનો ઉપયોગ વધુ પડતી સ્કૂલોમાં થતો નથી. ત્યારે તેણે વિચાર્યું કે બીએડનું ભણતર પૂરું કર્યા બાદ જો તે કોઇ સ્કૂલમાં નોકરી કરવા લાગશે તો તે શિક્ષણના નીતિ-નિયમો સાથે બંધાઇ જશે. આ માટે તેણે વિચાર્યું કે તે એવા બાળકોને ભણાવશે જે બાળકોને ગુણવત્તા વાળું શિક્ષણ મળતું જ નથી. સ્કૂલ શરૂ કરતા પહેલા શિબાની દેશની વિવિધ જગ્યાઓ પર ગઇ. તેમણે પોન્ડીચેરીના અરવિંદ આશ્રમ અને અન્ય સ્કૂલોની શિક્ષણ પેટર્નને સમજી. ત્યારે તેને મ્યુઝિયમને શિક્ષણનું સાધન બનાવવાનો વિચાર આવ્યો.
પોતાની સ્કૂલ શરૂ કરતા પહેલા શિબાનીએ ભોપાલની વિવિધ ઝૂંપડપટ્ટીઓમાં સર્વે કર્યો ત્યારે તેમને ખબર પડી કે ઝૂંપડપટ્ટીમાં રહેતા અનેક બાળકો સ્કૂલોમાં નહીં પરંતુ મજૂરી કરવા જતા હોય છે. તેમણે સર્વે દરમિયાન અનેક બાળકો સાથે વાતચીત કરી અને તે બાળકોને જણાવ્યું કે તે બાળકોને ઝૂંપડપટ્ટીની બહાર બાળકોને ભણાવવાનું કામ કરશે. જેથી તેઓ તેમના પગભર થઇ શકે. આ માટે બાળકો તૈયાર તો થઇ ગયા પરંતુ બાળકોને પોતાની રોજગાર બંધ થવાની પણ ચિંતા હતી. આ માટે શિબાનીએ તેમને સમજાવ્યું કે તેમની રોજગારી બંધ નહીં થાય તેઓ કામની સાથે સાથે ભણી શકશે. આ વાતથી બાળકો પર ઘણી સારી અસર પડી અને શરૂઆતથી જ તેમની સાથે 40 બાળકો ભણવા માટે તૈયાર થઇ ગયા. શિબાનીએ બાળકોને ભણાવવા માટે બપોરે 3થી 5નો સમય નક્કી કર્યો. તેમણે ભોપાલના પાંચ મ્યુઝિયમ સાથે જોડાણ કર્યું. આ મ્યુઝિયમમાં રિઝનલ સાયન્સ સેન્ટર, માનવ સંગ્રાહલ, સ્ટેટ મ્યુઝિયમ, નેશનલ હિસ્ટ્રી મ્યુઝિયમ અને આદિવાસી મ્યુઝિમય સામેલ હતાં.
આ રીતે સપ્ટેમ્બર, 2005માં 'પરવરિશ-ધ મ્યુઝિયમ સ્કૂલ'ની શરૂઆત થઇ. શિબાની યોરસ્ટોરીને જણાવે છે,
"શરૂઆતમાં અમે એક બસ ભાડા પર લીધી, જે વિવિધ ઝૂંપડપટ્ટીઓમાં જઇને બાળકોને ભેગા કરીને મ્યુઝિયમ લઈ જવામાં અને પાછા તેમના ઘરે પહોંચાડવાનું કામ કરતી. આ દરમિયાન બાળકોને મ્યુઝિયમમાં ફરવા માટેનો સમય આપવામાં આવતો. ત્યારબાદ બાળકોના મનમાં જે પ્રશ્નો ઊભા થતા તેનો જવાબ ત્યાં જ આપી દેવામાં આવતાં."
શિબાની આ અંગે વધુમાં જણાવે છે,
"હું ઇચ્છતી હતી કે બાળકો વધુમાં વધુ પ્રશ્નો પૂછે કે, આવું કેમ, કેવી રીતે થાય છે... વગેરે જેવા. આ સમય દરમિયાન અમે ભણતર અંગે કોઇ વાત ના કરી, માત્ર તેમના પ્રશ્નોના જવાબ આપ્યા."
ધીમે ધીમે બાળકોની રૂચિ વધવા લાગી ત્યારે મ્યુઝિમ બતાવવાની સાથે સાથે તેમને ભણાવવાનું પણ કામ શરૂ કરવામાં આવ્યું. શિબાનીએ આ બાળકોના એડમિશન ધીમે ધીમે રેગ્યુલર સ્કૂલોમાં કરાવવા લાગ્યા. કારણ કે હવે બાળકોના માતા-પિતા પણ સમજવા લાગ્યા હતાં કે બાળકોને ભણવામાં કેટલો રસ છે. ત્યારબાદ શિબાની અને તેમની ટીમ મ્યુઝિયમ દ્વારા તેમને ભણાવવાનું કામ કરવા લાગી.
શિબાનીએ પોતાની પાસે આવનાર બાળકોને નેશનલ ઓપન સ્કૂલ દ્વારા ધોરણ 10ની અને 12ની પરીક્ષાઓમાં બેસાડ્યા. આ માટે તેમની સાથે ભણતા બાળકો આજે કોલેજ અને એન્જિનિયરિંગ પણ ભણી રહ્યાં છે.
1200 બાળકોને આપ્યું શિક્ષણ!
શિબાનીનું કહેવું છે,
"તેમનો મુખ્ય આશય બાળકોના ભણતરની સાથે સાથે તેમનો સમગ્ર વિકાસ કરવાનો પણ છે. આ માટે તેમની પાસે આવતા બાળકોને તેઓ ભણતરની સાથે સાથે વોકેશનલ ટ્રેઈનિંગ આપવાનું પણ કામ કરતા હતાં. જેથી બાળકો ભણતરની સાથે સાથે તેમની અંદર રહેલિ ટેલેન્ટને પણ બહાર લાવી શકે. પાછલા દસ વર્ષોમાં શિબાની 1200 જેટલા બાળકોને શિક્ષણ આપી ચૂકી છે. જે બાળકો આજે પોતાની એક અલગ સફળ જિંદગી પણ બનાવી ચૂક્યા છે."
હાલમાં તેમની પાસે 150 જેટલા બાળકો ભણી રહ્યાં છે. આ સ્કૂલો સાતેય દિવસ ચાલે છે. શિબાની કહે છે,
"ઝૂંપડપટ્ટીમાં રહેનાર 100 છોકરીઓ જે અત્યાર સુધીમાં અહીંથી ભણી ચૂકી છે તે જ આ બાળકોને હવે શિક્ષણ આપવાનું કામ કરે છે. જ્યારે મ્યુઝિયમ ક્લાસ તેમના સ્વયંસેવકો સંભાળે છે. બાળકોને પુસ્તકિયું જ્ઞાન સારી રીતે આપવા માટે બાળકોને એવા જ મ્યુઝિયમમાં લઇ જવામાં આવે છે જે વિષય તેમને શીખવાડવાનો હોય. તેઓ પુસ્તક કરતા પ્રેક્ટિકલ રીતે બાળકોને જ્ઞાન આપવામાં આવે છે. જેથી બાળકો ખૂબ જ સરળતાથી જે તે વસ્તુ કે બાબતને સમજી શકે."
આજે, 'પરવરિશ, ધ મ્યુઝિયમ સ્કૂલ'માં ભણતા અનેક બાળકો ટીવીના કાર્યોક્રમોમાં પણ પોતાના અભિનયનો પરચો બતાવી ચૂક્યા છે, ડાન્સ સ્પર્ધામાં ભાગ પણ લઇ ચૂક્યા છે. આ સ્કૂલમાં ભણતો અરૂણ માત્રે નામનો એક વિદ્યાર્થી આજે એન્જિનિયરિંગનું ભણી કરી રહ્યો છે. તેમની માતા બીજાના ઘરોમાં કામકાજ કરી રહી છે. જ્યારે તેમના પિતા એક કંપનીમાં પ્યૂનની નોકરી કરી રહ્યાં છે."
શિબાની જણાવે છે,
"અમારી યોજના આ કાર્યને અન્ય શહેરોમાં ફેલાવાની પણ છે. આ માટે અમે એવી સંસ્થાઓની શોધમાં છે જે બાળકોના ભણતરની મ્યુઝિયમ સાથે જોડીને તેમને શિક્ષણ આપે."
લેખક- હરિશ બિસ્ત
અનુવાદક- YS ટીમ ગુજરાતી
અન્ય પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો
આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:
અમેરિકાથી પરત આવી ઝુંપડામાં રહેતા બાળકોને આત્મનિર્ભર બનાવવા અભિજીતે બનાવ્યું ‘સ્લમસોકર’
કાલ સુધી બ્રેડ અને ઈંડાં વેચીને જીવન ચલાવતાં આજે એન્જિનિયર બની બાળકોને IAS બનવામાં મદદ કરે છે!
એક ડ્રાઈવરનો એન્જિનિયર દીકરો આજે ગરીબ બાળકોને મફતમાં અભ્યાસ કરાવે છે!