જન્મ બાદ જેને ઝેર આપવામાં આવ્યું, તે કૃતિએ જ 29 બાળલગ્નો રદ કરાવ્યાં!

જન્મ બાદ જેને ઝેર આપવામાં આવ્યું, તે કૃતિએ જ 29 બાળલગ્નો રદ કરાવ્યાં!

Wednesday December 02, 2015,

5 min Read

વર્ષ 2011માં કૃતિએ સારથી ટ્રસ્ટની સ્થાપના કરી, અને 850 કરતાં વધુ બાળલગ્નો રોકવામાં સફળ રહી!

જે સમાજે તેને જન્મ પહેલાં જ મારી નાખવાનો નિર્ણય જાહેર કર્યો હતો તે જ બાળકી આજે સમાજની બદી એવા બાળલગ્નોને ખતમ કરવા માટેના અથાગ પ્રયાસો કરી રહી છે. જેને જન્મ લીધા બાદ મારી નાખવા માટે ઝેર આપવામાં આવ્યું તે આજે બાળલગ્નોનો શિકાર થયેલાં બાળકોને પોતાનું જીવન ફરી એક વાર જીવવાની તક આપી રહી છે. રાજસ્થાનનાં જોધપુરમાં રહેતી 28 વર્ષની કૃતિ ભારતી બાળલગ્ન મુક્ત રાજસ્થાન માટે કામ કરી રહી છે. તેઓ દેશનાં પ્રથમ એવા મહિલા છે કે જેમણે વર્ષ 2012માં કોઈ બાળલગ્નને રદ કરાવવામાં સફળતા મળી હોય. તેમની આ સફળતાને 'લિમ્કા બુક ઓફ રેકોર્ડ્ઝ'માં સ્થાન મળ્યું છે. આ ઉપરાંત કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે તેનો સમાવેશ અભ્યાસક્રમમાં પણ કર્યો છે.

image


વર્ષ 2011માં બાળલગ્નો નાબૂદ કરવા અને તેને રદ કરાવવાના અભિયાન સાથે 'સારથી ટ્રસ્ટ'ની સ્થાપના કરનારી કૃતિ ઉપર અનેક વખત હુમલાઓ પણ થયા છે. તેમ છતાં તેની હિંમતમાં કોઈ કમી નથી આવી. અત્યાર સુધી તેની આ સંસ્થા 850 જેટલાં બાળલગ્નો રોકી ચૂકી છે. જોકે, બાળલગ્નો રોકવાનું કામ સરકારથી માંડીને ઘણી સ્વયંસેવી સંસ્થાઓ કરી રહી છે. પરંતુ બાળલગ્નોમાંથી બાળકોને બહાર કાઢવાનું કામ માત્ર સારથી ટ્રસ્ટ જ કરે છે. આ ઉપરાંત આ સંગઠન બાળકો સાથે સંકળાયેલા વિવિધ મુદ્દાઓ અંગે કામ કરે છે. ખાસ વાત એ છે કે બાળલગ્ન રદ કરાવવાની દલીલો કૃતિ જાતે કરે છે. આ ઉપરાંત તે બાળકોનું કાઉન્સેલિંગ, પરિવારજનોનું કાઉન્સેલિંગ તેમજ જાતિ પંચોનું પણ કાઉન્સેલિંગ કરે છે. એટલું જ નહીં, જે બાળકો આ સામાજિક દૂષણથી બહાર નીકળવા માગે છે તેલોકોનાં પુનર્વસનની જવાબદારી કૃતિ અને તેની ટીમ ઉપાડે છે. કૃતિના જણાવ્યા અનુસાર જો કોઈ બાળલગ્ન રદ થઈ જાય તો સમાજના લોકો તેને નથી સ્વીકારતા તેવામાં બાળકોને તેમનું સન્માન પાછું અપાવવું ખૂબ જ મુશ્કેલ કામ હોય છે.

આવાં બાળકો બાળલગ્નને કારણે થતાં શોષણથી પોતાની જાતને બચાવી શકે છે. જોકે, મોટાભાગના લોકો એ સમજી નથી શકતાં કે છૂટાછેડા અને બાળલગ્ન નાબૂદ થવા બંને અલગ બાબત છે. બાળલગ્ન રદ થયાં બાદ જે દિવસથી બાળનાં લગ્ન થયાં છે ત્યારથી કરીને અંતિમ દિવસ સુધી તેનાં લગ્ન કેન્સલ (રદ) થઈ જાય છે. તે બાળક કુંવારું જ કહેવાય છે. બાળલગ્નોને નાબૂદ કરાવવા તે એક મોટા પડકારથી ઓછું નથી. તેમ છતાં બાળલગ્ન નાબૂદ કરાવનારા લોકો સૌથી પહેલાં બાળકનાં પરિવારજનો સાથે વાતચીત કરે છે. કારણ કે બાળકનાં માતા-પિતા જો માની જાય તો બાળકની મુશ્કેલી થોડી ઘટી જાય છે. ત્યારબાદ બીજા પક્ષને બાળલગ્ન રદ કરાવવા માટે સમજાવવામાં આવે છે. સૌથી વધારે તકલીફ જાતિ પંચને સમજાવવામાં આવે છે કારણ કે આ તેમના સમાજની આબરૂનો સવાલ હોય છે. આ કામમાં કૃતિને ખૂબ જ ધમકીઓ મળે છે. કૃતિ અને તેની ટીમ ઉપર અનેક હુમલાઓ પણ થયા છે. તેઓ જણાવે છે, "મને યાદ નથી આવતું કે એવો કોઈ કેસ હશે કે જેમાં મને ધમકી ન મળી હોય. પરંતુ અમારે બાળકોને આ દૂષણમાંથી બહાર કાઢવાનાં છે. તેથી આ બધી બાબતોનું (ધમકીઓ) અમારે મન કોઈ મહત્વ નથી. અમારી કોશિશ એ રહે છે કે બંને પક્ષો અંદરોઅંદરની સમજથી બાળલગ્ન રદ કરાવવા માટે રાજી થઈ જાય. જો બંને પક્ષોની સંમતિ હોય તો બાળલગ્ન ઝડપથી નાબૂદ થઈ જાય છે. પણ જો તેમ ન થાય તો કેસમાં વધારે સમય લાગે છે." કૃતિનું કહેવું છે કે જો બંને પક્ષો બાળલગ્ન રદ કરવા માટે તૈયાર થઈ જાય છે તો સરળતા વધી જાય છે કારણ કે મેં આ જ વર્ષે ત્રણ દિવસની અંદર બાળલગ્ન રદ કરાવ્યાં છે.

image


બીજી તરફ કોઈ બાળક તેમની પાસે મદદ માગવા માટે આવે તો કૃતિ અને તેની ટીમ એકસાથે બે મોરચા ઉપર કામ કરે છે. એક તરફ તેઓ તેનાં બાળલગ્ન રદ કરાવવા માટેની કાયદાકીય તૈયારી કરે છે અને તેની સાથે તેનાં પુનર્વસનની પણ વ્યવસ્થા કરે છે. તેના માટે પહેલા બાળકોની પ્રાથમિક જરૂરીયાત ઉપર ધ્યાન આપવામાં આવે છે. તેમાં બાળકોનું ભણતર, વોકેશનલ ટ્રેઇનિંગ, આજીવિકાનો સમાવેશ થાય છે. કૃતિ એપ્રિલ 2012થી અત્યાર સુધી 29 બાળલગ્નો રદ કરાવી ચૂક્યાં છે. કૃતિના પ્રયાસોને કારણે જ રાજસ્થાનમાં સૌથી વધારે બાળલગ્નો રદ થઈ રહ્યાં છે. બાળલગ્નો રદ કરવા માટે સારથી ટ્રસ્ટ કેમ્પ પણ યોજે છે. આ કેમ્પ વિવિધ આંગણવાડી, શાળા, કોલેજ, સાર્વજનિક સ્થળે યોજવામાં આવે છે. જ્યાં તેઓ લોકોને માહિતી આપે છે તેટલું જ નહીં પરંતુ તે લોકો એવા બાળકોને પણ ઓળખે છે કે જેઓ બાળલગ્નોનો શિકાર છે. ત્યારબાદ તેઓ એ બાળકને એ માટે તૈયાર કરે છે કે તેઓ બાળલગ્નને કારણે થતાં નુકસાનને સમજે. આ ઉપરાંત આ ટ્રસ્ટ એક હેલ્પલાઇન પણ ચલાવે છે કે જેના ઉપર કોઈ પીડિત બાળક કે અન્ય કોઈ તેમના સુધી બાળલગ્ન થઈ રહ્યા હોવા અંગેની માહિતી પહોંચાડે છે. આ ઉપરાંત મીડિયા મારફતે જે કેસો સામે આવે છે તેને જોઇને પણ અન્ય બાળકોને એમ થઈ જાય છે કે તેમનાં લગ્ન થઈ ચૂક્યાં છે તે પણ રદ થઈ શકે છે. ત્યાર બાદ તેઓ મદદ માટે તેમની પાસે આવે છે.

image


કૃતિ ભલે ગમે તેટલું સારું કામ કરી હોય પરંતુ તેનું બાળપણ સારું નહોતું. તેમનાં પિતા ડૉક્ટર હતા પરંતુ તેમનાં જન્મ પહેલાં જ પિતાએ માતાને તરછોડી દીધી હતી. તેવામાં સંબંધીઓ એમ ઇચ્છતા હતા કે કૃતિનો જન્મ ન થાય અને તેની માતા બીજાં લગ્ન કરી લે. જન્મ લીધા બાદ પણ કૃતિની મુશ્કેલીઓ ઘટી નહીં. બાળપણમાં તેને ઝેર આપવામાં આવ્યું. તેના કારણે તેમનું ભણતર વચ્ચેથી છૂટી ગયું. પરંતુ મનની મક્કમ એવી કૃતિ આજે સલામતી અને સુરક્ષા અંગે પીએચડી કરી રહી છે. બાળલગ્નનાં ક્ષેત્રે તેનાં કામને જોતાં કૃતિને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો પણ મળ્યા છે. તાજેતરમાં જ તેમને લંડનમાં ત્યાંની સરકાર તેમજ થોમસન રોયટર્સ ફાઉન્ડેશને સાથે મળીને ફેલોશિપ પણ આપી છે. આજે કૃતિની એવી ઇચ્છા છે કે સમાજમાંથી બાળલગ્નો નાબૂદ થાય અને માત્ર પુસ્તકોમાં જ વંચાય કે એક જમાનામાં બાળલગ્નો જેવો કોઈ કુરિવાજ અસ્તિત્વમાં હતો.

વેબસાઈટ

લેખક – હરિશ બિશ્ત (હિન્દી)