રાજકોટવાસીઓને લાગ્યું ઘેલું 'મિલન કઠોળ'ના સ્વાસ્થ્યવર્ધક વિચારનું!

રાજકોટવાસીઓને લાગ્યું ઘેલું 'મિલન કઠોળ'ના સ્વાસ્થ્યવર્ધક વિચારનું!

Thursday December 10, 2015,

5 min Read

લોકોને સ્વસ્થ જીવનશૈલી બક્ષવા દિલિપભાઈ દરરોજ સાંજે પીરસે છે સ્ટાર્ચ વગરનું કઠોળ!

મેડિકલ સાધનોના રિપેરિંગનું કામ છોડીને દિલિપભાઈએ શરૂ કર્યું લોકોને સ્વસ્થ બનાવવાનું કામ. સ્ટાર્ચ વગરના બાફેલા કઠોળ, પીનટ્સ અને ફણગાવેલા મગ તથા મઠ રાજકોટવાસીઓને પીરસીને લોકોને સ્વસ્થ જીવનશૈલી બક્ષવાનું બીડું તેમણે ઝડપ્યું છે. તેમની દુકાનમાં લાઇવ રસોડું છે. જ્યાં દરેક પ્રકારની ટેકનોલોજી પણ દિલીપભાઈએ પોતે તૈયાર કરી છે. સાંજના 5થી રાત્રે 11 દરમિયાન તેમની દુકાન ખુલ્લી રહે છે! 

'હેલ્ધી અને ફીટ' રહેવા માટે વ્યક્તિ અનેક પ્રયાસો કરે છે. તેમાં પણ ખાસ કરીને શિયાળાની ઋતુમાં મોટા ભાગના લોકો ફિટનેસ પ્રત્યે ધ્યાન વધારે આપતા હોય છે. જેના માટે આડેધડ ડાયેટ પણ કરી લેતા હોય છે. ડાયેટ કરવા માટેનો પ્રથમ નુસ્ખો બાફેલા કઠોળનું સેવન કરવાનો હોય છે. પરંતુ આ બાફેલા કઠોળ સ્ટાર્ચ વગરના હોય તે વધારે જરૂરી છે. લોકોને સ્વસ્થ બનાવવાનું બીડું રાજકોટના દિલિપભાઈ ટાંકે ઉપાડ્યું છે. જેઓ પોતાની દુકાનમાં લાઇવ રસોડા દ્વારા સ્ટાર્ચ વગરના (બાફ્યા પછીની ચીકાસ દૂર કરવી અથવા ડિહાઇડ્રેટ કરવા) કઠોળ દ્વારા લોકોને હેલ્ધી ફૂડ પીરસી રહ્યાં છે. તેમના રસોડે બાફેલા ચણા, સીંગ, મકાઇના દાણા તથા ફણગાવેલા મગ અને મઠ મળે છે.

રાજકોટના રહેવાસી દિલિપભાઈ મોટા ભાગે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટનું રિપેરિંગ કરતા હતાં. ડૉક્ટરના એક કૉલ પર તેમણે હાજર થઇ જવું પડતું હતુ. ડૉક્ટરની સાથે રહીને લોકોની બીમારી વિશે પણ દિલિપભાઈ ઘણું સમજવા લાગ્યા હતાં. આ અંગે દિલિપભાઈ કહે છે, “ડૉક્ટરની વિઝિટની જેમ મારો પણ હું કલાક પ્રમાણે ચાર્જ લેતો હતો. કારણ કે મોટા મોટા મશીનને રિપેર કરવામાં ટાઇમ પણ લાગી જાય. પરંતુ મારી આ કમાણી મારી માતાને પસંદ ના હતી. તેમની ઇચ્છા હતી કે હું લોકોને મદદ રૂપ થઇ શકું તેવું કામ કરું. આ ઉપરાંત મારા પિતાને ડાયાબિટીસ હતો. તેમને રોજ મગ ખાવાની સલાહ ડૉકટરે આપી હતી અને મગને ફણગાવવામાં ઘણી માથાકુટ થતી હતી. ત્યારે મને વિચાર આવ્યો કે આવી માથાકુટ તો દરેક ઘરમાં થતી હશે, તો તેના નિરાકરણ માટે કામ કરવું જરૂરી હતું. ખાદ્ય વસ્તુઓ અંગેનું જ્ઞાન મને પહેલેથી જ હતું. આ માટે મારા એક મિત્રની સલાહથી મેં ડાયેટ શોપ શરૂ કરી. મેં રિસર્ચ કર્યું કે કોઇ પણ બાફેલા કઠોળને ત્રણથી ચાર દિવસ સુધી ફ્રિજમાં સ્ટોર કરવા હોય તો તેના માટે બાફેલા કઠોળમાંથી સ્ટાર્ચ દૂર કરવું જરૂરી હોય છે. જેનાથી કઠોળમાં પ્રોટિનની માત્રા જળવાઇ રહે. આજે કોઇ પણ બીમારીનો એક માત્ર ઇલાજ મગ છે. આ માટે અમે મગ અને મઠને સ્ટાર્ચ વગરના કરીને લોકોને પીરસીએ છીએ.”

image


'મિલન કઠોળ'માં દરેક વસ્તુનું મિલન સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને થાય છે!

40 રૂપિયાની એક ડિશમાં દરેક મિક્સ કઠોળ અથવા મગ, મઠ કે ચણા જે જોઇતું હોય તે પીરસવામાં આવે છે. પરંતુ આ બાફેલા કઠોળમાં નાખવામાં આવતો મસાલો પણ યુનિક રીતે જ તૈયાર કરવામાં આવે છે. જેમાં મીઠાની જગ્યાએ સંચળનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે બાકીના મસાલા દિલિપભાઈએ ખાસ રીતે તૈયાર કર્યા છે. જેથી વ્યક્તિનું સ્વાસ્થ્ય જળવાઇ રહે. આ ઉપરાંત લીંબુનો પણ રસ કાઢીને તેમાં અમુક પ્રમાણમાં પાણી ઉમેરી તૈયાર કરવામાં આવે છે. આ અંગે દિલિપભાઈ વધુમાં કહે છે, 

"અમારો માત્ર એક જ ઉદ્દેશ્ય છે, 'હેલ્ધી ખાઓ, હેલ્ધી લાઇફ જીવો'. લોકોને હેલ્ધી ફૂડ શું કહેવાય તેનું જ્ઞાન પણ ઘણું ઓછું છે. આ માટે અમે દરેક વસ્તુ પર પૂરતું ધ્યાન આપીએ છીએ." વધુમાં દિલીપભાઈ કહે છે,

"અમારી વસ્તુઓની ગુણવત્તા જળવાઇ રહે તે માટે હું કોઇને પણ આ કામની ફ્રૅંન્ચાઈઝ્ નથી આપતો. ગુજરાતભરમાંથી અનેક લોકો મારી પાસે ફ્રૅંન્ચાઈઝ્ની માગણી કરી રહ્યાં છે. પરંતુ મને નફામાં નહીં, ગુણવત્તામાં અને લોકોના સારા સ્વાસ્થ્ય જ રસ છે. બાકી ભગવાનની દયાથી ઘણું બધું મારી પાસે છે.”

દિલીપભાઈનો મોટો દીકરો બીએસસી થયેલો છે અને તે પણ તેમની સાથે આ 'મિલન કઠોળ'ની દુકાન સંભાળે છે. જ્યારે નાનો દીકરો એન્જિનિયરિંગનું ભણી રહ્યો છે.

દિલીપભાઈ ટાંક તેમના પુત્ર  ચિરાગ ટાંક સાથે

દિલીપભાઈ ટાંક તેમના પુત્ર ચિરાગ ટાંક સાથે


ચારથી પાંચ દિવસ ફ્રિજમાં સ્ટોર કરી શકાય છે!

'મિલન કઠોળ' દ્વારા તૈયાર કરેલ સ્ટાર્ચ વગરના કઠોળને ચારથી પાંચ દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે. સામાન્ય રીતે ઘરમાં સ્ટોર કરેલા કઠોળ ચીકાસ પકડી લે છે. જેના લીધે પ્રોટિનની માત્રા પણ ઘટી જાય છે. પરંતુ દિલીપભાઈ પદ્ધતિસર સ્ટાર્ચ વગરના, ડિહાઇડ્રેટ કરેલા બાફેલા કઠોળ તૈયાર કરે છે, જેના કારણે ઘર વપરાશ માટે લઇ જનાર વ્યક્તિ ત્રણથી ચાર દિવસ સુધી તેને ફ્રીજમાં રાખી શકે છે. સામાન્ય રીતે લોકો શાક કરવા માટે કે સવારના નાસ્તા માટે પણ અહીંયાથી બાફેલા કઠોળ લઇ જતા હોય છે. દિલીપભાઈનો પુત્ર ચિરાગ ટાંક જણાવે છે,

"દર્દીઓ માટે પણ લોકો ફણગાવેલા મગ અમારી પાસેથી લઇ જાય છે. અમે રોજના છ ક્લાકમાં 70થી 80 બાઉલ રોજના વેચીએ છીએ. એક બાઉલમાં 100 ગ્રામ જેટલી માત્રામાં કઠોળ આપવામાં આવે છે. સામાન્ય રીતે સારા સ્વાસ્થ્ય માટે રોજનું 100 ગ્રામ જ કઠોળ ખાવું જોઇએ. જ્યારે અમે દરેક કઠોળની રોજની 44 ડિશ તૈયાર કરીએ છીએ."

કઠોળ માટે જરૂરી મશીનરી પણ દિલિપભાઈએ જાતે તૈયાર કરી છે!

મોટા ભાગના કઠોળ બાફીને ફણગાવી તેમાં સ્ટાર્ચ દૂર કરીને તૈયાર કરી દેવામાં આવે છે. ત્યારબાદ શિયાળામાં ગરમ ગરમ પિરસવા માટે તેને માત્ર દિલિપભાઈની તૈયાર કરેલી મશીનમાં સ્ટીમ કરવામાં આવે છે. આ ઉપરાંત મસાલા નાખ્યા બાદ તે મિક્સ થઇ જાય તે માટે પણ ખાસ પ્રકારનું મશીન તૈયાર કરવામાં આવ્યું છે. જ્યારે ઉનાળામાં લોકોની માગથી આ જ કઠોળ ઠંડા પીરસવામાં આવે છે.

દિવસમાં કેટલું કઠોળ ખાવું જોઇએ?

પોતાના એક અનુભવના આધારે રોજ કેટલી માત્રામાં કઠોળનું સેવન કરવું જોઇએ તે અંગે જણાવતા દિલિપભાઈ જણાવે છે, "સામાન્ય રીતે રોજનું 100 ગ્રામ કઠોળ ખાવું જોઇએ. જ્યારે કઠોળની એક ડિશ ખાધા પછી 3થી 4 કલાક સુધી કોઇ પણ અન્ય ખાદ્યપદાર્થ ન ખાવો જોઇએ. કારણ કે અન્ય ખોરાક ખાવાથી કઠોળમાંથી જે પ્રોટીન અને વિટામિનની માત્રા મળે છે તે મળતી બંધ થઇ જાય છે. સામાન્ય રીતે તો કઠોળ સવારના વહેલા અથવા રાત્રે સૂતા પહેલા ખાવું જોઇએ. જેથી પ્રોટિન અને વિટામીન ભરપૂર પ્રમાણમાં મેળવી શકાય.”

લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગરૂક કરવા માટે દિલિપભાઈ અને તેમના પરિવાર તરફથી ઉપાડવામાં આવેલ આ ઝુંબેશ અંગેની દેરક કામગીરી ચોક્કસાઇપૂર્વક અને સ્વચ્છતાથી થાય તેની પૂરે પૂરી કાળજી દિલીપભાઈ પોતે રાખે છે.