ઑર્ગેનિક વસ્તુઓને તમારા ઘરઆંગણે પહોંચાડતાં 10 સ્ટાર્ટઅપ્સ

ઑર્ગેનિક વસ્તુઓને તમારા ઘરઆંગણે પહોંચાડતાં 10 સ્ટાર્ટઅપ્સ

Thursday November 05, 2015,

5 min Read

તમે કોઈ સુપર માર્કેટમાં છો અને રસીલા ફળ શોધી રહ્યાં છો. તમે પહેલાં પરંપરાગતરીતે ઉગાવેલા ફળ શોધો છો, પછી થોડા વધું પૈસા ખર્ચીને ઑર્ગેનિક પદ્ધતિથી ઉછરેલા ફળ લેવાનું નક્કી કરો છો. તમને લાગે છે કે, ઑર્ગેનિક ઉત્પાદને પસંદ કરીને તમે એક સ્વસ્થ નિર્ણય લીધો છે. સ્વસ્થ વસ્તુ ખાવા તરફ રુચિ કેળવવી એટલે, સ્વસ્થ જીવનની શરૂઆત. પર્યાવરણને બચાવવું તથા બીમારી નોતરતાં કૅમિકલથી દૂર રહેવું, એ ઑર્ગેનિક જીવનનાં કેટલાક ફાયદાઓ છે. પણ આ હંમેશા એટલું સરળ નથી હોતું, ખાસ કરીને ત્યારે, જ્યારે તમને એ વાતનો અહેસાસ થવાનો શરૂ થયો હોય, કે તમે શું વિચારો છો, શું ખરીદો છો અને શું ખાઓ છો તેની સાથે કેટલીક બાંધછોડ કરવી પડે છે. અગર તમે ઑર્ગેનિક ખોરાકને અપનાવવા માટે તૈયાર છો અથવા તો ઑર્ગેનિક ખોરાકને શોધવાના સતત પ્રયાસ કરો છો, તો નીચે આપેલાં 10 સ્ટાર્ટઅપ્સ, ઑર્ગેનિક ઉત્પાદ ખરીદવા માટેના ઈ-કૉમર્સ પ્લેટફોર્મની જોગવાઈ કરે છે:

image


1. ઑર્ગેનિક શૉપ:

વાડામાં વાવણી સાથે શરૂ થયેલો આ પ્રોજેક્ટ, હવે આ ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓને, ભારતમાં ઑનલાઈન ગ્રાહકો સુધી ઑર્ગેનિક, પ્રાકૃતિક અને બાયો ઉત્પાદ પહોંચાડવામાં મદદ કરે છે. મનૂજ તેરાપંથી દ્વારા શરૂ કરવામાં આવેલી આ ઈ-કૉમર્સ સંસ્થા, ભારતની સાથે-સાથે યુરોપનાં પણ વિવિધ ઑર્ગેનિક તથા પ્રાકૃતિક ઉત્પાદોનું કૅટૅલૉગ દર્શાવે છે.

2. નૅચરલી યોર્સ:

આ સંસ્થાને, વિનોદ કુમાર અને પ્રિયા પ્રકાશ દ્વારા 2010 નાં ફેબ્રુઆરી મહિનામાં, ગ્રાહકોને એક જ જગ્યાએ પ્રાકૃતિક અને શુદ્ધ માલનો વિશાળ સંગ્રહ મળી રહે તે માટેની વ્યવસ્થા સાથે શરૂ કરવામાં આવ્યું હતું. આ સ્ટાર્ટઅપ એક એવાં ઈ-કૉમર્સ પ્લેટફોર્મની જોગવાઈ કરે છે જેમાં, ચોખા, દાળ, તેલ, બાજરી પોંગલ, ખીર વગેરે જેવી 100 વસ્તુઓનો સમાવેશ થાય છે.

નૅચરલી યોર્સે સમસ્ત ભારતનાં ખેડૂતો સાથે ભાગીદારી કરી છે, જેથી તેઓને માર્કેટમાં પ્રવેશ અપાવવાની વ્યવસ્થા કરી શકે. ખેડૂતો પાસેથી ઉત્પાદ ખરીદીને આ સંસ્થા, તેને પોતાની બ્રાન્ડ હેઠળ વેચે છે.

3. ન્યૂટ્રીબકેટ:

ન્યૂટ્રીબકેટ એક ઑનલાઈન હેલ્થફૂડ સ્ટોર છે, જેને ધ્રૂવ અને પ્રજ્ઞા જગ્ગી દ્વારા શરૂ કરવામાં આવ્યો છે, જેઓ ભારતનાં લોકોને સ્વસ્થ, પૌષ્ટિક અને આરોગ્યવર્ધક ખોરાક પૂરો પાડવાનું લક્ષ્ય ધરાવે છે. તેઓ માને છે કે, સ્વસ્થ હોવાનો મતલબ છે કે, જીવનમાં તમારા આખા શરીરના સ્વાસ્થ્ય વિશે સજાગ રહેવું અને સુરક્ષિત, પ્રાકૃતિક, ઑર્ગેનિક અને સ્વસ્થ ઉત્પાદ પૂરા પાડવાં, જેથી ખામીઓ સામે લડીને શરીર સ્વસ્થ રાખી શકાય.

4. આઈ સે ઑર્ગેનિક:

આ સંસ્થાનાં ફાઉન્ડર અશ્મિત કપૂર, બ્રિટીશ કોલમ્બિયા યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલા છે અને તેમણે બ્રાઉન યુનિવર્સિટીમાં ઉદ્યોગસાહસિકનો અભ્યાસ કર્યો છે. આ સંસ્થા, પોતાના ભાગીદારોનાં નેટવર્ક દ્વારા, ખેડૂતોના સમૂહો સાથે સંપર્ક સાધે છે. આઈ સે ઑર્ગેનિક, લોકોને ઑર્ગેનિક ખોરાક ખાવાનો વિકલ્પ આપે છે અને જે ખેડૂતો આ ખોરાક વાવે છે, તેમને ઓળખે છે અને તેમને સમર્થન પણ આપે છે. આ સંસ્થા ઉત્પાદક કંપનીઓ સાથે ભાગીદારી કરે છે અને ઑર્ગેનિક ઉત્પાદ વાવતા ખેડૂતોને, ઑર્ગેનિક ઉત્પાદ ખરીદવા માંગતાં ગ્રાહકો સાથે જોડી આપે છે.

5. ધ ઑર્ગેનિક.લાઈફ:

મહેશ તિગાલી દ્વારા શરૂ કરવામાં આવેલી ધ ઑર્ગેનિક.લાઈફ એક ઑનલાઈન માર્કેટ છે, જે વ્યાપારીઓને સંકલિત વિતરણમાં ટેકો કરે છે અને 100 શ્રેણીઓમાં, લગભગ 1,500 ઑર્ગેનિક ઉત્પાદ વેચે છે. તેઓ શોધી શકાય એવી પદ્ધતિનો ઉપયોગ કરે છે જેથી, તેઓ એ વાતની ખાતરી કરી શકે કે તેઓ જે ઉત્પાદ વેચે છે તે શુદ્ધ છે. આમ કરવાથી, ખરીદારો ઉત્પાદની પ્રમાણિકતાની પુષ્ટી કરી શકે છે.

6. ફાર્મ2કિચન:

આ સંસ્થા, સીમા ઢોલી દ્વારા 2011ની ફેબ્રુઆરીમાં શરૂ કરવામાં આવી હતી. સંસ્થા દ્વારા ગ્રાહકોના ઘરઆંગણે તાજા શાકભાજી તથા ફળો પહોંચાડવામાં આવે છે, જેમાં તમામ ઉત્પાદોને રોજ સવારે ખેડૂતોનાં માર્કેટમાંથી લાવવામાં આવે છે. આનાથી ગ્રાહકો જ્યારે પણ ઑર્ડર આપે ત્યારે, તેમને ચોક્કસપણે તાજા ઉત્પાદ પહોંચાડવામાં આવે છે. ખેડૂતોનાં માર્કેટમાંથી લાવવાનાં લીધે, તે વચલી કિંમતને ઘટાડી દે છે અને ઉત્તમ ગુણવત્તાની ખાતરી આપે છે.

7. હેલ્પ અસ ગ્રીન:

અંકિત અગ્રવાલ તથા કરન રસ્તોગી દ્વારા શરૂ કરવામાં આવેલી આ સંસ્થા કાનપુરમાં આવેલી છે. હેલ્પ અસ ગ્રીન, ગંગા નદીના કચરામાંથી પ્રાકૃતિક અને ઑર્ગેનિક ઉત્પાદને ‘ફ્લાવરસાઈકલ’ કરે છે. તેઓ ધાર્મિક સ્થાનો પરથી ફૂલનાં કચરાને ભેગો કરે છે અને તેને ‘વર્મિકૉમપૉસ્ટ’ માં રિસાઈકલ કરે છે, જે વૈભવી ધૂપ તથા નહાવાનાં સાબુ બનાવે છે.

8. જૉય બાય નેચર :

આઈ.આઈ.ટી તથા આઈ.આઈ.એમનાં વિદ્યાર્થીઓ શૈલેષ મેહતા અને રાહુલ કુમાર દ્વારા, 2013માં શરૂ કરવામાં આવેલી જૉય બાય નેચર સંસ્થા પુસ્તકો, ખોરાક અને વ્યક્તિગત સંભાળ જેવી અન્ય આઠ કૅટૅગરીમાં, 50 જેટલા બ્રાન્ડ્સની 10,000 જેટલી વિશાળ વિવિધતા પૂરી પાડે છે. તેના પ્લેટફોર્મ પર 300થી પણ વધુ રજીસ્ટર્ડ વિક્રેતાઓ છે. તેમની પાસે એવા નિષ્ણાંતો પણ છે, જેઓ લાઈવ ચૅટ દ્વારા સ્વસ્થ જીવન જીવવાની સલાહ આપે છે, તથા લોકોને સ્વાસ્થ્ય સંબંધિત બાબતો વિશે શિક્ષિત કરવાનું લક્ષ્ય ધરાવે છે

9. ઈનર બિઈંગ વૅલનૅસ:

હૈદરાબાદ સ્થિત ઈનર બીઈંગ વૅલનૅસ, એક આહાર નવપ્રયોગ કંપની છે જે મોરીયાનો લોટ, નૂડલ્સ, ફ્લેક્સ, સેવ, પાસ્તહ, બ્રૅડ બનાવે છે. મોરીયામાં ગ્લૂટેન નથી હોતું, તે લૉ-કૅલરી હોય છે તથા કૉલૅસ્ટ્રોલ, ડાયબિટીસ, ગ્લૂટેન ઍલર્જી અને અપચા જેવી વિકૃતિઓને ઘટાડે છે. છોડનાં અર્કની તાકાતમાં વિશ્વાસ ધરાવતી ઈનર બિઈંગ સૌંદર્ય, સ્વાસ્થ્ય અને પૌષ્ટિકતાની શ્રેણીનાં ઉત્પાદનો સમાવેશ કરે છે.

10. લિવિંગ ગ્રીન્સ ઑર્ગેનિક્સ:

આ સંસ્થાનાં ફાઉન્ડર પ્રતીક તિવારી, એક કૃષિ એન્જીનિઅર છે તથા તેમણે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફૉરેઈન ટ્રેડમાં ઍમ.બી.એ પણ કર્યું છે. લિવિંગ ગ્રીન્સ ઑર્ગેનિક્સ, રૂફટૉપ (છાપરાં પર) ઑર્ગેનિક ફાર્મિંગમાં નિષ્ણાંત છે, જેમાં ફળ તથા ઑર્ગેનિક કિચન ગાર્ડનિંગનો સમાવેશ થાય છે. તેઓ દરેક છાપરાં પર ઑર્ગેનિક શાક વાવવા માગે છે તથા દરેક ઈમારતને લિવિંગ ગ્રીન ઈમારતમાં બદલી દેવા માંગે છે.

ઑર્ગેનિક આહારનાં ફાયદાઓ, તેમની વાસ્તવિકતા કરતાં તેમની સમજ પર વધારે આધારિત છે. મોટાભાગે, ઑર્ગેનિક આહારના સ્વસ્થ વિકલ્પ હોવાનું સમર્થન એવાં પર્યાવરણીય સમૂહો પાસેથી આવે છે, જેઓ જંતુનાશકો તથા રાસાયણિક ખાતરનો ઉપયોગ ટાળીને, પર્યાવરણનું સંરક્ષણ કરવાં માંગે છે. ઑર્ગેનિક આહારનાં ઉત્પાદકો, ઑર્ગેનિક આહાર અન્ય આહાર કરતાં શ્રેષ્ઠ છે, એવાં વિચારમાં મક્કમપણે માને છે.

image credit “GettyImages