સ્થાપકો વચ્ચે મતભેદ: સ્ટાર્ટઅપ્સની નિષ્ફળતાનું બીજું સૌથી મહત્ત્વપૂર્ણ કારણ!

સ્થાપકો વચ્ચે મતભેદ: સ્ટાર્ટઅપ્સની નિષ્ફળતાનું બીજું સૌથી મહત્ત્વપૂર્ણ કારણ!

Monday January 18, 2016,

4 min Read

સ્ટાર્ટઅપ્સમાં સહસ્થાપકો વચ્ચે મોટા નિર્ણયો વચ્ચે ચર્ચા થાય તે સારું છે, પણ દરેક નિર્ણય સર્વસંમતિથી લેવાય એ જરૂરી નથી!

વર્ષ 2014માં સીબી ઇનસાઇટ્સમાં ઉદ્યોગસાહસિકોએ સ્ટાર્ટઅપ્સની નિષ્ફળતા માટે જવાબદાર મુખ્ય કારણો પર લેખો પ્રક્ટ કર્યા હતા. આ તમામ લેખોમાં સ્ટાર્ટઅપ્સની નિષ્ફળતા માટે બીજું સૌથી મુખ્ય જવાબદાર કારણ સ્થાપકો વચ્ચે અને સ્થાપકો અને ટીમ વચ્ચે ઊભા થતા મતભેદો હોવાનું તારણ બહાર આવ્યું હતું.

image


સ્થાપક સંબંધિત સમસ્યાઓ કેટલાંક સ્થાપકોની કંપનીમાં આવશ્યકતા પ્રમાણે ભૂમિકા અદા કરવાની કે કામગીરી કરવાની અક્ષમતાથી લઈને અપ્રમાણિકતા સુધીની હોઈ શકે છે. જ્યારે સ્પષ્ટ ચોરી/ગોટાળો થાય છે ત્યારે આવી સમસ્યાનું સમાધાન કરવું સરળ છે, પણ કામગીરી/પ્રદાન અને ટીમની સક્ષમતા જેવા મુદ્દે ઊભી થયેલી સમસ્યાનું સમાધાન કરવું મુશ્કેલ છે.

હું એક કંપનીમાં સારી રીતે જોડાયેલો હતો. તેના ત્રણમાંથી બે સહસ્થાપકોએ એક મહિનાની અંદર અમારી ફંડિંગ ટીમનો સંપર્ક કર્યો હતો અને તેઓ કંપનીમાંથી સહસ્થાપક તરીકે બહાર નીકળવા ઇચ્છે છે તેવું જણાવ્યું હતું. પછી ત્રણ વર્ષ આ પ્રકારની સ્થિતિનું થોડી વાર પુનરાવર્તન થયું હતું અને એક વખત ફરી એક સ્થાપક કંપનીમાંથી બહાર નીકળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમનું માનવું હતું કે, કંપનીએ 'સ્થાપક' તરીકે અનુરૂપ ભૂમિકા તેમને સુપરત કરી નથી અને તેઓ સ્ટાર્ટઅપમાં જોડાયા તેના કરતાં ત્રણ વર્ષમાં કોઈ મોટી બહુરાષ્ટ્રીય કંપનીમાં વધુ સારો અનુભવ મેળવી શક્યા હોત. સદનસીબે અમે કામગીરીમાં કોઈ પણ પ્રકારનો મોટો ફેરફાર કર્યા વિના કે લીડરશિપ ટીમનો જુસ્સો નબળો ન પડે તે રીતે તેમને વિદાય કરી શક્યા હતા. કંપનીએ તેના તમામ ભાગીદાર પક્ષો માટે ઊંચા મૂલ્યનું નિર્માણ કરવા ઇચ્છે છે.

જો તમે સ્ટાર્ટઅપનો વિચાર કરો છો અને સહસ્થાપકો શોધો છો, તો અગાઉથી જ સમજૂતી કરી લેવી જરૂરી અને હિતાવહ છે, જેમાં તમારે તમામ સંભવિત સ્થિતિસંજોગોનું ધ્યાન રાખવાનું છે. આ પ્રકારની સમજૂતી કરો ત્યારે નીચેના પરિબળો ધ્યાનમાં લોઃ

1. ભૂમિકા અને જવાબદારીઓ

સ્થાપકો વચ્ચે થતી સમજૂતીમાં દરેક સ્થાપકની મુખ્ય ભૂમિકા અને જવાબદારીઓ સ્પષ્ટપણે નક્કી હોવી જોઈએ. આ નિર્ણય સ્થાપકોના અગાઉના અનુભવને આધારે લઈ શકાશે અને જો સ્થાપક બહુ અનુભવ ન ધરાવતા હોય, તો આ નિર્ણ ય સ્થાપકોના રસને આધારે લઈ શકાશે. (અહીં ધારણા એ છે કે જો સહસ્થાપકને કોઈ ખાસ ક્ષેત્રમાં રસ હોય તો તે આ માટે જરૂરી કુશળતા હાંસલ કરશે). સમજૂતીમાં ભૂમિકાઓ અને જવાબદારીઓમાં ફેરફાર કરવા માટેની જોગવાઈ સામેલ હોવી જોઈએ.

2. નિર્ણય લેવાની પ્રક્રિયા

દરેક સહસ્થાપક સીઇઓ બની ન શકે અને તેણે સીઇઓ કે કૉ-સીઇઓ બનવાની જરૂર પણ નથી. કોઈ પણ સ્ટાર્ટઅપ માટે નિર્ણય લેવા સમિતિ રચવા અને/અથવા બહુમતીના આધારે નિર્ણય લેવાની પ્રક્રિયામાં ઘણો બધો સમય વેડફાય છે અને તેના કારણે નબળાં નિર્ણય લેવાય તેવી કે સ્ટાર્ટઅપનો શરૂઆતમાં જ મૃત્યુઘંટ વાગી જાય તેવી શક્યતા છે. અંતિમ અને સ્પષ્ટ નિર્ણય લેવાનો અધિકાર એક વ્યક્તિ પાસે જ હોય તો તેનાથી તમામ ભાગીદારોને સ્પષ્ટ મળશે અને એટલે કોઈ પણ કંપનીમાં એક જ લીડર હોય તે મહત્ત્વપૂર્ણ છે. લીડરમાં કામગીરીના આધારે ફેરફાર થવો જોઈએ, નહીં કે વારાફરતી બધાને લીડર બનાવવાની પ્રથા હોવી જોઈએ. ચોક્કસ, તમામ મોટા નિર્ણયો લેતા અગાઉ સહસ્થાપકો વચ્ચે ચર્ચા થવી જોઈએ, પણ તેનો અર્થ એ નથી કે તમામ નિર્ણય સર્વસંમતિથી લેવા જોઈએ. લોકશાહી ચર્ચાવિચારણા કરવામાં ઉપયોગી છે, પણ સર્વસંમતિથી નિર્ણય લેવામાં અમૂલ્ય સમય વેડફાય છે તે સમજવું બહુ જરૂરી છે.

3. ઇક્વિટીનું વિભાજન અને હિત:

સ્ટાર્ટઅપ્સનો સર્વે દર્શાવે છે કે ઇક્વિટી સ્થાપકો વચ્ચે સમાન પ્રમાણમાં વહેંચાય છે. જો સ્થાપક ટીમ એકસરખો અનુભવ અને બેકગ્રાઉન્ડ ધરાવે તો આવું સમાન વિભાજન વધારે જોવા મળે છે. સ્ટાર્ટઅપમાં ઇક્વિટીનો આશય ભવિષ્યના મૂલ્યનો નિર્માણ કરવાનો છે અને ટીમના તમામ સભ્યો એકસરખો હિસ્સો પ્રદાન કરે અને/અથવા એકસરખી કામગીરી દર્શાવે તે જરૂરી નથી. જો બેકગ્રાઉન્ડ અને અનુભવ એકસરખો ન હોય, તો તમામ સહસ્થાપકો વચ્ચે એકસમાન હિસ્સો ધરાવે એ જરૂરી નથી. સામાન્ય રીતે મુખ્ય સહસ્થાપક કે સીઇઓ અન્ય સહસ્થાપકો કરતાં ઊંચી ઇક્વિટી ધરાવતા હોય છે. આ બાબત અપ્રિય લાગે તેવું બની શકે છે, પણ પાછળથી મનદુઃખ થાય તે અગાઉ આ અંગેની ચર્ચાઓ કરવી જરૂરી છે. સ્થાપકો વચ્ચે મનદુઃખ કે કજિયો કંપનીની નબળી કામગીરી તરફ દોરી શકે છે. ઇક્વિટીના વિભાજન ઉપરાંત સ્થાપકોના હિત પણ એટલી જ મહત્ત્વપૂર્ણ બાબત છે અને સ્થાપકોએ બજારમાં સામાન્ય રીતે હિતો જાળવવા માટે જે મોડલ અમલમાં હોય તેને અનુસરવું જોઈએ અને આવું મોડલ સીનિયર લીડરશિપ પાસેથી જે અપેક્ષાઓ રાખવામાં આવે તેવું હોઈ શકે છે. જો સહસ્થાપકો અધવચ્ચે કંપની છોડી તો તેમના હિસ્સાનો ઉપયોગ વિકલ્પ શોધવા માટે થઈ શકશે.

સ્થાપક/ટીમ વચ્ચેનો સંબંધ લગ્ન જેવો છે – અમને આશા છે કે તે કાયમ માટે ટકશે કે એક્ઝિટ સુધી જળવાઈ રહેશે. પણ લગ્નની જેમ આ સંબંધમાં પણ ઘણી આશ્ચર્યજનક બાબતોનો સામનો થઈ શકે છે. આ કારણે પાછળથી પસ્તાવું તેના કરતાં અગાઉથી જ સ્પષ્ટ સમજૂતી કરી લેવી હિતાવહ છે.


લેખક- ભારતી જેકોબ

ભારતી જેકોબ વેન્ચર ફંડ સીફંડના સહસ્થાપક છે. તેમણે રેડબસ, ચુંબક, વૂનિક જેવી આઇકોનિક બ્રાન્ડ્સમાં રોકાણનું નેતૃત્વ કર્યું છે. તેઓ ભારતીય ઉદ્યોગસાહસિકોમાં જોવા મળતી સમસ્યાઓ લાંબા સમયથી ઉકેલી રહ્યાં છે.

અનુવાદક- કેયુર કોટક