છેલ્લા 23 વર્ષોથી પથારીવશ જીવન જીવતાં વડોદરાનાં સુનીલ દેસાઈએ શરૂ કરી 'કેરટેકર' સંસ્થા, વૃદ્ધોની સેવાના આશયની સાથે અનેકને રોજગારી

છેલ્લા 23 વર્ષોથી પથારીવશ જીવન જીવતાં વડોદરાનાં સુનીલ દેસાઈએ શરૂ કરી 'કેરટેકર' સંસ્થા, વૃદ્ધોની સેવાના આશયની સાથે અનેકને રોજગારી

Thursday May 05, 2016,

5 min Read

‘ખુદી કો કર બુલંદ ઇતના કે તેરી હર તકદીર સે પહેલે ખુદા બંદે સે પૂછે કે બોલ તેરી રજા ક્યા હે...’

નસીબ, તકદીર, મુકદર પર આધાર રાખી જીવનથી હતાશ થનાર કે પછી હું નહીં કરી શકું, મારાથી નહીં થાય, હવે હું શું કરીશ? અથવા તો જીવનથી કંટાળી ખોટું કૃત્ય કરનારા લોકોની સામે વડોદરાનાં સુનીલ દેસાઈ એક આગવું ઉદાહરણ પૂરું પાડે છે. કઈ રીતે આપણે આપણી નબળાઈને આપણી તાકાત બનાવી શકીએ છીએ તેનું જીવતુંજાગતું દ્રષ્ટાંત એટલે સુનીલ દેસાઈ.

સમયનું ચક્ર ક્યારે કઈ તરફ ફરે એનો અંદાજ કોઈને પણ આવી શકતો નથી. સમય સારો કે ખરાબ હોતો નથી. પણ એની અસર સારી કે ખરાબ હોય છે. કાચબાની ચાલે ચાલતો સમય તેનું કામ કરીને વહી જાય છે. પણ તેની છાપ આખી જીંદગી છોડી જાય છે. પણ સમયને જે જીરવી જાય એવા વ્યક્તિત્વ ખૂબ જૂજ હોય છે. એમાનું એક નામ છે, વડોદરા શહેરના રહેવાસી સુનીલ દેસાઈ.

સુનીલ દેસાઈ તેમના પત્ની સાથે<br>

સુનીલ દેસાઈ તેમના પત્ની સાથે


સુનીલ દેસાઈ એક જાણીતી ટીવી કંપનીમાં એરિયા સેલ્સ મેનેજર હતાં. તેઓને માર્કેટીંગ માટે ઘણી બધી જગ્યાએ ફરવું પડતું. ઉપરાંત એમના વ્યક્તિત્વ અને વાક્ચાતુર્યના કારણે તેમણે તેમની નોકરીમાં પણ સારું સ્થાન મેળવ્યું હતું. પરંતુ વર્ષ ૧૯૯૪ નો એક એવો દિવસ કે એમના જીવનમાં અણધાર્યો વળાંક લઈને આવીને ઉભો રહ્યો. એક બસ અકસ્માતે એમના જીવનને એક નવા જ વળાંક પર લાવીને મૂકી દીધું. તેમની આપવીતી તેમના જ શબ્દોમાં જાણીએ.

image


સુનીલ દેસાઈ વિગતમાં જણાવે છે,
“આજથી ૨૩ વર્ષ પહેલાં ૧૯૯૪ માં જયારે હું ટીવીની કંપનીમાં જોબ કરતો હતો ત્યારે રક્ષાબંધનના દિવસે જ મારે રાજકોટ મીટીંગમાં જવાનું થયું. બસમાં મને પાછળની સીટ મળતા મેં કંડકટર સાથે રકઝક કરી આગળની સીટ મેળવી હતી અને લીંબડી બગોદરા વચ્ચે બે બસનો અકસ્માત થતા મારા પીઠના મણકા તૂટી ગયા અને ગળાથી નીચેની શરીરનો આખોજ ભાગ અચેતન બની ગયો. મેડીકલની ભાષામાં એને 'કવોડ્રીપ્લેજીક' કહેવાય છે. ઘણી બધી દવાઓ કરી પણ કશો જ ફરક ના પડ્યો. તબીબોએ કહ્યું કે, હવે હું લાંબુ નહીં જીવી શકું. આ સમસ્યાનો દુનિયામાં કોઈ જ ઈલાજ નથી, પણ મારી જિજીવિષા પ્રબળ હતી. મારા માતાપિતા, પત્ની અને બે દીકરીઓ માટે મારે જીવવું હતું અને મારો આત્મવિશ્વાસ કામ કરી ગયો. હું ૨૩ વર્ષથી આ જ પરિસ્થિતિમાં જીવું છું.”
સુનીલ દેસાઈ તેમના પરિવાર સાથે<br>

સુનીલ દેસાઈ તેમના પરિવાર સાથે


તેમના આ પ્રબળ મનોબળ તેમજ આત્મવિશ્વાસને લીધે તેઓ કઠોર પરિસ્થિતિમાંથી તરી ગયા અને લગભગ છેલ્લાં ૧૦ વર્ષથી ‘કેરટેકર’ નામની સંસ્થા ચલાવે છે.

તેમને જયારે પૂછવામાં આવ્યું કે કેરટેકર શરુ કરવા પાછળનો ઉદ્દેશ શું હતો, ત્યારે તે જણાવે છે, 

“મારા અકસ્માત બાદ મારા ઓપરેશન પાછળ ખૂબ જ ખર્ચો હતો. ઉપરાંત મારી આવક એટલી બધી ન હતી કે હું મારા પરિવારનું ભરણપોષણ કરી શકું. અને હું જે પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો હતો એ મે જાતે જ અનુભવી છે. અને મારી આ પરિસ્થિતિએ જ મને પ્રેરણા આપી કેરટેકર સંસ્થા ખોલવાની. ઉપરાંત આ પાછળ મારા પર્સનલ તેમજ પ્રોફેશનલ વિચારો પણ છે. પથારીવશ થયા બાદ શું જોઈએ અને કેવી સંભાળ જરૂરી છે તે મે જાતે અનુભવ્યું છે. તેથી મે વૃદ્ધ અને અશક્ત લોકો માટે આ સંસ્થા શરુ કરી. આજે ઘણા લોકો આ સેવાનો લાભ લઇ રહ્યા છે. તો સામા પક્ષે અનેકને રોજગારીની તક મળી છે.”
image


તેઓ વધુમાં જણાવે છે, 

“આ આધુનિક અને મોડર્ન યુગમાં લોકોને પોતાના સ્વજનો તેમજ પરિવાર માટે સમય નથી. અને જો સમય છે તો પૈસા નથી, અને જો પૈસા છે તો કરવું નથી. પોતાના પારકા થયા છે અને પારકા પોતાના થયા છે. પહેલાના જમાનામાં લોકો સંયુક્ત કુટુંબમાં રહેતાં હતાં. તેથી ઘરના સભ્યોને વડીલોની સેવાચાકરી કરવાનો સમય પણ મળતો હતો. પરંતુ આજના સમયમાં લોકો ફક્ત એકબીજાનો સ્વાર્થ જ જોવે છે. ઉપરાંત મારા કપરા સમયમાં મે ઘણું બધું સહન કર્યું હતું. એવા લોકોએ મને મદદ કરી હતી જેમને મે જોયા પણ ન હતાં. મારા ઓપરેશન માટે ઘણા બધા તૈયાર હતાં પોતાના પૈસા આપવા. બસ આ જ હેતુથી મેં આ સંસ્થા સ્થાપી. હું ફોન પર જ બધા કામ કરું છું અને જરૂરિયાતમંદને વ્હીલચેર, કેરટેકર તેમજ અન્ય સાધનસામગ્રી પૂરું પડું છું. આ માટે અમે ખૂબ જ ઓછી ફી લઈએ છીએ. એ પણ મારી સાથે જે લોકો કામ કરે છે.”

તેઓ વધુમાં જણાવે છે કે, ”દરેક જીવમાં ભગવાનનો વાસ જુઓ. મંદિરમાં પૂજા-પાઠ, દાન કરવાથી ભગવાન મળતા નથી. મંદિર, પૂજા-પાઠ જરૂરી છે પણ જો તમે કોઈના જીવને દુભવશો તેનો કોઈ જ અર્થ નહીં સરે. કોઈનું ભલું કરશો તો કુદરત (ભગવાન) આપણું ભલું કરશે જ. દરેક વ્યક્તિએ સમય સંજોગોને માન આપીને જ ચાલવું પડે.”

અંતમાં સુનીલભાઈ પોતાની ઈચ્છા વ્યક્ત કરતા કહે છે,

“મારે હજું ઘણાં સપના સાકાર કરવાના છે. વૃદ્ધો અને અપંગોની મુશ્કેલીઓ હળવી કરવી છે. ત્યારબાદ એક વૃદ્ધાશ્રમ પણ શરુ કરવાનું સ્વપ્ન છે. જ્યાં તેઓ જીંદગીના પાછલા વર્ષો આનંદમાં વિતાવી શકે. આ એક ભગીરથ કાર્ય છે, એને માટે પુષ્કળ ધનની જરૂર પડશે. અને જો મને આ સહાય સરકાર કે કોઈ પ્રાઇવેટ સંસ્થા તફથી મળશે તો હું જરૂરથી આ કાર્યને સફળ કરીશ. નિરાધારનો આધાર જ નહીં પરંતુ તેમના સુખ-દુઃખના પણ સાથીદાર બનીશ. આ એક એવી જગ્યા હશે, જ્યાં દરેક વ્યક્તિ એકબીજાને સહાયરૂપ થશે. અહી રહેતી દરેક વ્યક્તિ સંસ્થા ચલાવવામાં યથાશક્તિ યોગદાન આપશે, અને તેને કારણે દરેકમાં રહેલી સમાજને માટે કંઇક કરી છુટવાની ભાવના સંતોષાશે. કોને ખબર, એક દિવસ મારું આ સ્વપ્ન પણ સાકાર થશે...”

એટલેજ તેમની માનસિકતા અને મનોબળને બિરદાવવા ભારતના પ્રસિદ્ધ લેખિકા સુધા મેનને પ્રકાશિત કરેલ પુસ્તિકા ‘Gifted Inspiring Stories of People with Disabilities’ માં સુનીલ દેસાઈનું એક પ્રકરણ પણ સામેલ કર્યું છે. તેમના પ્રકરણમાં તેમની સામે આવેલ કઠોર મુશ્કેલીઓ પણ નમતું જોખે તેવા સાહસ તેમજ પ્રેરણાદાયી ગુરુમંત્રનો ઉલ્લેખ કર્યો છે.

વધુ પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

વધુ સંબંધિત સ્ટોરીઝ વાંચો:

આત્મહત્યાનો વિચાર મનમાંથી કાઢી, કપરી પરિસ્થિતિનો અડગપણે સામનો કરી, સફળ ઉદ્યોગસાહસિક બન્યા એચ. સરોજા

એક એવા પ્રોફેસર જેઓ 33 વર્ષથી તમામ એશોઆરામ છોડીને આદિવાસીઓની ભલાઈ માટે જંગલમાં રહે છે! 

સમાજના તમામ રસ્તાઓ બંધ થતાં વૃદ્ધાશ્રમમાં રહેવા મજબૂર બનેલા લીંબડીના વિનોદરાયે સ્વકલાના જોરે શરૂ કરી નવી ઇનિંગ!