'પાટણના પટોળા'ની બેનમૂન કલાની વિરાસત જાળવવા 3 સાલ્વી પરિવારોનો અથાગ પ્રયાસ
Thursday May 12, 2016,
5 min Read
ગુજરાતનો વર્તમાન સમય જેટલો સરળ અને સુંદર છે તેટલો જ તેનો ઇતિહાસ ભવ્યાતિભવ્ય છે. ગુજરાતની સ્થાપનાને ભલે માત્ર 56 વર્ષ થયા હોય પણ તેનો ઇતિહાસ સદીઓ જૂનો છે. રજવાડાના સમયથી ગુજરાત સમૃદ્વ હતું અને આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે તેમાં કોઇ મીન મેખ નથી. જો 20મી સદીની સમૃદ્વિની વાત કરીએ તો ગુજરાતના અમદાવાદમાં એટલી બધી મીલો ધમધમતી હતી કે અંગ્રેજો ખુદ તેને ભારતનું માન્ચેસ્ટર કહેતા હતા. કલાની દ્રષ્ટિએ પણ ગરવી ગુજરાતની તોલે કોઇ આવી શકે તેમ નથી. વાત જો સાહિત્યની હોય કે વાત છાપકામની દરેક ક્ષેત્રમાં ગુજરાતે આગવું પ્રદાન કરીને વિશ્વ ફલક પર પોતાની નામના કમાવી છે. જો કોઇ પ્રવાસી ગુજરાતમાં આવે તો તેના ઐતિહાસિક સ્થાપત્ય એવા અજંટા ઇલોરા, ઝુલતા મિનારા, સીદી સૈયદની જાળી, કાંકરિયા તળાવ, વડોદરા - જામનગરના પેલેસ તો માણવાનું પસંદ કરે જ છે પણ સાથે ગુજરાતની બેનમૂન કલાની વિરાસત સંભાળનારા પાટણના પટોળા બનાવતા સાલ્વી પરિવારોની કામગીરી જોવાનો પણ ખાસ આગ્રહ રાખતા હોય છે.
‘છેલાજી રે મારી હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો..’ આ ગીત દરેક ગુજરાતીએ એકવાર તો સાંભળ્યું જ હશે. જે સાંભળીને ગૌરવવંતા ગુજરાતી હોવાનું ગૌરવ પણ થતું હશે. આજની આપણી વાત પણ પાટણના ઐતિહાસિક પટોળાની છે, જે ઇતિહાસ અને વર્તમાનમાં ગુજરાતની કલા કહેવામાં આવે છે પણ શું તમે જાણો છો.. આ કલા આપણે દત્તક લીધેલી છે??
વાત જ્યારે પાટણના પટાેળાની થતી હોય તો તેનો ઇતિહાસ જાણવો એ પણ રોચક વાત છે.. પટોળું શબ્દ ‘પટ્ટ’ પરથી આવ્યો છે, જેને સંસ્કૃતમાં પટ્ટા કહેવામાં આવતું હતુ, જેને ગુજરાતી પ્રખર પંડિત કે.કા.શાસ્ત્રીએ પટ્ટા શબ્દને અપભ્રંશ કરીને ‘પટોળું’ નામ આપ્યું હતું.
પટોળા બનાવવાની શરૂઆત 12મી સદીમાં મહારાષ્ટ્રના સાલ્વી પરિવાર દ્વારા કરવામાં આવી હતી, જેમના બનાવેલા પટોળા દેશ-વિદેશના રાજા-રજવાડા પહેરીને પોતાની શાન વધારતા હતા. અને પટોળા સિલ્કમાંથી બનતા હોવાથી તેને પવિત્ર માનવામાં આવતા હતા. 12મી સદીમાં જૈન ધર્મના રાજા કુમારપાળને પૂજા વિધિમાં રોજ નવા પટોળા પહેરવા પડતા હતા..તે જે પટોળા પહેરતા હતા તે રેશમના ન હોવાથી તેટલા પવિત્ર ન હતા. જેના કારણે તેમને મહારાષ્ટ્રના સાલ્વી પરિવાર દ્વારા બનાવાતા સિલ્કના પટોળા નજરે આવતા તેમને ખૂબ પસંદ આવ્યા હતા અને તેમની કલાના કદરદાન થઇને મહારાષ્ટ્રના 700 સાલ્વી પરિવારોને પાટણમાં આવીને વસવા અને તેમની કલાને વધુ ઉજાગર કરવા આમંત્રિત કર્યા હતા અને સાલ્વી કુટુંબોએ પણ આમંત્રણને સ્વીકાર કરીને પાટણને પોતાનું નવું કલાકેન્દ્ર માનીને વસવાટ કર્યો હતો. એ પછીથી તેની ઓળખ પાટણના પટોળા તરીકે વિકસી હતી. ઇતિહાસમાં તેની ખ્યાતિનો અંદાજ એ પરથી પણ આવે છે કે ગુજરાતી કવિ પ્રેમાનંદે લખેલા તેમનું કાવ્ય ‘કુંવરબાઇનું મામેરૂ’માં ‘લાખો પછેડી પંદર કોડી..પટોળા પચાસ વહુજી’ શબ્દો દ્વારા પાટણના પટોળાની બહુમૂલ્યતાને પ્રગટ કર્યું છે. 12મી સદીમાં ગુજરાતમાં વસવા આવેલા 700 પરિવારમાંંથી હવે માત્ર ત્રણ જ પરિવાર આ કલા અને વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ ત્રણ પરિવાર વિસરાતી વિરાસતને સાચવવા અથાગ પ્રયત્નો કરી રહ્યા છે.
પાટણના પટોળા કોઇ દુકાન કે શોરૂમમાં વેચાતા મળતા નથી, જો તમારે જોઇતા હોય તો તેને ખાસ ઓર્ડર આપીને બનાવવામાં આવે છે.
સામાન્ય રીતે સાદું પટોળું બનાવતા ત્રણ-ચાર કારીગરની ટીમને ચારથી પાંચ મહિના લાગી જતા હોય છે અને જેની કિંમત 1.50 લાખથી શરૂ થઇને સાત-આઠ લાખ રૂપિયા સુધીની પણ હોય છે. તે બનાવટની ઝીણવટ અને ચીવટ તમને તેને બનવામાં લાગતા સમય પરથી ખ્યાલ આવી જતો હશે. સમય પ્રમાણે ફેશનમાં ઘણા બધા બદલાવ આવ્યા છે પણ પાટણના પટોળા તેમના 900 વર્ષના ઇતિહાસમાં જરાય છેડછાડ કર્યા વિના એક સરખી ડિઝાઇનમાં બનતા આવ્યા છે. કારણકે પટોળાની મહત્વની વાત જ તેની ડિઝાઇન અને પાલવ હોય છે. આ હાથથી કાંતેલા પટોળા 80 વર્ષ સુધી જૈસે થૈ રહે છે અને કલાકાર દ્વારા તેની 60 વર્ષની તો ગેરંટી આપવામાં આવે છે. જ્યારે તેનો રંગ 300 વર્ષ સુધી અકબંધ રહે છે. જેમ સોનાની એક સંપતિની જેમ જોવામાં આવે છે તેમ પટોળા પણ એક વિરાસત અને સંપતિ છે. કારણકે પટોળા ખરીદો અને વર્ષો પછી વેચો તો તેની રીસેલ વેલ્યુ તેની ખરીદી કરતા વધુ જ આવે છે. સામાન્ય રીતે કોઇ પણ કપડા ખરીદો અને પછી વેચવા જાવ તો કોઇ ખરીદતું નથી..જ્યારે પાટણના પટોળાને એન્ટીક પીસ માનીને લોકો ખરીદવા લાખો ખર્ચવા પણ તૈયાર થઇ જતા હોય છે.
પાટણના પટોળા ખાસ કરીને ડબલ ઇક્તમાં બનાવવામાં આવે છે, ડબલ ઇક્ત એટલે જેની પ્રિન્ટીંગ કાપડની બંને તરફ સરખી હોય અને તેને કોઇ પણ તરફથી પહેરી શકાય. આજના ટેક્નોલોજીના યુગમાં પણ આ પટોળા હાથે વીણીને જ બનાવવામાં આવે છે. દુનિયામાં ઘણી જગ્યાએ પટોળા બને છે પણ તેમાં સિલ્કના હાથના વીણેલા-કાંતેલા પટોળા વિશ્વમાં માત્ર ત્રણ જ સાલ્વી પરિવાર હાલ બનાવી રહ્યું છે. સિલ્કના કાપડના બનેલા પટોળાની સાથે હાથરૂમાલ, ટેબલ ક્લોથ, દુપટ્ટા, શાલ, ટાઇ, પર્સ, ચણિયાચોળી પણ બનાવવામાં આવે છે.વર્ષો પહેલા એમ કહેવત હતી કે જો પટોળું વીંટીમાંંથી પસાર થઇ જાય તો જ સાચું હોય.. પટોળાનું સિલ્કનું કાપડ એટલું નરમ આવતું કે તે વીંટીમાંથી પસાર થઇ જાય. તમને એ જાણીને ખુશી થશે કે ઇતિહાસને સાચવવા અને જાણવા માટે પાટણમાં પટોળાનું મ્યુઝિયમ પણ આવેલું છે. જેને જોવા માટે દેશ-વિદેશથી લોકો આવતા હોય છે. આ પટોળાના કલાકારોને કલાના ક્ષેત્રમાં રાષ્ટ્રીય અને રાજય સ્તરે અનેક પુરસ્કાર મેળવી ચૂક્યા છે.
સ્વ.ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, નરગીસ દત્ત, અમિતાભ બચ્ચન સહિત અનેક દેશ વિદેશના મહાનુભાવો પટોળાની ખરીદી કરવા પાટણ આવેલા છે. 900 વર્ષથી એક સરખી ડિઝાઇનને વળગી રહેવા છતાં પણ તેની માગમાં જરા પણ ઘટાડો થયો નથી. ગ્રાહકની ઇચ્છા મુજબની પણ ડિઝાઇન બનાવી આપવામાં આવે છે, જેમાં હાથી, ઘોડા, મોર, ઢેલ, પોપટ અને ચોરસની ડિઝાઇનની માગ વધુ રહેતી હોય છે. સ્કવેર ડિઝાઇન પાછળની સાયકોલોજી એ પણ છે તેનાથી પોઝિટિવ એનર્જી પેદા થાય છે અને કોઇ નેગેટિવ એનર્જી તમારી નજીક આવી શકતી નથી. એ ગણિતને પણ ધ્યાનમાં રાખીને રાજા રજવાડા માંગલિક કાર્યો કરતી વખતે સિલ્કના પટોળા પહેરવાનું વધુ પસંદ કરતા.
પાટણમાં પટોળા બનાવતા અશોકભાઇ સાલ્વી જણાવે છે,
"એક સમયે 700 પરિવાર આ કલા સાથે સંકળાયેલા હતા જે હવે માત્ર ત્રણ જ રહેતા અમારી આવનારી પેઢીને પણ આ વિરાસતને જાળવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. અને આ કલાને શીખવા માગતા યુવાનોને પણ કલાથી માહિતગાર કરીને ગુજરાતને નવી એક કલાકાર પેઢી આપવાની કોશીશ કરી રહ્યા છીએ."
વધુ પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો
વધુ સંબંધિત સ્ટોરીઝ વાંચો:
કુંભારોના ઘરોનો ચૂલો સળગતો રાખવાનો અનોખો પ્રયાસ એટલે 'માટી'
‘કાશ્મીર બોક્સે’ કાશ્મીરની કલાને વિશ્વ ફલક પર પહોંચાડી, કલાકારોને મળ્યું આગવું પ્લેટફોર્મ
ભારતીય કલાકારો માટે માનસી ગુપ્તાએ અમેરિકામાં ખોલી દીધી ‘Tjori’