ઇન્દોરના લોકોની તકલીફો દૂર કરતો ‘e-દરબાર’

ઇન્દોરના લોકોની તકલીફો દૂર કરતો ‘e-દરબાર’

Tuesday October 13, 2015,

4 min Read

એન્જિનિયરિંગના ભણતરની વચ્ચે જો ઘરમાં પાણીના અછતની સમસ્યા હોય તો કોઇ પણ વિદ્યાર્થી તેના પર ધ્યાન ના આપે. તેવી સમસ્યાથી દૂર રહે. પણ હર્ષ તોમર તેવા લોકોમાંથી નહીં જે તેની નજર સામે આવેલી સમસ્યાની ઉપેક્ષા કરે. હર્ષ પણ એક અન્જિનિયરીંગનો વિદ્યાર્થી હતો અને તેના વિસ્તારમાં પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા હર્ષે ‘જનતાચૌપાલ’ નામની એક એપ્લિકેશનનો ઉપયોગ કર્યો. હર્ષ કહે છે, “મને એ વખતે એટલું આશ્ચર્ય થયું જ્યારે પાણીની સમસ્યા વિશે એપ્લિકેશન પર મૂક્તાના 24 કલાકમાં સંબંધિત અધિકારીએ તેના વિશે પ્રતિક્રિયા આપી.”

image


‘જનતાચૌપાલ’ ઇન્દોરમાં વિકસેલી એક એવી સોશિયલ મીડિયા એપ્લિકેશન છે જે ભારતને ઇ-ગવર્નન્સની દિશામાં આગળ વધારે છે. ‘એડવર્લ્ડ ટેક’ નામના એક સ્ટાર્ટઅપ દ્વારા તૈયાર કરાયેલી આ મોબાઇલ એપ્લિકેશન ‘જનતાચૌપાલ’ લોકોને ફક્ત મંત્રીઓ કે અધિકારીઓ સાથે જોડે છે તેવું નથી પરંતુ જનતા દ્વારા ઉઠાવવામાં આવતા મુદ્દાઓને ‘ઓપન’, ‘ઇન પ્રોગ્રેસ’ અને ‘રિઝોલ્વ્ડ’ સ્ટેટસ પણ આપી શકે છે. હાલ જ્યારે ફેસબૂકે ‘અનલાઈક’ના વિકલ્પની જાહેરાત કરી છે ત્યારે આ એપ્લિકેશન લોકોને ‘અનવોટ’નો વિકલ્પ પણ આપે છે.

ફેબ્રુઆરી 2015માં શરૂ થનાર આ એપ્લિકેશનમાં લગભગ 800થી વધુ સદસ્યો સક્રિય છે જેમાં ઇન્દોરના 85માંથી ઓછામાં ઓછા 45 જેટલા કોર્પોરેટર્સનો પણ સમાવેશ થાય છે. આ એપ્લિકેશન દ્વારા કોર્પોરેટર્સ લોકોને પડતી મુશ્કેલીઓ જાણી, સમસ્યા હલ કરી શકે છે.

કેવી રીતે કામ કરે છે આ એપ્લિકેશન?

ઉપયોગકર્તા આ એપ્લિકેશન ગૂગલ પ્લેસ્ટોર પરથી ડાઉનલોડ કરી શકે છે. ડાઉનલોડ કર્યા બાદ જે તે વ્યક્તિએ પોતાની માહિતી ભરી સાઇન અપ કરવાનું રહે છે. એક વાર રજિસ્ટર થયા બાદ કોઇ પણ વ્યક્તિ પોતાની સમસ્યા ગમે ત્યારે આ પ્લેટફોર્મ પર મૂકી શકે છે અને જે તે સંબધિત અધિકારીને આ સમસ્યા વિશે જાણ થાય એટલે તે સમસ્યાનું નિવારણ લાવવા કયા પ્રકારની કામગીરી થઇ રહી છે તેનું સ્ટેટસ અપડેટ કરી શકે છે. એટલે કે ઓપન કે ઇન પ્રોગ્રેસ જેવા વિકલ્પોની પસંદગી કરી શકે છે. આ સિવાય આ એપ્લિકેશનના કારણે એક જ વિસ્તારના ઘણાં અજાણ લોકો એકબીજાના મિત્રો પણ બની જાય છે. સાથે જ આ એપ્લિકેશન વપરાશકર્તાઓને ફોટો તેમજ વિડીયો અપલોડ કરવાની પણ છૂટ આપે છે.

image


ઇન્દોરના વોર્ડ નંબર 71નાં કોર્પોરેટર ભરત પરીખ કહે છે કે, “આ એપ્લિકેશનની મદદથી મને મારા વિસ્તારની જ તકલીફો નહીં રંતુ સમગ્ર ઇન્દોરમાં કેવી કેવી સમસ્યાઓ છે તેની પણ જાણ થાય છે જે ઘણી સારી બાબત છે.” આ સિવાય વોર્ડ નંબર 65ના કોર્પોરેટર સરિતા ભંગવાની કહે છે કે, “હું ‘જનતાચૌપાલ’ ને 24 કલાકની અંદર સમસ્યાનો ઉકેલ લાવતા એક પ્રભાવશાળી માધ્યમ તરીકે જોઉં છું.”

ટીમ ‘જનતાચૌપાલ’

‘જનતાચૌપાલ’ એડવર્લ્ડટેકના બે સહસંસ્થાપક- ભૂતપૂર્વ બેન્ક કર્મચારી અને IT કારોબાર વિશ્લેષક પ્રભાકરસિંહ અને બીબીએ પાસઆઉટ અજીત કરવાડેના મગજની ઉપજ છે. તેમના સિવાય અન્ય સદસ્યો અવિનાશ મહાજન, અશોક મહેતા, જીતેન્દ્ર શર્માના સહયોગથી આ એપ્લિકેશનની શરૂઆત કરી હતી. પ્રભાકર જણાવે છે કે, “મારું માનવું છે કે ઘણી બાબતો અને પ્રક્રિયાઓને જાણતા પણ અજાણ રહીએ છીએ તેથી ભ્રષ્ટાચાર વધે છે. એક ટીન નંબર મેળવવા માટે પણ ઓફિસમાં આ કામ કરાવવા બેઠેલા વચેટિયાઓને 10,000 રૂપિયા ચૂકવવા પડે છે જે હકીકતમાં નિ:શુલ્ક થતું કામ છે. હું ઘણાં સમયથી ડીજીટલ ઇન્ડિયાની વાતો સાંભળી રહ્યો છું પરંતુ આમ કરવા માટેના યોગ્ય સાધનો ક્યાં છે?”

એડવર્લ્ડટેકની આ ટીમ અત્યાર સુધી 5 રાષ્ટ્રીય વેપારપ્લાનની પ્રતિયોગિતામાં ભાગ લઇ ચૂકી છે જેમાં 3 વખત વિજેતા પણ રહી ચૂકી છે. તેમણે સતત કામ કરી લગભગ 15 હજાર પરિવારોનો ડેટા ભેગો કર્યો હતો જે તેમને એપ્લિકેશનની બનાવટમાં ઘણો મદદરૂપ થયો હતો. આ સર્વેમાં તેમને જાણ થઇ હતી કે લગભગ 90% લોકોને પોતાના કોર્પોરેટર વિશે કોઇ પણ જાણકારી નહોતી અને લગભગ 70% લોકો એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ કરે છે.

image


તેઓ કહે છે કે, “અમે ઘણાં ઝડપથી નાણાં કમાવવામાં પણ સફળ થઈશું અને આ બાબતે અમને જરા પણ ચિંતા નથી. અમે અન્ય પણ કેટલીક કમર્શિયલ એપ્લિકેશન્સ તૈયાર કરી રહ્યાં છીએ.”

આજના સમયમાં એ ઘણી નવાઇની વાત છે કે એપ્લિકેશન બજારમાં જ્યાં એકબાજુ ગળાકાપ સ્પર્ધા છે ત્યારે હજી પણ આ પ્રકારના સ્ટાર્ટઅપમાં કોઇ પણ પ્રતિયોગી સામે નથી આવ્યો. આ એપ્લિકેશનના સંસ્થાપકોનું માનવું છે કે આ વિશ્વની પહેલી રાજનૈતિક સોશિયલ મીડિયા એપ્લિકેશન છે અને હવે આ એપ્લિકેશનની પેટન્ટ પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.

પ્રભાકર કહે છે, “મારું માનવું છે કે દેશમાં ભ્રષ્ટાચારમુક્ત શાસનવ્યવસ્થા સરકાર દ્વારા નહીં પણ ટેક્નોલોજીના માધ્યમથી લાવી શકાય છે અને આવનાર સમય આવો જ કંઇક રહેશે જેનું સ્વાગત કરવા અમે તૈયાર છીએ.”