ખુલ્લા મને બદલાવને સ્વીકારો!

ખુલ્લા મને બદલાવને સ્વીકારો!

Sunday August 14, 2016,

6 min Read

ત્યારે હું યુવાન હતો જ્યારે હું વારાણસી અને અલ્હાબાદની વચ્ચે આવેલા મિરઝાપુર નામના એક શહેરમાં રહેતો હતો. મારા પિતા આયકર વિભાગમાં નોકરી કરતા હતાં. દરરોજ સાંજે તેમનો એક પટાવાળો કોઈ કામને લઈને અમારા ઘરે આવતો અને આમારી સાથે તેને પણ નાસ્તામાં ચા અને બિસ્કીટ અપાતા, પણ તેમાં ફર્ક એટલો હતો કે તેના કપ અને પ્લેટ અમારા કપ અને પ્લેટ કરતા અલગ રહેતા. અમને સ્ટીલના વાસણોમાં ચા-નાસ્તો અપાતા અને તેને ચિનાઈ માટીના વાસણોમાં ચા-નાસ્તો અપાતો. એટલું જ નહીં, તેના વાસણો પણ અમારા વાસણો કરતા અલગ રાખવામાં આવતા. દરરોજ સાંજે તેના ચિનાઈ માટીના વાસણોને સાફ કરીને અલગ મૂકી દેવાતા અને નિત્યક્રમ બની ગયો હતો. એ સમયે ઉંમર નાની હોવાના કારણે મારા માટે આ બધું સમજવું મુશ્કેલ નહતું પણ મારા માટે આ બધું સમજવું કોઈ મોટી વાત પણ નહતી. તો પણ જીજ્ઞાસાપૂર્વક એક વખત મેં મારી માતાને પૂછ્યું કે આમ કેમ કરાય છે?

image


મારી માતા જે ઉત્તર પ્રદેશના દૂરના એક ગામડાંની રહેવાસી હતી જેને લખવું-વાંચવું નહતું આવડતું. તેણે નિર્દોષભાવે જવાબ આપ્યો કે 'અરે એ અનુસૂચિત જાતિનો છે ને!' ત્યારે મેં તેના પર એટલું ધ્યાન ન આપ્યું પણ જ્યારે હું મોટો થયો અને કોલેજ પહોંચીને મને દુનિયાને જોવા સમજવાનો મોકો મળ્યો, ત્યારે મને અહેસાસ થયો કે આ વાતનો અર્થ શું છે. ત્યારે મેં જાણ્યું કે ખરેખર આ તો હજારો વર્ષ જૂની વિચારસરણી છે, જેને સમાજે આત્મસાત કરી લીધી છે અને જેને આજે આપણે અસ્પૃશ્યતા કહીએ છીએ. એ સિવાય મેં એક બીજી બાબત પણ જોઈ કે ભલે તે પટાવાળો અમારી સાથે હળીમળીને રહેતો હતો, પણ તે ક્યારેય અમારા ભોજન કે વાસણોને અડતો નહીં અને પોતાના વાસણો પણ જાતે જ સાફ કરતો હતો. 

સમય જતાં અમે પણ મોટા થતાં ગાતા અને અમારા યારો મિત્રો પણ વધવા લાગ્યા. આ મિત્રોમાં જીવનના વિભિન્ન ક્ષેત્રોથી જોડાયેલા યુવકો અને યુવતીઓ, સૌ હતાં. આજ કારણે અમારા ઘરે વિભિન્ન જાતિ અને ધર્મના લોકોની અવર જવર રહી. મારી માતાએ ક્યારેય એ જાણવાનો પ્રયત્ન ન કર્યો કે કોણ કયા ધર્મ અને જાતિનું છે. મારા ઘરે સૌ કોઈ આરામથી અવર-જવર કરી શકતા હતાં. આ બધામાં મારા 2 મિત્રો પણ સામેલ હતાં. તેમાંથી એક મુસલમાન અને બીજો અનુસૂચિત જાતિનો હતો. ત્યાં સુધી કે જ્યારે મારી માતાને આ વિશે ખબર પડી ત્યારે તેણે કોઈ બૂમાબૂમ ન કરી. તેમણે મારા મિત્રો જેવા છે તેવા જ સ્વીકારી લીધા હતાં. તો આ વાત આપણે શું દર્શાવે છે? તેનો અર્થ છે કે ઘરોમાં છુઆછૂત હવે કોઈ જૂની વાત નહતી રહી ગઈ કે જેનો લોકો વિરોધ કરતા હતાં, તેમણે પણ કોઈ પણ પરેશાની વિના આ બાબતને સ્વીકારી લીધી હતી. જોકે હા, તેઓ આ વાતને લઈને ચોક્કસપણે સતર્ક રહેતા હતાં કે તેઓ કંઈક એવું ના કરી બેસે જે લોકોને ન ગમે, સમય સાથે સમાજમાં પણ બદલાવ આવ્યો અને એ લોકો જ આ કડક સામાજિક નિયમોનો ત્યાગ કરતા ગયા. 

મારી માતામાં પણ બદલાવ આવ્યો, તે એક સીધી સાદી ધાર્મિક વ્યક્તિ હતી જેવા કે મારા પિતા. મારા પિતા ગ્રેજ્યુએટ હતાં અને સરકારી નોકરી કરતા હતાં અને તેમનો સ્વભાવ પણ ઘણો ઉદાર હતો. તેમણે ક્યારેય મારી માતાના ધાર્મિક ક્રિયાઓનો વિરોધ નહતો કર્યો. ભાગ્યે જ તેઓ ક્યારેય મારા મિત્રોની જાતિના કારણે પરેશાન થયા હતાં. તો બીજી બાજુ, તે બંને સવારે જલ્દી ઉઠીને નાહી લેતા, દરરોજ પૂજા કરતા અને ત્યારબાદ જ કંઈ ખાતા. ધાર્મિક મહત્તવના દિવસો પર તે બંને આખો દિવસ ઉપવાસ પણ રાખતા. શું આ આપણા સૌ માટે એક શીખવા જેવો પાઠ નથી લાગતો? જી હા, બિલકુલ. મારા માતા પિતા હિંદુ છે અને ધાર્મિક પણ, પણ તે બંને હઠધર્મી નથી. મારામાં રહેલા કેટલાંયે આદર્શો એમના કારણે જ છે. હું ઘણી વખત આ વાતને લઈને ડરી જઉં છું કે જો તેમણે મારી પાસે સામાજિક પ્રથાઓનું સખતાઈથી પાલન કરાવ્યું હોત તો શું થાત?   

ગયા મહિને હું ઘણો પરેશાન રહ્યો જ્યારે મેં જોયું કે ગૌ રક્ષક દળના સદસ્યો દલિતોને મારી રહતા હતાં, ત્યારે મને મારા બાળપણના અનુભવો યાદ આવી રહ્યાં હતાં. તે આપણી માનસિકતાનો જ પૂર્વાગ્રહ હતો. જેવી રીતે એ વ્યવહાર થયો હતો તે માણસાઈની વિરુદ્ધ હતો. હું આ વાતને નથી માનતો કે તેમણે આ કામ ગાયોને બચાવવા કર્યું છે. જો તેઓ ગાયો પ્રતિ એટલા ચિંતિત હતાં તો સૌથી પહેલા તેમણે રસ્તાના કિનારે અને આસપાસ રહેતી ગાયો વિશે વિચારવું હતું, જેમના મોતની ઘટના અવારનવાર આપણી આસપાસ બનતી હોય છે. જો તેમણે લડવું જ છે તો સરકાર વિરુદ્ધ લડે જેથી ગાયોને વધુ સારી જિંદગી અને સારવાર મળી શકે. આ લોકોએ મોદી સરકારને માગ કરી છે કે દેશભરમાં ગૌમાંસ પર પ્રતિબંધ લાદવામાં આવે, પરંતુ એ બધાને આ વાત જાણીને નિરાશા થશે કે મોદી સરકારના કાર્યકાળમાં ગૌમાંસની નિકાસના ક્ષેત્રમાં ભારત દુનિયામાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે, પરંતુ ક્યારેય ગાયને બચાવનારા લોકોએ આ બાબતની ફરિયાદ ન કરી.

ચાલો, આપણે આ વાતનો સ્વીકાર કરીએ કે હજારો વર્ષોથી હિંદુ સમાજમાં છુઆછૂત એક ઊંડી વાસ્તવિકતા રહી છે. સમાજમાં દલિતો સાથેનો આપણો વ્યવહાર અમર્યાદિત છે. આ લોકો પાસે ક્યારેય પણ અધિકાર નથી રહ્યાં. તેમની સાથે ક્યારેય સમાનતાનો વ્યવહાર નથી કરાયો. છુઆછૂતમાં માનનારા અને તેનો સામનો કરનારા બંનેનું એમ માનવું ખોટું છે કે પાછલા જન્મના ખોટા કાર્યોનું ફળ આ જન્મમાં મળી રહ્યું છે અને જો તેઓ આ જન્મમાં સારા કાર્યો કરશે તો આવનારા વર્ષોમાં તેમનું ભાગ્ય બદલાઈ શકે છે. 

આપણા સંવિધાનમાં છુઆછૂત અને અસમાનતાને નાબૂદ કરી દેવાયા. કાનૂની રીતે સૌ કોઈ એકસમાન છે અને કાયદો સૌની સાથે સમાનતાનો વ્યવહાર કરશે. દલિતોને પણ એ અધિકારો મળ્યા છે જે અધિકારો ઉંચી જાતિના લોકો પાસે છે. છતાં પણ સમાજ જાતિગત રેખામાં વહેંચાઇ ગયો છે. હજારો વર્ષો જૂની વિચારસરણી એક રાતમાં નથી બદલી શકાતી પરંતુ સંવૈધાનિક સમાનતાએ દલિતોના મગજમાં ક્રાંતિ પેદા કરી દીધી. પહેલાં કરતા હવે તેઓ પોતાના સામાજિક અધિકારો માટે હકથી માંગણી કરી રહ્યાં છે અને પોતાના સમ્માન માટે લડવા લાગ્યા જે તેમને સંવિધાનથી મળ્યા છે. જેમને સમાજના ઉચ્ચ વર્ગે પસંદ નથી કર્યા અને તેની અસર એ થઇ કે બંને વચ્ચે સંઘર્ષની સ્થિતિ પેદા થઇ ગઈ. આ પ્રકારની ઘટનાઓ કટ્ટરપંથીઓનો પ્રયત્ન છે. આ આપણા સમાજનો એક દુખદ પક્ષ છે, જ્યાં તેમને કચડવાની કોશિશ કરવામાં આવે છે. 

મારા માતા-પિતા હજારો વર્ષો જૂની ધાર્મિક પ્રથાઓનો મોહરા બન્યાં, પરંતુ જેવો તેમનો સામનો હકીકતથી થયો તેમણે પોતાનામાં બદલાવ લાવવાની શરૂઆત કરી અને માણસાઈની દ્રષ્ટિએ પણ પોતાનામાં બદલાવ પણ લાવ્યા. તેમણે ક્યારેય આધુનિકતાનો વિરોધ નથી કર્યો પણ તેમણે બંને હાથે તેનો સ્વીકાર કરી લીધો. પરંતુ હાલમાં જેવી રીતે દલિતો સાથે વ્યવહાર કરવામાં આવ્યો તે એકદમ અયોગ્ય છે. આ એ લોકો છે જેઓ બદલાવ નથી ઈચ્છતા અને આધુનિકતાના વિરોધી છે. એવામાં જરૂરી છે કે આ લોકો વિરુદ્ધ લડવું જોઈએ અને તેમને હરાવવા જોઈએ. તો હવે દલિતોમાં પણ પહેલાંના મુકાબલે વધુ વિશ્વાસ જોવા મળે છે. તેઓ પહેલાની સરખામણીએ વધારે પ્રબુદ્ધ અને આ સામાજિક દૂષણ વિરુદ્ધ લડવા એકજૂટ થયા છે. આ કારણ છે કે હવે તેઓ ઈતિહાસ અને સમાજમાં પોતાની યોગ્ય જગ્યા મેળવવા માટે પોતાની લડાઈ લડવામાં શરમ નથી અનુભવતા. 

લેખક પરિચય- આશુતોષ

આશુતોષ ટીવીના ભૂતપૂર્વ એન્કર, પત્રકાર છે. તેઓ અત્યારે આમ આદમી પાર્ટીના પ્રવક્તા છે.

(અહીં વ્યક્ત થયેલા વિચારો લેખકના અંગત છે.)