ભારતને વર્લ્ડકપ અપાવનાર ક્રિકેટરને કેમ ચલાવવી પડી વડોદરામાં કચોરીની લારી?

ઇમરાન શેખ: એક ક્રિકેટરની હૃદયસ્પર્શી કહાની

ભારતને વર્લ્ડકપ અપાવનાર ક્રિકેટરને કેમ ચલાવવી પડી વડોદરામાં કચોરીની લારી?

Tuesday March 15, 2016,

2 min Read

ભારત રમતપ્રિય દેશ છે. એમાં પણ ક્રિકેટ રમતની સાથે જ સચિન તેંડુલકર, કપિલ દેવ, દ્રાવિડ કે સુનીલ ગાવાસ્કર જેવા જ ક્રિકેટરોની યાદ ક્રિકેટપ્રેમીના મનમાં આવે. પણ કેટલાક ખેલાડી એવા છે કે તેઓ ભારત માટે રમ્યા, પણ આજે તેમને જાણવાવાળા ખૂબ જ ઓછા છે. એવા એક ખેલાડી છે ‘ઇમરાન શેખ’. જેમને ‘ડેફ એન્ડ મ્યુટ’ ક્રિકેટ વર્લ્ડકપમાં પોતાના નેતૃત્વ હેઠળ ભારતને વર્લ્ડકપ અપાવ્યો. દેશનું ગૌરવ વધાર્યું. એવા સાહસિક અને શ્રેષ્ઠ ખેલાડી ઇમરાન શેખના મજબૂત ઇરાદાને સલામ કરીએ.

image


વડોદરામાં રહેતા, ઇમરાન શેખે તેમની કેપ્ટનશિપ હેઠળ ભારતને ‘ડેફ એન્ડ મ્યુટ’ વર્લ્ડકપની અતુલ્ય ભેટ આપી છે. પરંતુ એવું તો શું બની ગયું કે તે હાલમાં ક્રિકેટ છોડીને પોતાનું ઘર ચલાવવા કચોરીની લારી ચલાવવી પડી?

૩૦ વર્ષીય ઇમરાન પોતાના પરિવારના ભરણપોષણ માટે વડોદરાનાં ઓલ્ડ પાદરા રોડ પર કચોરી વેચતા, જે હાલ તેમના પત્ની ચલાવે છે.

image


ઈમરાન માટે ક્રિકેટ એ શોખ કે ફક્ત રમત નથી. પરંતુ પેશન છે. એમને આ પેશનને જીવતી રાખવી છે પરંતુ પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી નથી અને ક્રિકેટમાંથી વધુ રૂપિયા નથી મળતા. એટલે ઈમરાને તેની પત્ની રોઝાની મદદથી કચોરીની લારીની શરૂઆત કરી. જેનાથી થોડી આર્થિક મદદ મળતી રહી. ઉપરાંત હમણાં ગુજરાત રીફાઇનરીમાં ટેમ્પરરી નોકરી પણ મળી ગઈ છે, આ માટે કોચ નીતેન્દ્રસિંગે મદદ કરી હતી. એ બદલ ઇમરાન એમનો આભારી છે.

૬ ફૂટનો ક્રિકેટર ઇમરાન શેખ જયારે પોતાની સફળતાનો ઉલ્લેખ કરે છે, ત્યારે આપણને પણ જીંદગીમાં હાર ન માની સતત પોતાના દ્રઢ સંકલ્પ સાથે મથ્યા રહેવાની પ્રેરણા મળે છે. તે આપણા સૌ માટે ગૌરવ લેવા જેવી વાત છે. ઈમરાને ક્રિકેટ ૧૫ વર્ષની વયે શરુ કર્યું હતું. તે ટીવી પર જોઇને શીખતા હતા. પછી ભુતડીઝાપાના મેદાન પર રમવાનું શરુ કર્યું. પરંતુ એમના કોચ નીતેન્દ્રસિંગે પ્રોત્સાહન આપી ઉચ્ચસ્તરીય ક્રિકેટ રમવા પ્રેરિત કર્યા. એવી રીતે એમની ગુજરાત ટીમમાં પસંદગી અને પછી ભારત દેશ માટે રમવાની તક મળી.

image


ઇમરાન પોતાની સિદ્ધિની પરાકાષ્ઠા કરતા કહે છે કે તેને નેપાળ વિરુદ્ધ ૭૦ રન, ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ૬૦ અને ૨૦૦૫માં પાકિસ્તાન સામે ૬૨ રન ફટકારી ભારતની જગ્યા સેમીફાઈનલમાં કરી હતી. તદુપરાંત ઈંગ્લેંડ વિરુદ્ધ ૪૦ રન કરી અને ૩ વિકેટ્સ લઇ ભારતને વર્લ્ડકપ જીતાડ્યો હતો.

જો સરકાર આવા હોનહાર ખેલાડીને આર્થિક રીતે પગભર થવા મદદ કરે અથવા સામાજિક સંસ્થા આપણા શહેરના અને દેશના ગૌરવ પ્રદાન કરનાર ખેલાડીના જીવનને સહાય કરે તો આપણે તેમને એક નવો વળાંક અને ખુશી પણ આપી શકીએ.

image


આપણને પણ એવી આશા છે કે ઇમરાન જેવા બીજા અનેક ખેલાડીઓ કે જેમની સાથે કુદરતે હાથતાળી મારીને ભાગ્યનો સાથ નથી આપ્યો, પણ તેમની સ્પોર્ટ્સમેન સ્પિરિટ તેમજ મહત્વકાંક્ષાને સલામ કરવી જોઈએ.

લેખક- જીગર શાહ

આવી જ અન્ય પ્રેરણાત્મક જીવનસફર અને સંઘર્ષ વિશે જાણવા અમારું Facebook Page લાઈક કરો.