'નિર્ભયા'ની યાદમાં... એક ઑટો રિક્ષાચાલકનો અનોખો પ્રયાસ, મહિલાઓને ‘FREE’માં પહોંચાડે છે તેમની મંજિલ સુધી

'નિર્ભયા'ની યાદમાં... એક ઑટો રિક્ષાચાલકનો અનોખો પ્રયાસ, મહિલાઓને ‘FREE’માં પહોંચાડે છે તેમની મંજિલ સુધી

Sunday December 06, 2015,

3 min Read

દિલ્હીના સતવીર સિંહ વર્ષના પાંચ દિવસ મહિલાઓને તેમની ઑટો રિક્ષાની મફતમાં સવારી કરાવે છે. પોતાના આ પ્રયાસ થકી તે સમાજને એક સંદેશો આપવા માગે છે. તેમના આ કાર્ય બદલ સતવીરને યોરસ્ટોરી તરફથી લાખો સલામ!

મહિલાઓ સમૃદ્ધ સમાજનો પાયો નાખે છે. જે સમાજમાં મહિલાઓને પુરુષ સમાન હકો આપવામાં આવે છે તે સમાજનો વિકાસ ખૂબ જ ઝડપથી થાય છે. જ્યારે જે સમાજમાં મહિલાઓની ઇજ્જત કરવામાં આવતી નથી તે સમાજ ક્યારે પણ પ્રગતિ કરી શકતો નથી.

ભારતમાં મહિલાઓની સ્થિતિ એટલી સારી નથી, અનેક પ્રયાસો કરવા છતાં પણ મહિલાઓ પર થતા અત્યાચાર ઓછા થતા નથી. સરકારે મહિલાઓના હિત માટે અનેક કડક કાયદાઓ પણ બનાવ્યા છે છતાં પણ મહિલાઓ પર અત્યાચાર સતત થયા જ કરે છે.

image


દિલ્હીના એક ઑટો ડ્રાઇવર સતવીર સિંહે મહિલાઓ પર થતા અત્યાચારને ઘટાડવા માટે અને સમાજમાં જાગરૂકતા લાવવા માટે કંઇક નવો પ્રયાસ કરવાનું વિચાર્યું. સતવીર છેલ્લા 15 વર્ષથી દિલ્હીમાં ઑટો રિક્ષા ચલાવી રહ્યાં છે. તેઓ જણાવે છે કે, વર્ષ 2012માં થયેલા નિર્ભયા કાંડે તેમને વિચારતા કરી દીધા. અનેક રાતો સુધી તેઓ સૂઈ નહોતા શક્યા. બસ ત્યારથી સમાજમાં મહિલાઓ પ્રત્યેના અત્યાચારના વિરોધમાં એક નવો પ્રયાસ કરવાનું નક્કી કર્યું. જેનાથી સમાજમાં એક હકારાત્મક સંદેશ ફેલાવી શકાય.

સતવીરે આખા વર્ષમાંથી પાંચ દિવસ જેવા કે મહિલા દિન, ગાંધીજીની પૂણ્ય તિથિ, રક્ષાબંધન, ભાઈબીજ અને 16 ડિસેમ્બરે મહિલાઓને મફતમાં સવારી કરાવવાનું વિચાર્યું. સતવીર કહે છે, 

"આ દિવસોમાં મહિલાઓને જ્યાં જવું હોય તે સ્થળ પર હું મફતમાં પહોંચાડું છું. આ બધા પાછળ મારો એકમાત્ર ઉદ્દેશ્ય છે જે છે સમાજમાં જાગૃતિ લાવવાનો.”

આ પાંચ દિવસે તેઓ પોતાની રિક્ષા પાછળ એક પટ્ટી લગાવે છે જેમાં તે મોટા મોટા અક્ષરોથી પોતાનો સંદેશો લખે છે.

image


સતવીર ગર્વથી જણાવે છે કે જ્યાં પણ તેમની રિક્ષા જાય અને જે લોકોને તેમના વિશે ખબર પડે તે લોકો તેમની સાથે ફોટો પડાવવા માટે આવી જાય છે. તેમને સલામ કરે છે. તેમના આ નવા પ્રયાસને આવકારે છે અને કહે છે કે તેઓ પણ મહિલાઓ માટે કંઇક આવી જ કામગીરી કરશે. સતવીર માને છે કે તેઓ આ કામ દ્વારા લોકોમાં જાગરૂકતા ફેલાવી રહ્યાં છે. વર્ષ 2013થી તેઓ આજ પ્રયાસમાં લાગેલા છે. મહિલાઓને તેમની રિક્ષામાં મફતમાં સવારી કરાવવી એ એક માત્ર પ્રયાસ છે, કોઇ સમાધાન નથી.

સતીવરનું માનવું છે કે સરકાર પણ તેમની રીતે પ્રયાસો કરી રહી છે, પરંતુ મહિલાઓ પર થતા અત્યાચારને રોકવા માટે માત્ર કાયદાકીય બાબતો કે ભાષણોથી કશું જ થતું નથી. મહિલા અત્યાચારના કાયદાને બને તેટલા કડક કરવા જોઇએ, જેથી અપરાધ કરનાર વ્યક્તિમાં ડરની ભાવના પેદા થાય અને તે અપરાધ કરતા પહેલા જ સો વાર વિચારે. જેના માટે સમાજે પણ જાગૃત થવાની જરૂર છે.

સતવીર કહે છે કે ક્યારેક ક્યારેક તેમની રિક્ષામાં એવી મહિલાઓ પણ સવારી કરે છે જે મજબૂરીના કારણે અથવા કોઇ સહારો ના હોવાના કારણે ખોટા કામ કરવા લાગે છે. આવા સંજોગોમાં સરાકારે આ દિશામાં પણ ઘણી મહેનત કરવાની જરૂર છે. સતવીર આવી મહિલાઓને સમજાવવાનો પ્રયાસ પણ કરે છે અને બને તેટલી યોગ્ય સલાહ પણ આપે છે.

image


સતવીરની બે દિકરીઓ અને એક દિકરો છે, તે ઇચ્છે છે કે તેમના બાળકો ઘણા શિક્ષિત બને અને આગળ વધીને તેઓ પણ સમાજની આવી કુનીતિઓનો વિરોધ કરે.

સતવીર છેલ્લે જણાવે છે કે મહિલાઓને માન-સન્માન આપવાની શરૂઆત આપણે આપણાં ઘરમાંથી જ કરવી પડશે. મહિલાઓ અને પુરુષોમાં કોઇ ભેદભાવ ના હોવો જોઇએ. આજના યુગમાં મહિલાઓ પણ દરેક કાર્ય કરવા સક્ષમ હોય છે. એટલા માટે હવે સમય આવી ગયો છે કે લોકોએ એકસાથે આગળ વધીને અપરાધિઓનો બહિષ્કાર કરવો જોઇએ. મહિલાઓ આપણા દેશનો પાયો છે. માતાના રૂપમાં તે બાળકોની પ્રથમ શિક્ષક હોય છે. મહિલાઓની ઉપેક્ષા કરીને કોઇ પણ દેશ ક્યારે પણ આગળ વધી શકતો નથી.

લેખક- આશુતોષ ખંતવાલ

અનુવાદક- શેફાલી કે. કલેર