સેવા દ્વારા જરૂરીયાતમંદોને વિકાસની તક આપતું 'પટિયાલા ફાઉન્ડેશન'
Tuesday March 29, 2016,
5 min Read
એક જ વર્ષ પહેલાં ઝમીર, પટિયાલામાં બ્રાસના વાસણોને પોલિશ કરવાનું કામ કરતો હતો, જો કે તેની એટલી સારી આવક નહોતી અને તેના કારણે તેને તંગી રહેતી હતી. તેના વિસ્તારમાં રહેતા અન્ય પોલિશવાળાની જેમ તે પણ વધારાના બીજા કામ અંગે શોધમાં રહેતો. તેને ખ્યાલ નહોતો આવતો કે લોકો સુધી કેવી રીતે પહોંચવું. રાજેશ કે જે પટિયાલામાં જ રહે છે તેને પણ આર્થિક સંકડામણ હતી. રાજેશ પાસે રિક્ષા હતી અને તે તાલિમબદ્ધ ટુરિસ્ટ ગાઈડ પણ હતો. આ લોકોના જીવનમાં જે પરિવર્તન આવ્યું તેની પાછળ હાથ હતો પટિયાલામાં આવેલા પટિયાલા ફાઉન્ડેશનનો.
રવી આહલુવાલિયાએ 2009માં પટિયાલા ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. તેમનો આશય સ્કિલ્ડ, સેમિ સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ છૂટાછવાયા લોકોને ભેગા કરી કંઈક નવું કરવાનો હતો. એન્જિનિયરમાંથી સામાજિક સાહસિક બનનાર 40 વર્ષિય રવી જણાવે છે,
"હું હંમેશા સમુદાયો સાથે સંકળાયેલા જિવંત પ્રોજેક્ટ પર કામ કરવા માગતો હતો જેના કારણે આર્થિક રીતે પછાત લોકોને રોજગારી મળે અને સન્માન સાથે યોગ્ય જીવન જીવી શકે."
ગ્રીન કેબ્સ
પટિયાલા ફાઉન્ડેશનની સૌથી જૂની પહેલમાં એક હતી ‘પટિયાલા ગ્રીન કેબ્સ. જે લોકો રોજગારી શોધતા હતા તેમને સાઈકલ રિક્ષા આપવામાં આવી હતી. કેટલોક સમય પસાર થયા પછી આ લોકો પોતાની રિક્ષા પણ વસાવી શકતા હતા. આ યોજના હેઠળ કામ કરતા દરેક રિક્ષાચાલકને યુનિફોર્મ આપવામાં આવ્યો હતો. તે ઉપરાંત તેમને મેમ્બરશિપ આઈડી, ઈન્સ્યોરન્સ અને અન્ય તમામ દસ્તાવેજો આપવામાં આવતા જેની તેમને જરૂર હોય. આ રિક્ષાઓ વિશેષ રીતે બનાવવામાં આવી હતી, જેમ કે તે ખૂબ જ હળવી હતી, પેસેન્જરની સુરક્ષા માટે બેલ્ટ હતા, સમાન મુકવા માટે પણ પૂરતી જગ્યા હતી.
આ કામના લાભાન્વિતોનું ખાતું રાષ્ટ્રીયકૃત બેંકોમાં ખોલવામાં આવ્યું હતું જેથી તેમને સરકારી યોજનાઓના પણ લાભ મળી રહે. રવી વધુમાં જણાવે છે,
"અમે સ્ટેટ બેંક ઓફ પટિયાલા સાથે એમઓયુ કર્યા હતા, જેના દ્વારા બેંક આ ડ્રાઈવરોને પટિયાલા ગ્રીન કેબ્સ ખરીદવા માટે ડીઆરઆઈ સ્કીમ હેઠળ લોન આપતા. અમે પંજાબ હેરિટેજ એન્ડ ટુરિઝમ પ્રમોશન બોર્ડ સાથે પણ એમઓયુ કર્યા હતા જે આવા રિક્ષા ચાલકોને તેમની યોગ્યતાના આધારે તાલિમ આપીને ટુરિસ્ટ ગાઈડ તરીકે નિમણૂંક આપતા."
આઈસેવા
હાલના સમયમાં લોકોને સાતત્યતા આપવા માટે શરૂ કરાયેલો પ્રોજેક્ટ છે આઈસેવા. તેનો લાભ માત્ર સ્કિલ્ડ કે સેમિ સ્કિલ્ડ લોકોને જ મળે તેમ નથી, જે લોકો આ સેવાનો લાભ લેવા માગે તેમને આ સેવાનો લાભ મળે છે. આઈસેવા ખરેખર તો શહેરના રહિસો અને રિક્ષા ચાલકો, ધોબી, મોચી, માળી જેવા સેમી સ્કિલ્ડ કારીગરો વચ્ચે સેતુ સાધવા સમાન છે. આ લોકોને એસેન્સિયલ સર્વિસ પ્રોવાઈડર્સ(ઈએસપી) તરીકે ઓળખવામાં આવે છે.
પટિયાલા ફાઉન્ડેશનની ટીમ પહેલાં સંશોધન કરીને ઈએસપીની યાદી તૈયાર કરે છે. ત્યારબાદ આ લોકોને યોગ્ય તાલિમ આપીને સોફ્ટસ્કિલ શીખવવામાં આવે છે. આ તાલિમ બાદ ઈએસપીની માહિતી મોબાઈલ એપ અને વેબપોર્ટલ પર અપલોડ કરી દેવામાં આવે છે જેના કારણે લોકો તેમની સેવા મેળવી શકે. પટિયાલા હાઉસ ફાઉન્ડેશ આ સુવિધા બદલ ઈએસપી પાસેથી કોઈ ચાર્જ લેતી નથી. બીજી તરફ નાગરિકો જે સેવા લેવા માગતા હોય તેને સંલગ્ન ઈએસપીની માહિતી તેઓ એપ અને વેબ પોર્ટલ પર અપલોડ કરી શકે છે. આનો આશય સમુદાય માટે સેવા પૂરી પાડવાનો છે.
એક વખત ઈએસપીને તેના ક્ષેત્રમાં કામ કરવાનો મહાવરો અને વિશ્વાસ આવી જાય ત્યારબાદ તેમને અન્ય કામ શીખવાની અને પોતાનો વિસ્તાર કરવાની તક આપવામાં આવે છે. રવી જણાવે છે,
તેઓ પોતાનો વિસ્તાર કરીને પોતાની આવક વધારવા માગે તો તેમના માટે સમયાંતરે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. ઈએસપીના પરિવારને પણ લાભ થાય છે અને તેમનું જીવનધોરણ સુધરે છે.
આર્થિક રીતે સદ્ધર થવા અંગે ઈએસપીને તાલિમ આપવામાં આવે છે. તે ઉપરાંત સામાજિક વિકાસ અને સશક્તિકરણની સરકારી યોજનાઓનો લાભ લેવા અંગે પણ સમજ આપવામાં આવે છે.
અસર અને ભાગીદારી
પટિયાલા ફાઉન્ડેશન દ્વારા 115 ગ્રીન કેબ્સ અને 288 રિક્ષા ચાલકોને લાભ આપવામાં આવે છે. તમામ રિક્ષા ચાલકો હાલમાં પોતાની માલિકીની રિક્ષા ધરાવતા થઈ ગયા છે. રિક્ષા ચાલકો અને તેમની પરિવારના સ્વાસ્થ્યની જાળવણી માટે મેડિકલ કેમ્પ પણ કરવામાં આવે છે. પટિયાલા ફાઉન્ડેશન ફ્રી સર્વિસ કેમ્પનું પણ આયોજન કરે છે. પ્રોજેક્ટ આઈસેવા હાલમાં પટિયાલા, કરનાલ અને હોશિયારપુરમાં ચાલુ છે તથા તેમાં 71 સેવાઓ અને 722 ઈએસપીની માહિતી આપવામાં આવી છે.
ફાઉન્ડેશન દ્વારા પટિયાલાથી હોસ્પિટલ જવા માટે ફ્રી શટલ સર્વિસ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી પટિયાલા ફાઉન્ડેશન પ્રાથમિક તબક્કામાં હતું પણ હવે તે ભંડોળની શોધમાં છે. રવી જણાવે છે,
"અમે લોકો આગામી વિકાસ માટે સીએસઆર ભંડોળની શોધમાં છીએ. અમારે આઈસેવા અને અન્ય પ્રોજેક્ટ ચલાવવા તથા તેનું વિસ્તરણ કરવા માટે ભંડોળની જરૂર છે. આ દ્વારા જ અમે બીજા શહેરોમાં પણ વિસ્તરી શકીશું જેનો લાભ લોકોને મળશે."
માન્યતા
આર્થિક સહાયની જ્યારે અછત હોય ત્યારે સ્વીકૃતિ અને પ્રતિભાવ જ સૌથી વધુ કારગર સાબિત થાય છે. 2015 અને 2016માં ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન ઓફ કરનાલ દ્વારા આ ફાઉન્ડેશનની કામગીરીને બિરદાવવામાં આવી હતી. તેમને ત્યાર સુધીમાં બે વખત એવોર્ડ દ્વારા સન્માનિત કરાયા છે.
2014માં યસ બેંકના સહયોગથી યક બેંક ફાઉન્ડશન દ્વારા તેમને કોમ્યુનિટિ હિરોઝ એવોર્ડ અપાયો હતો.
પડકારો પર વિજય
નવા વિચારોની સામાજિક સ્વિકૃતિ, રોકાણ, આર્થિક બાબતો, સરકારી સાથ, સંસાધનોનો ઉપયોગ અને બીજી ઘણી બાબતો આ ક્ષેત્રમાં પડકાર તરીકે આવી છે. સમય જતાં રવી આ તમામ મુશ્કેલીઓમાંથી બારોબાર નીકળી જવાનું શીખ્યા છે અને સમાજના આર્થિક રીતે વિસ્થાપિત લોકોને મદદ કરવાની તેમની ધગશ હજી પણ અકબંધ છે.
લેખક- સ્નિગ્ધા સિંહા
અનુવાદક- રવિ ઈલા ભટ્ટ
અન્ય પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો
આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:
હજારો નવજાત શિશુઓનો જીવ બચાવનાર માતાના દૂધની અનોખી બૅંક
જન્મ બાદ જેને ઝેર આપવામાં આવ્યું, તે કૃતિએ જ 29 બાળલગ્નો રદ કરાવ્યાં!
ઝૂંપડપટ્ટીના ગરીબ બાળકોને આગવી 'પહેચાન' અપાવવા દિલ્હીના આ યુવાનો કરે છે દિવસ-રાત એક!